ETV Bharat / city

Survey: કોરોનાથી પારિવારિક સભ્યનું મૃત્યુ થયું હોય તેવા લોકોને લાગતો અતાર્કિક ભીડનો ભય

author img

By

Published : Jul 17, 2021, 5:36 PM IST

Rajkot survey
Rajkot

જેના ઘરમાં લોકોએ કોરોના ભોગવ્યો અને કોઈનું મૃત્યુ થયું તે પરિવારનું દર્દ અલગ છે. તેઓ આજે પણ ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે. ગુગલ ફોર્મના માધ્યમ દ્વારા એક સર્વે (Survey) કરવામાં આવ્યો હતો. ગુગલફોર્મ દ્વારા 621 લોકો પાસેથી માહિતી એકઠી કરવામાં આવી હતી

  • કોરોના જેવા રોગના કારણે લોકો એકબીજાથી દૂર થયા છે
  • કોરોના કાળમાં ઘણા લોકો ડેમોફોબિયા (demofobia) એટલે કે ભીડના ભયનો ભોગ બન્યા
  • ગુગલફોર્મ દ્વારા 621 લોકો પાસેથી માહિતી એકઠી કરી

રાજકોટ: વર્તમાનપત્ર અને ટીવીમાં જોઈએ છીએ કે લોકો પ્રવાસના સ્થળે ઉમટી પડ્યા છે અને લોકોએ ભેગા થવાનું શરૂ કર્યું છે. પણ જેના ઘરમાં લોકોએ કોરોના ભોગવ્યો અને કોઈનું મૃત્યુ થયું તે પરિવારનું દર્દ અલગ છે. તેઓ આજે પણ ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે. ગુગલ ફોર્મના માધ્યમ દ્વારા એક સર્વે (Survey) કરવામાં આવ્યો હતો. જેના ઘરમાં કોરોના આવ્યો હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય તેવા લોકો પાસેથી માહિતી એકઠી કરવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવીએ ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં ગુગલફોર્મ દ્વારા 621 લોકો પાસેથી માહિતી એકઠી કરવામાં આવી હતી.

લોકોને ગૂગલ ફોર્મ દ્વારા વિવિધ પ્રશ્ન પૂછવામાં આવ્યા

કોરોના સમય પહેલા તમને ભીડમાં જવું અને લોકો સાથે રહેવું ગમતું હતું?
જેમાં 77.8 ટકાએ હા અને 22.2 ટકાએ ના કહ્યું હતું.

શું હવે ક્યારેક 10થી 15 લોકો ભેગા થયા હોય ત્યાં જતા પણ ભય લાગે છે?
જેમાં 60 ટકાએ હા અને 40 ટકાએ ના કહ્યું હતુંં.

ભીડમાં જવાનું તમે ટાળો છો?
જેમાં 85.2 ટકાએ હા અને 14.8 ટકાએ ના કહ્યું હતું.

કોઈ દુકાનમાં ખરીદી કરવા જાવ અને 2 કે 3 ગ્રાહક હોય તો પણ ત્યાં જવાનું ટાળો છો?
જેમાં 51.9 ટકાએ હા અને 48.1 ટકાએ ના કહ્યું હતું.

ફરવા જવામાં કે કોઈના ઘરે જવામાં ભય લાગે છે?
જેમાં 65 ટકાએ હા અને 35 ટકાએ ના કહ્યું હતું.

તમારા ઘરે કોઈ મહેમાન આવે તો ભય લાગે છે?
જેમાં 55.6 ટકાએ હા અને 44.4 ટકાએ ના કહ્યું હતું.

ભીડ વાળી જગ્યાએ જતા શ્વાસ લેવામાં પણ ક્યારેક તકલીફ પડે છે?
જેમાં 70.4 ટકાએ હા અને 29.6 ટકાએ ના કહ્યું હતું.

વર્તમાન પત્રમાં ભીડ જોતા કોરોનાના વિચાર આવવા લાગે છે?
જેમાં 51.9 ટકાએ હા અને 48.1 ટકાએ ના કહ્યું હતું.

ભીડ જોતા ગુસ્સો કાબૂમાં ન રહેતો હોય એવું લાગે છે?
જેમાં 66.7 ટકાએ હા અને 33.3 ટકાએ ના કહ્યું હતું.

શું ભીડને કારણે માર્કેટમાં જવાનું બંધ કર્યું છે?
જેમાં 63 ટકાએ હા અને 37 ટકાએ ના કહ્યું.

ભીડના ભયને લીધે ઓનલાઈન ખરીદી શરૂ કરી છે?
જેમાં 55.6 ટકાએ હા અને 44.4 ટકાએ ના કહ્યું હતું.

શું છે ડેમોફોબિયા?

ગ્રીક ભાષામાં ડેમો એટલે ભીડ અને ફોબિયા એટલે ડર. ડેમોફોબિયા (demofobia) એટલે ભીડનો ભય. જે એન્કોલોફોબિયાના નામથી પણ ઓળખાય છે. હાલ કોરોના કાળમાં ઘણા લોકો ડેમોફોબિયા એટલે કે ભીડના ભયનો ભોગ બન્યા છે. આ ફોબિયાથી પીડાતા લોકો ભીડ અથવા લોકોને જોઈને અકારણ અને અતાર્કિક ભયનો અનુભવ કરે છે. ઉપરાંત ભીડને જોઇને ચિંતાનો અનુભવ કરે છે. ડેમોફોબિયાની પ્રતિક્રિયા શારીરિક તેમજ માનસિક બંને રીતેે જોવા મળે છે.

લક્ષણો

1. ભીડને જોઈને છાતીમાં દુખાવો થવો, શ્વાસ ચડવો કે શ્વાસ ઝડપી થવો.
2. હૃદયના ધબકારા વધી જવા
3. શરીરમાં ધ્રુજારી આવવી
4. પરસેવો વળવો
5. ગભરામણ થવી
6. અસ્વસ્થતાનો અનુભવ થવો
7. વધારે ચિંતાનો અનુભવ થવો
8. ભીડને જોઇને અકારણ ભય લાગવો
9. પોતાની લાગણીઓ કે વાતને રજૂ ન કરી શકે
10. એકાંત વધારે ગમે

કારણો

ડેમોફોબિયા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે. જેમકે, કોઈ ઘટના કે બનાવ, મગજના રસાયણોમાં ખામી વગેરે. હાલના સમયે કોરોના જેવા રોગના કારણે લોકો એકબીજાથી દૂર થયા છે. લોકો સાથે મળવાથી કે વધારે લોકોને જોઈને ઘણા લોકોને ચિંતાનો કે ગભરામણનો અનુભવ થાય છે. જેથી ઘણા લોકો આ સમયે ડેમોફોબિયાનો ભોગ બન્યા છે.

કોરોનાને કારણે આખો દિવસ ઘરમાં રહેતા થયા

છેલ્લા દોઢ વર્ષથી ઘણા લોકો કોરોના (corona) ને કારણે આખો દિવસ ઘરમાં રહેતા થયા છે. ઘરે બેસીને કામ કરતા થયા છે, બાળકો શાળાએ જતા અટકી ગયા છે અને ઘરમાં પુરાયા છે. વૃદ્ધો પણ ઘરમાં પુરાયા છે. ગૃહિણીઓ પણ પોતાની સહેલીઓ કે પરિવાર સાથે બહાર જતી તેના બદલે ઘરમાં પુરાઈ ગઈ છે. આ બધી બાબતો ડેમોફોબિયાને પ્રેરે છે.

સતત સોશિયલ ડિસ્ટન્સના નિયમને પાલન કરવાનો સંદેશ મળે છે

ટેલિવિઝન, સોશિયલ મીડિયા, મેગેઝિન, ન્યુઝ પેપર, ફોનની કોલરટયુનમાં, રસ્તાઓ પરના સ્પિકરોમાં વગેરે જગ્યાઓએ સતત સોશિયલ ડિસ્ટન્સના નિયમને પાલન કરવાનો સંદેશ મળે છે. ઉપરાંત, વધારે લોકો ભેગા થાય તો તેની સજા આપવામાં આવે છે વગેરે બાબતોની ઊંડી અસર મગજ પર પડે છે. જે ડેમોફોબિયા જેવા અસાધારણ અને અતાર્કિક ભયને પ્રેરે છે.

યોગ્ય નિષ્ણાંતની સલાહ અને મદદ લેવી એ ખૂબ જરૂરી

આવા અસાધારણ ભયનો અર્થ એ નથી કે જે વ્યક્તિ નબળી છે અથવા ગાંડી છે. આથી આવું કંઈ જ ન વિચારતા યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાંતની સલાહ અને મદદ લેવી એ ખૂબ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક, સલાહકાર કે મનોચિત્સકની સલાહ કોઈ જ સંકોચ વગર લેવી એ ખૂબ જરૂરી છે.

ડેમોફોબિયા એ વ્યક્તિના રોજિંદા કાર્યોમાં પણ ખલેલ પહોંચાડે છે

ડેમોફોબિયા એ વ્યક્તિના રોજિંદા કાર્યોમાં પણ ખલેલ પહોંચાડે છે. શાળા, ઓફિસ, સામાજિક મેળાવડો વગેરે જગ્યાએ વ્યક્તિ અસમર્થતા અનુભવે છે. પોતાનું કાર્ય કે ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી આથી નિષ્ણાંતની મદદ જરૂરી બને છે.

માદક દ્રવ્યો સાથેના પદાર્થોના દુરૂપયોગ માટે પણ પ્રેરાય છે

ભીડનો ભય અન્ય ઘણી સમસ્યાઓ પણ પ્રેરે છે. જેમકે, મૂડ ડિસઓર્ડર (મનોદશા વિકૃતિ), ઉદાસીનતા, અસ્વસ્થતા અને આત્મઘાતી વિચારધારા સહિત સામાજિક એકલતા, સંબંધોમાં એકલતા અને અનેક સમસ્યાઓ તરફ દોરી જાય છે. ઘણી વખત વ્યક્તિ પોતાના ભયને ઓછો કરવા દારૂ અથવા માદક દ્રવ્યો સાથેના પદાર્થોના દુરૂપયોગ માટે પણ પ્રેરાય છે.

ડેમોફોબિયા દૂર કરવા માટે અનેક તકનીકોનો ઉપયોગ

મનોવિજ્ઞાનમાં ડેમોફોબિયા દૂર કરવા માટે અનેક તકનીકોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ટોક થેરાપી (Talk therapy) દ્વારા ઝડપી પરિણામ મેળવી શકાય છે. આ સિવાય કાઉન્સેલિંગ દ્વારા વ્યક્તિની ભીડ પ્રત્યેની પ્રતિક્રિયા, વિચારધારા, માન્યતા, પૂર્વગ્રહો વગેરેને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.