ETV Bharat / opinion

વાયુ પ્રદૂષણ દેશને ગુંગળાવી રહ્યું છે

author img

By

Published : Mar 8, 2021, 5:27 PM IST

વાયુ પ્રદૂષણ
વાયુ પ્રદૂષણ

હવામાં છોડવામાં આવતાં પ્રદૂષણના કણોના વધતા જતા સંચયને કારણે દેશ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે દેશમાં થતાં દર આઠ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ વાયુ પ્રદૂષણ હોય છે. પ્રદૂષણને કારણે દેશવાસીઓનું જીવન પાંચ વર્ષ ઘટી પણ રહ્યું છે.

દેશમાં હવામાં છોડવામાં આવતાં પ્રદૂષણના કણો ડબલ્યુએચઓએ સૂચવેલા સ્તર કરતાં 10થી 11 ગણા વધુ છે. એ હકીકત છે કે લોકડાઉનના સમયગાળા દરમ્યાન હવાનું પ્રદૂષણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યું હતું. જોકે, પ્રદૂષણના કણોનો આ ઘટાડો ટૂંકા ગાળા માટે હતો. સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટે પોતાના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ઓક્ટોબર, 2020થી જાન્યુઆરી, 2021 દરમ્યાન હવાના પ્રદૂષણનું સ્તર પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ઊંચું હતું.

99 દેશોમાં સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં મળેલાં પરિણામોના આંકડા દર્શાવે છે કે દેશનાં 43 શહેરોમાં ચેતવણીજનક સ્થિતિ પ્રવર્તે છે. આ શહેરોમાં ગુરુગ્રામ, લખનઉ, જયપુર, આગ્રા, નવી મુંબઈ, જોધપુર, કોલકતા, વિશાખાપટનમ અને અન્ય શહેરો સામેલ છે. ડેટા દર્શાવે છે કે તાપમાન ઘટે ત્યારે પ્રદૂષણ વધતું હોય તેવાં શહેરોમાં ઔરાંગાબાદ, ઈન્દોર, ભોપાલ, કોચી, કોઝીકોડ જેવાં શહેરોનો સમાવેશ થાય છે.

દિલ્હી આઈઆઈટી અને હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્તપણે હાથ ધરાયેલો અભ્યાસ દર્શાવે છે કે પાંચ વર્ષથી નાનાં બાળકોમાં જે પ્રમાણમાં હવાનું પ્રદૂષણ વધ્યું હોય, તેટલી માત્રામાં એનિમિયા વધતો જોવા મળ્યો છે. કમનસીબે જ્યારે હવામાં પ્રદૂષણની સ્થિતિ વધુ બગડી રહી છે, તેવા સમયે હવાની ગુણવત્તા વધારવા માટેની અંદાજપત્રીય જોગવાઈઓમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે ઓછામાં ઓછું સીએસઈના સંશોધનના પરિપ્રેક્ષ્યમાં આ નાણાંકીય ફાળવણી વધારવી જોઈએ.

લાંબો સમય હવાના પ્રદૂષણમાં રહેતા લોકોમાં મગજ અને કીડનીની કામગીરી ગંભીર રીતે કથળી હોવાનું જોવા મળ્યું છે. હવાની ગુણવત્તાના પ્રમાણ મુજબ ફેફસાંને લગતું જોખમ પણ વધે છે. હવાની ગુણવત્તા સુધારવા માટેના નેશનલ એક્શન પ્લાનના અમલમાં પણ ગંભીર ત્રુટિઓ છે. નીતિ આયોગે જૂના થર્મલ પાવર પ્લાન્ટ્સ બંધ કરવા સૂચવ્યું હતું અને કચરાના વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે પણ જણાવ્યું હતું. પરંતુ આવી શાણી સલાહોને અનુસરવામાં કોઈને રસ હોય તેમ લાગતું નથી. પ્રદૂષણ નિયંત્રણ માટે ઘડાયેલા કાયદાઓના અનુપાલનમાં ભાગ્યે જ કોઈ રસ હોય તેમ જણાય છે.

પોતાના નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહેલા દેશો તેમનાં જળ અને વાયુની ગુણવત્તા સુધારી શક્યા છે. ઈન્ડોનેશિયા જેવા દેશો હરિયાળી વધારવી અને ઓર્ગેનિક કચરામાંથી મિથેનનું ઉત્પાદન કરવા ઉપર ઘણો ભાર મૂકી રહ્યા છે. બર્લિન, શાંઘાઈ, લંડન, મેડ્રિડ અને સિઉલ જેવાં શ્રેષ્ઠ પરિવહન વ્યવસ્થાતંત્ર માટે પ્રતિષ્ઠા ધરાવતા દેશો વાહનોનું પ્રદૂષણ તેમજ પ્રદૂષણનાં અન્ય સ્વરૂપોને અટકાવવા માટે પૂરતી સાવચેતીઓ દાખવી રહ્યાં છે.

ચીન વર્ષ 1998થી 15 વર્ષ માટે બળતણની માળખાકીય સવલતો સુધારવા માટે પ્રતિબદ્ધ છે. તે દર વર્ષે પ્રદૂષણ નિયંત્રણ માટે નવાં લક્ષ્યાંકો સ્થાપે છે અને હાંસલ કરે છે. ગયા વર્ષે બીજિંગમાં હવામાં છોડાયેલાં પ્રદૂષણનાં કણ પ્રતિ ક્યુબિક મીટર 38 માઈક્રોગ્રામ્સ હતાં. આ વર્ષે ચીનની સરકારે આ પ્રમાણ ઘટાડીને 34.5 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર કરવાનું નક્કી કર્યું છે. ચીને જાહેર કર્યું છે કે આગામી પાંચ વર્ષોમાં તે કોલસાનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરી દેશે અને તેના સ્થાને વૈકલ્પિક બળતણ ઉપયોગમાં લેશે. કોલસાને બળતણ તરીકે ઉપયોગમાં લેતાં નવાં એકમો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દેશમાં જંગલોના રક્ષણ માટે વ્યવસ્થાતંત્ર સ્થપાયું છે અને પ્રદૂષણકારક એકમોનાં નિયમન માટે યોજના અમલી બનાવી છે.

ભારતે પણ વાયુ પ્રદૂષણ સામે રક્ષણ માટે કાયદા અમલી બનાવ્યા છે અને માર્ગદર્શિકા ઘડી છે. પરંતુ સરકારી અધિકારીઓ અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો અભાવ આપણા દેશમાં સર્જાયેલી વાયુ પ્રદૂષણની કટોકટીનું કારણ છે. દર વર્ષે 12 લાખ લોકોનો ભોગ લેતા વાયુ પ્રદૂષણ પ્રત્યે બેદરકારીભર્યું વલણ ત્યજવું, એ હવાની ગુણવત્તા સુધારવા તરફનું સૌપ્રથમ પગલું બની રહેશે.

આ પણ વાંચો: પેટ્રૉલિયમ પેદાશોના ભાવમાં ભયજનક વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.