- સુરત મ.ન.પા.ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો
- ભાજપ દ્વારા મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
- પ્રબળ દાવેદાર દર્શના કોઠીયાને પાછળ છોડીને બન્યા મેયર
સુરત: શુક્રવારનાં રોજ સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ભારે અટકળો વચ્ચે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના નજીકના ગણાતા હેમાલી બોઘાવાલાની સુરતના મેયર તરીકે વરણી કરવામાં આવી છે. સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલાએ ETV Bharatના માધ્યમથી સુરતીઓનો આભાર વ્યક્ત કરીને વિકાસલક્ષી કામને આગળ ધપાવવાની આશા વ્યક્ત કરી હતી.
સામાજિક કાર્યો કરવાની સાથે સાથે GSRTCના ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે
હેમાલી બોઘાવાલા શરૂઆતથી જ ભાજપના સક્રિય કાર્યકર્તા રહ્યા છે. અગાઉ તેઓ GSRTCના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેમણે સંગઠનની સાથે સાથે સામાજિક કામો પણ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મેયર પદ ગ્રહણ કર્યા બાદ તેઓ વિકાસલક્ષી કાર્ય પર વધુ ધ્યાન આપશે. મેયર પદ માટે તેમની વરણી કરવા બદલ તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે ડૉ. દર્શિતા શાહની નિમણૂક થતાં ખાસ વાતચીત
ગોડફાધર કે ગોડમધર જેવું કંઈ નથી હોતું, કાર્યકર્તાઓની મહેનત જ તેમને પદ આપાવે છે
ભારે અટકળો વચ્ચે હેમાલી બોઘાવાલાની વરણી થઇ છે. આ પદ માટે પ્રબળ દાવેદાર ગણાતા દર્શના કોઠીયાને પાછળ છોડીને હેમાલી બોઘાવાલા મેયર બન્યા છે. હેમાલી બોઘાવાલા પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. આનંદીબેન તેમના ગોડમધર હોવા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપના કોઈપણ કાર્યકર્તા માટે ગોડફાધર કે ગોડમધર હોતું નથી. કાર્યકર્તાઓની મહેનત જ તેમને પદ આપાવે છે.