ETV Bharat / state

Ahmedabad Crime: 'સગીરને વાહન ન આપો' ટ્રાફિક પોલીસની સતત અપીલ ધ્યાને ન લેતાં માબાપની આંખ ઉઘાડતી હકીકતો

author img

By

Published : May 9, 2023, 5:43 PM IST

સગીર બાળકોના હાથમાં વાહનોની ચાવી આપી દેતાં વાલીઓ અજાણે જ કોઇનો જીવ જોખમમાં મૂકે છે. તેનું ઉદાહરણ મળે તેવા કિસ્સા અમદાવાદમાં પણ સામે આવેલાં છે. અસલાલી પાસેનો અકસ્માત હાલમાં જ બન્યો હતો. ત્યારે અમે પોલીસતંત્ર અને વાલીઓ સહિતના લોકો સાથે આધિકારિક વાત કરી કેટલાક તથ્યો સામે લાવવા પ્રયાસ કરી રહ્યાં છીએ.

Ahmedabad Crime : 'સગીરને વાહન ન આપો' ટ્રાફિક પોલીસની સતત અપીલ ધ્યાને ન લેતાં માબાપની આંખ ઉઘાડતી હકીકતો
Ahmedabad Crime : 'સગીરને વાહન ન આપો' ટ્રાફિક પોલીસની સતત અપીલ ધ્યાને ન લેતાં માબાપની આંખ ઉઘાડતી હકીકતો

અન્ડરએજ ડ્રાઇવિંગની ગંભીરતા સમજવી જરુરી

અમદાવાદ: સગીર બાળકોનેે વાહન ચલાવવા આપવું એ માતાપિતા માટે ગુનો છે. આ કાયદાનું ભાન હાલમાં ગુજરાત પોલીસે કેટલાક માતાપિતાને ચોક્કસ થઇ ગયું છે. કારણ કે તેમના સગીર બાળકોએ વાહન ચલાવી અકસ્માત સર્જયાં છે. હાલમાં અસલાલી રોડ પર સર્જાયેલા વાહન અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. ત્યારે આ કેસમાં અમદાવાદ પોલીસ દ્વારા સગીરના માતાની ધરપકડ કરવામાં આવી હતી. સગીર બાળકોને વાહનની ચાવી સોંપવાની ભૂલ શું છે? તેવી બાબતો જાણીએ. વાલીમંડળે સગીરોને ગિયર વગરના વાહનો ચલાવવા માટેના લાયસન્સ અપાવવાની ડ્રાઇવ પણ યોજી હતી. ત્યારે અમદાવાદ પોલીસના અધિકારીઓ અને વાલીમંડળનું શું માનવું છે તે વિશે તપાસ કરી હતી.

કેસ-1 નારોલ વિસ્તાર : અમદાવાદ શહેરમાં સગીર બાળકો વાહન ચલાવી અકસ્માત કરે તેના કારણે મોત થયું હોય તેવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં આ ઘટના શામેલ છે. નારોલ સર્કલથી અસલાલી બ્રિજ તરફ જવાના રોડ ઉપર બાઈક લઈને ત્રણ સગીર જઈ રહ્યા હતાં તે સમયે એક ટ્રકની પાછળ બાઈક અથડાયું હતું. અકસ્માતમાં સગીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે સગીર ગંભીર ઇજાગ્રસ્ત થયાં હતાં. આ મામલે પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે સગીરને તેની માતાએ બાઇક આપી હતી. આ હકીકત સામે આવતા ટ્રાફિક પોલીસે સગીરની માતા રંજનબેન રાઠોડ સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.

કેસ-2 ચંદ્રનગર વિસ્તારઃ જ્યારે અન્ય ઘટનાની વાત કરીએ તો 14 મી ફેબ્રુઆરીએ ચંદ્રનગર બીઆરટીએસ કોરિડોરમાં મોપેડ લઇને ત્રણ સગીરો ઘૂસ્યાં હતાં. ત્યારે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેમાં બીઆરટીએસ ટ્રેકમાં મોપેડથી કૌશિક સોલંકી નામના 14 વર્ષીય સગીરને ટક્કર વાગી હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે તેના પિતા અંબાલાલ સોલંકી અને માતા ગૌરીબેન સોલંકી સામે ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી.

કેસ-3 વિસ્તાર સરદાર નગર: અન્ય એક ઘટનાની વાત કરીએ તો સરદારનગર વિસ્તારમાં આવતા કુબેરનગરમાં 16 વર્ષની સગીરા ટુવ્હીલર પર સ્કૂલે ગઈ હતી. તેણે પોતાની સોસાયટીમાં રહેતા સગીરને તેનું ટુવ્હીલર ચલાવવા માટે આપ્યું અને અચાનક જ ટુવહીલર સ્લીપ થતા બંને સગીર રોડ ઉપર પટકાયા હતાં. જેમાં સગીર દેવેશ જસરાજાણી નામના સગીરનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પણ ટ્રાફિક પોલીસે સગીર યુવતીના માતાપિતા સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી.

શું કહે છે અમદાવાદ પોલીસઃ આ ત્રણેય કેસ વાંચીને આપ સમજી જશો કે, આજના સમયે સગીરઓનું વાહન ચલાવવું કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે. આ જાણીને આશ્ચર્ય થશે કે, એક મહિનામાં દસ સગીરાઓનું મૃત્યું અકસ્માતને કારણે થયું છે. અમદાવાદ શહેર પોલીસ ઘણીવાર વાલીઓને સગીર બાળકોને વાહનો ન આપવા માટે અપીલ કરતી રહે છે. તેમ છતાં પણ માતાપિતા દ્વારા સગીર બાળકોને વાહનો આપવામાં આવતા હોવાથી અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે. આ સમગ્ર કેસ મામલે અમદાવાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે.

સગીરો વાહન ચલાવે છે, તે બાબતે અનેક વખત મુહીમ તળાવમાં આવી છે. આ બાબતની જાગૃતતા માટે શાળાઓમાં જઈને અને એનજીઓ દ્વારા જાહેરાતો પણ કરવામાં આવી છે. આ બાબતે અમે અનેક પ્રયાસો કર્યા છે, સગીરો દ્વારા અકસ્માત થાય છે, તો અમે માતા પિતા સામે કેસ દાખલ કરીએ છીએ. પરંતુ આ ગુના દાખલ કરવાથી આ કામ પૂરું થતું નથી. આપણે જાગૃત રહેવાની જરૂર છે. બાળકોને લાયસન્સ મળે તો જ તેને વાહનો આપવા જોઈએ અને તેઓમાં ટ્રાફિક અવેરનેસ લાવી જોઈએ અને આ પ્રકારે અકસ્માતો ને અટકાવવા જોઈએ.

સગીર બાળકો વાહનો ન ચલાવે તે માટે પોલીસ દ્વારા શાળાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ટ્રાફિક પોલીસ હજુ પણ લોકોને સતત અપીલ કરતી રહી છે કે સગીરને વાહન ન આપો.-- એન. એન. ચૌધરી (સંયુક્ત પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ)

પોલીસે લીધેલા પગલાં: ચાલું વર્ષે એટલે કે 2023ના છેલ્લા 3-4 મહિનાઓમાં એવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં અકસ્માતમાં ભોગા જે તે શાળાના બાળકો બની ગયા, સરેરાશ થતા અકસ્માતમાં 2 અકસ્માત એવા હોય છે જેમાં ભોગ બાળકોનો લેવાયો હોય છે. નાની ઉંમરે ડ્રાઇવિંગ કરનાર સગીરના મામલાઓમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના અલગ અલગ ડિવિઝનમાં કુલ 13 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં રસ્તા ઉપર સગીર વાહન ચલાવતા પકડાય અને બેદરકારી જણાય ત્યારે તેના માતાપિતા સામે આ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

દંડ વસૂલાત
દંડ વસૂલાત

દંડવસૂલી અને કુલ કેસ: વાહન ચલાવતા ઝડપાયેલા સગીર સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો 2019માં આવા 375 કેસ નોંધાયા હતાં. જેમાં ટ્રાફિક પોલીસે 5,43,400 રુપિયા વસૂલ્યાં હતાં. 2020માં 25 કેસ નોંધાયાં અને 18,000 રુપિયા દંડ વસીલાયો. આ વર્ષ મોટેભાગે લોકડાઉન રહ્યું હતું. 2021માં સગીર દ્વારા વાહન અકસ્માતના કેસોમાં અધધ એવા 453ની સંખ્યામાં નોંધાયા હતાં. કાર્યવાહીરુપે 7,68,500 રુપિયા દંડ વસૂલાયાં હતાં. જ્યારે 2022માં 66 કેસ નોંધાયા અને 1,33,000 રુપિયાનો દંડ વસૂલાયો. આ વર્ષે 2023માં અત્યાર સુધીમાં પોલીસ ચોપડે 1 કેસ ચડ્યો છે અને તેમાં 500 રુપિયા દંડ થયો છે. આમ કુલ મળીને 2019થી 2023ના ઉપલબ્ધ ડેટા પ્રમાણે 920 કેસમાં 14,63,400 ચલણ વસૂલાયું છે. આટલું વાંચ્યા બાદ અમદાવાદ શહેરના ટ્યુશન ચાલકો શું કહે છે એ પણ જાણીએ..

16 વર્ષનું બાળક હોય તો તેણે ડ્રાઈવિંગ લાયસન્સ લઈ લેવું જોઈએ. બાળકોને હેલમેટ પણ પહેરાવવી જોઇએ. અમે અમારા ત્યાં આવતા બાળકો પાસે લાયસન્સ છે કે કેમ તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ. અથવા તો માતાપિતા પોતે ટ્યૂશન ક્લાસ પાસે મૂકે અને લઇ જાય તે જોઇએ છીએ. બાઇક લઈને આવતા બાળકોને અમે ક્લાસમાં પ્રવેશ આપતા નથી.-- પુલકિતભાઈ ઓઝા (ઓમ સાયન્સ એકેડેમી,ટ્યૂશન કલાસના સંચાલક)

વાલીઓનું મૌન: ઈટીવી ભારતે જે બાળકો દ્વારા અકસ્માત કરવામાં આવ્યા અને તેઓના માતાપિતા સામે ગુના નોંધવામાં આવ્યાં તેવા વાલીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓએ મીડિયા સમક્ષ કંઇ પણ વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. વાલીમંડળના સદસ્ય સાથે ઇટીવી ભારતે વાત કરીને કેટલોક ફોડ પાડ્યો હતો.

સગીર માટે સરકાર ગિયર વિનાના વાહનોના લાયસન્સ આપે છે. ત્યારે આ પ્રકારના લાયસન્સ લીધા પછી જ બાળકોને વાહન આપવા જોઈએ, અમે પણ થોડા સમય પહેલા એક ડ્રાઈવ ચલાવી હતી. જેમાં ટ્રાફિક પોલીસને સાથે રાખીને 2645 જેટલા વિદ્યાર્થીઓને ગિયર વિનાના વાહનોના લાયસન્સ અપાવ્યા હતાં. માતા પિતા તરીકે આપણે બાળકોને લાયસન્સ આવ્યા પછી વાહન આપવાની સાથે સમયાંતરે તેઓની સાથે વાહન પર મુસાફરી કરવી જોઈએ. જેથી બાળકો રોડ પર નિયમોનું પાલન કરીને વાહન ચલાવે છે કે કેમ તે અંગે પણ વાલી તરીકે સચેત થઇ શકીએ. બાળકને વાહન વાપરવાની કોઈ પણ મજબૂરી હોય, પરંતુ લાયસન્સ ન હોય તો બાળકોને વાહન ન જ આપવા જોઈએ.--ધીરેન વ્યાસ (વાલીમંડળના સદસ્ય)

આ સ્ટોરીની શરૂઆતમાં ત્રણ જુદા જુદા કેસ એટલા માટે ઉલ્લેખીત કર્યા છે, જેના કારણે ક્યાંક વાલીઓ સામે પ્રશ્નો ઊભા થયા છે. જેની સામે પોલીસ સમયાંતરે એક ડ્રાઈવ ચલાવે છે. સ્કૂલમાં ટ્રાફિકના નિયમો તથા વાહનો ચલાવવા અંગેના નિયમોને અંકિત કરવામાં આવે છે. જેના કારણે જ્યારે તેઓ એક લાયસન્સ માટે જવાબદાર બને ત્યારે વાહન વ્યવસ્થિત ચલાવે. અકાળે કોઈ વ્યક્તિઓા મોત ન થાય.

આ પણ વાંચોઃ

  1. Surat Accident: સુરતના બારડોલી પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 નાં મોત
  2. Rajkot News: સ્કૂલ બસના ડ્રાઈવરની બેદરકારીથી જેતપુરમાં નવ વર્ષની બાળકીનું
  3. Vadodara Accident: બાઈકચાલકે સ્કુટરને અડફેટે લેતા યુવાનનું મોત, સીસીટીવી જોઈ હચમચી જશો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.