ETV Bharat / city

શું કેન્દ્રીય કેબિનેટમાં દર્શના જરદોશની પસંદગી ડેમેજ કંટ્રોલના ભાગરૂપે થઈ છે ?

author img

By

Published : Jul 7, 2021, 10:49 PM IST

શું કેન્દ્રીય કેબિનેટમાં દર્શના જરદોશની પસંદગી ડેમેજ કંટ્રોલના ભાગરૂપે થઈ છે ?
શું કેન્દ્રીય કેબિનેટમાં દર્શના જરદોશની પસંદગી ડેમેજ કંટ્રોલના ભાગરૂપે થઈ છે ?

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) સાથે થશે. ગુજરાતના રાજકારણ (Politics of Gujarat) માં AAP એ સુરતથી પગપેસારો કર્યો હોવાથી ભાજપ હાઈ કમાન્ડની સીધી નજર સુરત પર છે. સુરતને પ્રાધાન્ય આપવા માટે અને AAP એ કરેલા ડેમેજને કંટ્રોલ કરવા જંગી બહુમતીથી વિજય મેળવનારા સાંસદ દર્શના જરદોશને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હોવાની પ્રબળ શક્યતા છે.

  • સુરતના સાંસદ દર્શના જરદોશને મળ્યું કેબિનેટમાં સ્થાન
  • આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પસંદગી કરાઈ હોવાની શક્યતા
  • AAP એ સુરતમાં પહોંચાડેલા ડેમેજને પહોંચી વળવા માટે કરાઈ પસંદગી

સુરત : ગુજરાતના રાજકારણ (Politics of Gujarat) માં સુરત હંમેશા આગવું સ્થાન ધરાવે છે. આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે માત્ર એક વર્ષનો સમય બાકી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી (AAP) એ પણ સુરતથી જ પગપેસારો કર્યો છે. એવામાં AAP રાજ્યના અન્ય શહેરોમાં ન પ્રસરે તે માટે ભાજપ હાઈકમાન્ડની નજર સુરત પર છે. જેના કારણે સાંસદ દર્શના જરદોશને કેબિનેટ પ્રધાન બનાવ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

જાણો શું કહેવું છે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ અને AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું..

સુરતમાં AAPનો વ્યાપ

આ વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections of Gujarat) માં સુરત મહાનગર પાલિકા (SMC) માં આમ આદમી પાર્ટી (AAP) ના 27 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા. સુરત મ.ન.પા.માં કદાચ પ્રથમ વખત કોંગ્રેસ ક્લિન બોલ્ડ થઈ હતી. ચૂંટણીમાં પ્રથમ વખત જંપલાવનારા કોઈ પક્ષે પ્રથમ વખત સારૂ પ્રદર્શન કર્યું હશે. 27 કોર્પોરેટરો સાથે AAP એ સુરત મ.ન.પા.માં વિપક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

AAP ના 90 ટકા કોર્પોરેટર પાટીદાર સમાજના

120 બેઠકોમાંથી 27 બેઠક મેળવનારા આમ આદમી પાર્ટી (AAP) ની નજર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) પર છે. ભાજપ આ વાતને સારી રીતે જાણે છે. સુરતમાં AAP એ 27 બેઠકો જે વિસ્તારમાંથી મેળવી છે. તે તમામ પાટીદાર બહુલ્ય વિસ્તાર ગણવામાં આવે છે. 90 ટકા AAPના કોર્પોરેટર પાટીદાર સમાજના છે. આ વિસ્તારમાં આશરે 25 લાખ લોકો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા છે. સુરતનો હીરા ઉદ્યોગ આ લોકોના કારણે ધમધમી રહ્યો છે અને આ વિસ્તારના લોકોએ પાલિકાની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ, આમ આદમી પાર્ટી(AAP) ને પસંદ કરી છે.

ભાજપથી નારાજ અઢી હજાર કાર્યકર્તાઓ AAP સાથે

ગુજરાત આમ આદમી પાર્ટી (Gujarat AAP) ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ સુરતથી છે અને પોતે પાટીદાર સમાજમાંથી આવે છે. AAPના નિશાના પર કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ છે. AAPના 27 કોર્પોરેટરો અને તેમના પ્રમુખ પાટીદાર સમાજમાં સારી છાપ છોડી શકે છે. જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. સૌથી અગત્યની વાત છે કે, સુરતમાં અત્યાર સુધીમાં કોંગ્રેસના નહીં, પરંતુ ભાજપથી નારાજ અઢી હજારથી વધુ કાર્યકર્તાઓ AAPમાં જોડાયા છે. વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષ બાકી છે ત્યારે AAPના રાષ્ટ્રીય નેતાઓએ પણ ગુજરાતમાં પોતાનો જનાધાર વધારવા માટે પાટીદારોને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

સુરત એ AAP માટે ગુજરાતના રાજકારણનો પ્રવેશદ્વાર

સુરત મહાનગર પાલિકા (SMC) ની ચૂંટણી યોજાઈ તે પહેલાથી આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય નેતાઓએ સુરતમાં ધામા નાંખ્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodiya) પણ અવારનવાર સુરતની મુલાકાતે આવતા રહે છે. આમ, સુરત આવીને આ બન્ને નેતાઓએ ગુજરાતમાં AAPનો પ્રવેશદ્વાર બનાવ્યો હતો. જ્યાં પ્રથમ ચૂંટણીમાં જ ગુજરાતમાં પગપેસારો કરવાનો તેમનો મનસૂબો સફળ રહ્યો તેમ કહી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.