ETV Bharat / opinion

રાજ્યોની નાણાંકીય સ્થિતિનાં લેખાં-જોખાં

author img

By

Published : May 10, 2020, 5:13 PM IST

ETV BHARAT
રાજ્યોની નાણાંકીય સ્થિતિનાં લેખાં-જોખાં

કોરોના મહામારીએ જાણે વિશ્વ યુદ્ધના વિનાશની ભયંકરતા આપણી નજર સમક્ષ તાદૃશ કરી દીધી છે! નિવારક પગલાં ભરવામાં નિષ્ફળ નીવડેલા દેશોએ અનેક નાગરિકોના જાન ગુમાવવા પડ્યા છે અને જે દેશોએ સાવધાની વર્તી, તેમણે ગંભીર આર્થિક મુશ્કેલી વેઠવી પડી છે, તેમનું કુલ સ્થાનિક ઉત્પાદન સાવ તળિયે જઇ પહોંચ્યું છે.

ન્યૂઝ ડેસ્કઃ કોરોના મહામારીએ જાણે વિશ્વ યુદ્ધના વિનાશની ભયંકરતા આપણી નજર સમક્ષ તાદૃશ કરી દીધી છે! નિવારક પગલાં ભરવામાં નિષ્ફળ નીવડેલા દેશોએ અનેક નાગરિકોના જાન ગુમાવવા પડ્યા છે અને જે દેશોએ સાવધાની વર્તી, તેમણે ગંભીર આર્થિક મુશ્કેલી વેઠવી પડી છે, તેમનું કુલ સ્થાનિક ઉત્પાદન સાવ તળિયે જઇ પહોંચ્યું છે. ભારતે માનવ જીવનને પ્રાથમિકતા આપીને 6 અઠવાડિયા અગાઉ લોકડાઉન લાગુ કર્યું, તે સાથે જ દેશનું અર્થતંત્ર સાચા અર્થમાં ICUમાં પહોંચી ગયું છે.

જનતાના આરોગ્યનું રક્ષણ કરવું એ સરકારની બંધારણીય જવાબદારી છે. રાજ્ય સરકારો તેમનાં લોકોને કોવિડથી બચાવવા માટે તેમની ઊર્જાઓ કામે લગાડી રહી છે, તેવા સમયે નાણાંકીય ખોટની સમસ્યા એક વાસ્તવિક પડકાર છે! રાજ્યો જે કરની આવક વસૂલતાં હોય છે, તે 46 ટકા છે અને કરવેરા સિવાયની આવક 8 ટકા છે, તે સિવાયનો આવકનો બાકીનો હિસ્સો કેન્દ્રીય કરવેરાનો (26 ટકા) અને ગ્રાન્ટ્સ (20 ટકા)નો હોય છે.

રાજ્ય સરકારોની આવકના મહત્વના સ્રોતો અર્થાત, GST (39.9 ટકા), પેટ્રો-પેદાશો પરનો વેટ (21.5 ટકા), એક્સાઇઝ (11.9 ટકા), સ્ટેમ્પ રજિસ્ટ્રેશન (11.2 ટકા) અને વાહન વેરા (5.7 ટકા) લોકડાઉન દરમિયાન બંધ થઇ ગયા છે. ગયા મહિને તેલંગણાની આવક રૂપિયા 5,000 કરોડ હતી, પરંતુ વાસ્તવિક આવક રૂપિયા 50 કરોડ હતી! ઉત્તર પ્રદેશ સરકારે એપ્રિલ મહિનામાં રૂપિયા 2,284 કરોડની આવક પ્રાપ્ત કરી હતી, જ્યારે તેની વેતન-ભથ્થાંની જરૂરિયાત રૂપિયા 12 હજાર કરોડ હતી! યુદ્ધ જેવી આ અભૂતપૂર્વ સ્થિતિમાં આવક અને ખર્ચના અસંતુલન વચ્ચે ફસાયેલી રાજ્ય સરકારો કેન્દ્ર પાસેથી નાણાંકીય સહાયની અપેક્ષા સેવે, તે એકદમ યોગ્ય છે. બજેટના અંદાજોની તુલનામાં કરવેરાની વસૂલાત થકી થયેલી નબળી આવકને કારણે રાજ્યોને ભંડોળની તબદીલીમાં રૂપિયા 2 લાખ કરોડની ખાધ પડશે, જે ચિંતાજનક બાબત છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આ નાણાંકીય કટોકટીમાંથી ઉગારી લેવાં જોઇએ.

દાયકાઓથી, સહકારી સંઘવાદની સંકલ્પના ભારતીય અર્થવ્યવસ્થાનો નિયમ બની ચૂક્યો છે, પરંતુ રાજ્યોની નાણાંકીય સ્વાયત્તતા મૃગજળસમાન બની રહી છે. ચૌદમી ઇકોનોમિક કાઉન્સિલે રાજ્યોના 42 ટકા શેરહોલ્ડિંગની તરફેણ કરી હોવા છતાં આ ક્ષેત્રે તેટલી માત્રામાં ભંડોળનો પ્રવાહ આવતો નથી. 2017માં અમલમાં આવેલા GST એક્ટ હેઠળ રાજ્યોએ કરવેરા સંબંધિત તેમની સત્તાઓનો એક મોટો ભાગ GST કાઉન્સિલને સોંપી દીધો છે. 15મું નાણાંકીય પંચ નવી માર્ગદર્શિકા હેઠળ શું કરશે તે અંગે કોઇ સ્પષ્ટતા ન હોવાથી રાજ્ય સરકારો પાસે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ, 2003 હેઠળ દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી.

અભ્યાસો એ તથ્યની પુષ્ટિ કરે છે કે, કેન્દ્રની તુલનામાં રાજ્યોનાં નાણાંકીય અંદાજપત્રો કોરોનાની અસરથી વધુ પ્રભાવિત થયાં છે. રાજ્યોનો અંદાજ હતો કે, ગત નાણાંકીય વર્ષ દરમિયાન તેઓ વેટ અને સેલ્સ ટેક્સ થકી રૂપિયા 3.26 લાખ કરોડ, એક્સાઇઝ ડ્યૂટી પર રૂપિયા 1.75 લાખ કરોડ તથા સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન થકી રૂપિયા 1.4 લાખ કરોડ મેળવશે, પરંતુ કોરોના ઇફેક્ટને કારણે તેમનાં તમામ અંદાજો પર પાણી ફરી વળ્યું છે. રાજ્યો કોરોનાની કટોકટીનો સામનો કરવા માટેના જરૂરી ભંડોળ તથા ખર્ચને કેવી રીતે પહોંચી વળવું તેની ગડમથલમાં ભરાઇ ગયાં છે.

કેરળ કેન્દ્ર પાસેથી GSTની બાકી નિકળતી રકમની ઝડપથી ચૂકવણીની દ્રઢપણે હિમાયત કરી રહ્યું છે. RBI ભંડોળની કામચલાઉ વ્યવસ્થાની મર્યાદાને વધારે, તો પણ રાજ્યોને તેનાથી કોઇ નોંધપાત્ર રાહત મળે, તેમ જણાતું નથી. ઘણાં રાજ્યો FRBM એક્ટ સુધારવાની અને વધારાના 2 ટકાના ધિરાણની જોગવાઇ માટે માગણી કરી રહ્યાં છે, જ્યારે કેન્દ્ર સરકાર રાજ્યોનું આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરશે, માત્ર ત્યારે જ રાજ્યો કોવિડ સામે અસરકારક રીતે લડવા માટે સક્ષમ બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.