સુરતમાં એક જ દિવસે એક સાથે 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનની બીજી ઘટના, 7 વ્યક્તિને મળ્યું નવું જીવન

author img

By

Published : Sep 18, 2021, 7:21 PM IST

Updated : Sep 18, 2021, 8:06 PM IST

અંગદાનથી 7 વ્યક્તિને મળ્યું નવું જીવન

શહેરમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાન કરાવવાની છત્રીસમી ઘટના બની છે. ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની બીજી ઘટના છે. અંગદાનને લઇ જાગૃતતાના કારણે ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

  • ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાન કરાવવાની છત્રીસમી ઘટના બની
  • ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ
  • સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે

સુરત: શહેરમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાન કરાવવાની છત્રીસમી ઘટના બની છે. ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની બીજી ઘટના છે. અંગદાનને લઇ જાગૃતતાના કારણે ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપવામાં આવ્યું

વાગડ વિશા ઓસવાળ સમાજ તેમજ લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ વિરેન્દ્રભાઈ (ઉર્ફે રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા અને જમનભાઈ પોપટભાઈ ગોંડલીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવુંજીવન આપી માનવતાની મહેક ફેલાવી. સુરતની કિરણ હૉસ્પિટલથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હૉસ્પિટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું. વલસાડ અમરધામ કૉ.ઓ.સોસાયટી, શીલાપાર્ક કોમ્પ્લેક્ષ, તીથલ રોડ વલસાડ ખાતે રહેતા 57 વર્ષીય વિરેન્દ્રભાઈ (ઉર્ફે રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા કે જેઓ વલસાડમાં ડીલક્ષ ઝેરોક્ષ સેન્ટરના નામથી સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા.

મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું

મંગળવાર તા.14 સપ્ટેમ્બરના રોજ સવારે 5.30 કલાકે વિરેન્દ્રભાઈને એકાએક બ્લડપ્રેશર વધી જવાથી લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કર્યા. નિદાન માટે સિટીસ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું જણાતા પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હૉસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સિટીસ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું સામે આવ્યું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

બ્રેઈન હેમરેજ થયું હતું

મૂળ રહેવાસી ગામ વિભાણીયા, તા.કાલાવડ, જીલ્લો જામનગર અને હાલ હરેકૃષ્ણ સોસાયટી, કતારગામ ખાતે રહેતા 40 વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા કે જેઓ રત્નકલાકાર તરીકે કાર્ય કરતા હતા. તેઓ બુધવાર તા.15 સપ્ટેમ્બરના રોજ સાંજે 8.00 કલાકે જમીને બેઠા હતા, ત્યારે બ્લડપ્રેશર વધી જવાને કારણે બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હૉસ્પિટલમાં ડૉ. કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સિટીસ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું.

7 વ્યક્તિઓને નવુંજીવન મળ્યું

શુક્રવાર તા.17 સપ્ટેમ્બરના રોજ કિરણ હૉસ્પિટલના ડૉક્ટરોએ વિરેન્દ્રભાઈ અને જમનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. કિરણ હૉસ્પિટલના ડૉ. મેહુલ પંચાલ અને ડોનેટ લાઈફની ટીમે બંને પરિવારોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા તેઓ અંગદાન માટે તૈયાર થતા તેઓની 2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું, જેનાથી 7 વ્યક્તિઓને નવું જીવન મળ્યું.

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ આસામના 39 વર્ષીય ખેડૂતમાં કરવામાં આવ્યું

સુરતની કિરણ હૉસ્પિટલથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હૉસ્પિટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં કરવામાં આવ્યું છે. આ યુવક 2019થી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પીંગ 5% થી 10% જેટલું થઇ ગયું હતું. દાનમાં મેળવવામાં આવેલા એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભિલોડા, સાબરકાંઠાના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હૉસ્પિટલમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હૉસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 13 વર્ષીય બાળકમાં

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 13 વર્ષીય બાળકમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાના રહેવાસી 29 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હૉસ્પિટલમાં કરવામાં આવ્યું છે. કિરણ હૉસ્પિટલમાં અત્યાર સુધી 12 કિડનીના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જે બધા જ ટ્રાન્સપ્લાન્ટ લાઈવ એટલે કે દર્દીના પરિવારમાંથી કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. સુરતમાં સૌપ્રથમ વખત કિરણ હૉસ્પીટલમાં કેડેવરિક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે.

2 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા

ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ બીજી ઘટના છે, જેના થકી કુલ 19 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. ગુજરાતમાંથી હૃદયદાનની આ સુડતાલીસમી ઘટના છે, જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ છત્રીસમી ઘટના છે, જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

વધુ વાંચો: શિક્ષણપ્રધાન બન્યાં બાદ સુરત પહેલીવાર આવ્યાં જીતુ વાઘાણી, અનાજ કિટનું વિતરણ કર્યું

વધુ વાંચો: બારડોલીમાં PM Modiના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર રહ્યા ઉપસ્થિત, રાંધણ ગેસની કિટનું વિતરણ કરાયું

Last Updated :Sep 18, 2021, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.