ETV Bharat / city

અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાદ હાર્દિક પટેલનું નિવેદન, જો કોંગ્રેસમાં જોડાવુ હોય તો દરવાજા ખુલ્લા

author img

By

Published : Jul 15, 2021, 8:00 PM IST

અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાદ હાર્દિક પટેલનું નિવેદન, જો કોંગ્રેસમાં જોડાવુ હોય તો દરવાજા ખુલ્લા
અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાદ હાર્દિક પટેલનું નિવેદન, જો કોંગ્રેસમાં જોડાવુ હોય તો દરવાજા ખુલ્લા

એટ્રોસીટી અને મારામારીના કેસમાં જેલવાસ ભોગવી રહેલા અલ્પેશ કથીરિયા આજે ગુરૂવારે જેલમુક્ત થતા તેમના સ્વાગત માટે હાર્દિક પટેલ સહિત પાસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ અંગે હાર્દિક પટેલે મીડિયા સમક્ષ વાતચીતમાં અલ્પેશને કોંગ્રેસમાં જોડાવું હોય તો તેના માટે દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું.

  • મ.ન.પા.ની ચૂંટણી વખતે ધાર્મિક અને અલ્પેશ નારાજ હતા
  • આમ આદમી પાર્ટીએ જે વાયદાઓ આપ્યા હતા તે પૂરા કરે : હાર્દિક
  • જોડાવા માટે કોઈ ઓફર ન હોય, ઓફર તો નરેન્દ્રભાઈ આપે છે : હાર્દિક

સુરત : એટ્રોસીટી અને મારામારીના ગુનામાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. જેને લઈને અલ્પેશ આજે ગુરૂવારે જેલની બહાર આવ્યો હતો. જેલની બહાર તેનું સ્વાગત કરવા માટે હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અલ્પેશ જેલની બહાર આવતા જ તેને ખભે ઉચકી લેવાયો હતો અને જય હિન્દ અને જય સરદારના નારા લાગ્યા હતા. તો બીજી તરફ હાર્દિક પટેલે અલ્પેશને કોંગેસમાં લાવવા માટે શું ઓફર કરાશે, તેના જવાબમાં જણાવ્યું હતું કે એમાં ઓફર ન હોય, ઓફર નરેન્દ્રભાઈ કરે છે.

અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાદ હાર્દિક પટેલનું નિવેદન, જો કોંગ્રેસમાં જોડાવુ હોય તો દરવાજા ખુલ્લા

શા માટે અલ્પેશ કથીરિયા હતો જેલમાં ?

સુરતના વેલંજા ગામમાં ચૂંટણી સમયે પાસ અને BTPના કાર્યકરો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં BTPની કારને નુક્સાન પણ પહોચાડવામાં આવ્યું હતું. આ સાથે 5 જેટલા કાર્યકરોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અલ્પેશ કથીરિયા સહિતના પાસના આગેવાનો સામે એટ્રોસિટી સહિત ઘાડ અને માર મારવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે 4 મહિના સુધી જેલવાસ ભોગવ્યા બાદ અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.

પોલીસની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

જામીન મળતા જ હવે અલ્પેશ જેલમુક્ત થયો છે. લાજપોર જેલ બહાર અલ્પેશનું સ્વાગત કરવા માટે હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા અને મોટી સંખ્યામાં પાસ સમિતિના કાર્યકરો હાજર રહ્યા હતા. અલ્પેશ કથીરિયા જેલની બહાર આવતા જ તેને ખભા પર ઉચકી લેવામાં આવ્યો હતો. આ સાથે જ તેના પર પુષ્પની વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં જય સરદાર અને જય હિન્દના નારા પણ લાગ્યા હતા, પરંતુ ત્યાં પોલીસની હાજરીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા અને પોલીસ તમાશો જોતી રહી હતી.

અલ્પેશ અમારા આંદોલનનો કન્વીનર અને સાથી છે : હાર્દિક

હાર્દિક પટેલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ અમારા આંદોલનનો કન્વીનર અને સાથી છે. આજે જયારે તે જેલમાંથી છૂટી રહ્યો છે. ત્યારે તેનો ઉત્સાહ વધારવા માટે અમે અહીં પહોંચ્યા છે. જે પણ લોકો જનતાના હિત માટે લડે છે. તેની હિંમત મળે તે માટેના અમે પ્રયાસ કરીશું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, કોઈ પણ પાર્ટીનો માણસ કોઈને હિમત આપવા માંગતો હોય તો તેને રોકવો ન જોઈએ તેનું સ્વાગત છે.

AAPએ જે વાયદાઓ કર્યા હતા તે પૂરા કરે : હાર્દિક

હાર્દિકે મ.ન.પા.ની ચૂંટણી વખતે ધાર્મિક અને અલ્પેશ નારાજ હતા તે અંગે જણાવ્યું હતું કે, સમયાંતરે લોકો નારાજ પણ હોય છે અને પ્રેમ પણ હોય છે. પરંતુ સવાલ એ છે કે દિલથી અંગતથી લોકો કેટલા છે તે જોવાનું છે. મહત્વનો સવાલ એ છે કે, ગુજરાતની જનતાની માટે કોણ સવાલ ઉભો કરે છે. કોણ લડે છે તે જોવું રહ્યું. અને આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો ચૂંટાયા છે. તેને હજુ 6 મહિના થયા છે. હજુ સાડા વર્ષ બાકી છે. તેમણે જે વાયદાઓ કર્યા હતા તે પૂરા કરે.

અમે ઓફર નથી કરતા ઓફર નરેન્દ્રભાઈ કરે છે : હાર્દિક

અલ્પેશને કોંગ્રેસમાં લાવવા માટે હાર્દિકે જણાવ્યું હતું કે હું ક્યારેય કોઈને દબાણ કરવા વાળો વ્યક્તિ નથી. ગાંધી અને સરદારની ભૂમિ જે પણ સારું કરી શકે તેના માટે અમારા દરવાજા ખુલ્લા છે. આ ઉપરાંત શું અલ્પેશને કોંગ્રેસમાં આવવા માટે ઓફર કરાશે તેવો સવાલ પૂછતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આમાં ઓફર ન હોય. ઓફર તો નરેન્દ્રભાઈ કરે છે. અલ્પેશ જો કોંગ્રેસમાં જોડવા માંગશે તો દરવાજા ખુલ્લા છે. તેનું સ્વાગત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.