અગાઉ સમગ્ર ભારતમાં રહેનાર સિંહ આજે માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો કારણ...

author img

By

Published : Aug 10, 2021, 8:14 AM IST

Updated : Aug 10, 2021, 12:45 PM IST

World Lion Day 2021

અરેબિયા પર્શિયા જેવા દેશોમાં સિંહોના શિકાર અને તેના કુદરતી નિવાસસ્થાનો નષ્ટ થવાને કારણે આજે એક માત્ર ગુજરાત અને ગીરમાં સિંહો જોવા મળી રહ્યા છે. વર્ષ 1911માં ગીરમાં સિંહોની સંખ્યા સતત વધીને આજે 674 જેટલા સિંહો ગીરના જંગલમાં વસવાટ કરી રહ્યા છે. જો કે, વર્ષ 1990માં 300 ચોરસ કિલોમીટરના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા. ત્યારે વિશ્વ સિંહ દિવસ નિમિતે આપને જણાવીએ કે, આ કારણને લઈને માત્ર ગીરમાં જ જોવા મળે છે 'જંગલના રાજા સિંહ', આથી, આજે એશિયામાં એક માત્ર ગીરમાં સિંહનું અંતિમ નિવાસ્થાન માનવામાં આવી રહ્યું છે, ત્યારે વિશ્વ સિંહ દિવસ ( World Lion Day 2021 ) એ ખાસ અહેવાલ...

  • એશિયામાં એક માત્ર સિંહનું અંતિમ નિવાસ્થાન 'ગીર'
  • ગીરના જંગલમાં હાલ 674 જેટલા સિંહો કરી રહ્યા છે વસવાટ
  • વર્ષ ૧૯૯૦થી ગણતરીમાં 284 જેટલા સિંહો જોવા મળ્યા હતા

જૂનાગઢ : એક સમય હતો કે ગીરમાં જોવા મળતા સિંહ ભારત સિવાય વિદેશના અરેબિયાના પર્શિયા જેવા દેશોમાં પણ જોવા મળતા હતા, પરંતુ સિંહોના શિકાર અને તેના કુદરતી નિવાસસ્થાનો નષ્ટ થવાને કારણે આજે એક માત્ર ગુજરાત અને ગીરમાં સિંહો જોવા મળી રહ્યા છે. ગીરમાં નવાબ ( Nawab Mahabat Khan III ) ના સમયથી જ સિંહના સંવર્ધન અને સિંહોના શિકાર પર પ્રતિબંધ સહિત આકરી સજા ફટકારવાની શરૂઆત થતા આજે એશિયામાં એક માત્ર ગીરમાં સિંહનું આફ્રિકા બાદ અંતિમ નિવાસ્થાન માનવામાં આવી રહ્યું છે, ત્યારે વિશ્વ સિંહ દિવસે જણાવીએ કે, ગીરમાં જોવા મળતા સિંહ અહીં કુદરતી રીતે અનુકુળ જંગલો અને શિકારની શક્યતાઓને કારણે આજે માત્ર સિંહ ગીરમાં જ જોવા મળી રહ્યા છે, ત્યારે વિશ્વ સિંહ દિવસ ( World Lion Day 2021 ) એ ખાસ અહેવાલ...

વર્ષ 1910 થી 1911માં સંકટમાં હતું સિંહનું અસ્તિત્વ

ગિરના જંગલમાં એક સમયે જંગલના રાજા સિંહનું અસ્તિત્વ સંકટમાં જોવા મળતું હતું. વર્ષ 1910 અને 1911ના વર્ષમાં ગીર વિસ્તારમાં 2 આંકડામાં કહી શકાય તેટલા જ સિંહો જોવા મળતા હતા, તેને ધ્યાને રાખીને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવીને શિકાર જેવી ગતિવિધિઓમાં શામેલ થનાર પ્રત્યેક વ્યક્તિને મરણતુલ્ય સજા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારથી સિંહોની સુરક્ષા ગીરમાં વધતી જોવા મળી અને વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત કરનાર જૂનાગઢના નવાબ હતા. આ બાદ સિંહોની સંતતિને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ સતર્ક બન્યો અને દિવસેને દિવસે સિંહોની સુરક્ષા અને જંગલ વિસ્તારને નુકસાન જેવી ઘટનાઓ ખુબ જ ઓછી બનવા પામી છે. આજે ગીરમાં સિંહોની સંખ્યા અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ જોવા મળી રહી છે.

World Lion Day 2021

1990માં ગીર જંગલમાં 284 સિંહો મળતા હતા જોવા

વર્ષ 1911થી લઈને અત્યાર સુધી ગીરમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે અને આજે ઉત્સાહજનક કહી શકાય તે પ્રકારે 674 જેટલા સિંહો ગીરના જંગલમાં વસવાટ કરી રહ્યા છે. સિંહોની સંતતિ સતત વધવા પાછળ જંગલ વિસ્તારના સંરક્ષણને પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. વર્ષ 1990માં દરમિયાન 300 ચોરસ કિલોમીટરના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા, જેમાં દર 5 વર્ષે સિંહોની સંખ્યામાં વધારાની સાથે જંગલ વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020માં 30,000 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 674 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે. આ સફર વર્ષ 1911માં શરૂ થઈ હતી અને આજે 2020માં ખૂબ સારા પરિણામો સાથે વધુ આગળ વધી રહી છે.

સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં સિંહોનો વિસ્તાર

એક સમયે માત્ર ગીર વિસ્તારમાં જોવા મળતા જંગલના રાજા આજે ખૂબ વિસ્તાર પામ્યા છે, વર્ષ 1911માં માત્ર ગીર અને જૂનાગઢમાં જોવા મળતાં સિંહો આજે સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં જોવા મળી રહ્યા છે. આ મોટી સફળતા ગીરમાં વસતા માલધારીઓને પણ જાય છે. વન વિભાગ દ્વારા સિંહોના ખોરાક-પાણી અને સુરક્ષાને લઇને કેટલીક સચોટ કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે આજે એક માત્ર ગીર અને જે તે સમયે જૂનાગઢમાં જોવા મળતા જંગલના રાજા જૂનાગઢ સહીત અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. ગીરમાં સિંહોનું સતત સંવર્ધન, કાળજી તેમજ ગેરકાયદેસર થતું જંગલ વિસ્તારનું નિકંદન સરકાર અને વન વિભાગના પ્રયાસોથી અટકાવવામાં સફળતા મળી છે. જેને કારણે આજે ગીર વિસ્તારમાં જંગલના રાજા ખૂબ જ મુક્ત મને જોવા મળી રહ્યા છે.

પ્રતિવર્ષે 6 લાખ આસપાસ પ્રવાસીઓનો ધસારો

વર્ષ ૧૯૬૫માં સાસણ સિંહ બતાવીને પ્રવાસીઓને આકર્ષવા માટે સિંહ દર્શનની શરૂઆત કરવામાં આવી હતી. એશિયામાં જોવા મળતા સિંહોને જંગલમાં મુક્ત મને જોવા માટે આજે પ્રતિવર્ષે 6 લાખ આસપાસ પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. સિંહ દર્શનને લઈને પ્રવાસીઓનો હકારાત્મક પ્રતિભાવ, લોકોને સિંહ પ્રત્યેની ઉત્સુકતા અને સિંહને નજીકથી જોવાની અને જાણવાની તાલાવેલીને કારણે આજે સાસણ સિવાય દેવડીયા, આંબરડી અને ગીરનાર નેચર સફારીની પણ રાજ્ય સરકારના પ્રયાસોથી વનવિભાગે શરૂઆત કરી છે. ૧૯૬૫માં માત્ર સાસણમાં જ જોવા મળતા સિંહ હવે દેવળીયા આંબરડી અને ગિરનાર નેચર સફારીમાં પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે જ વર્ષ પૂર્વે આંબરડી અને ગિરનાર નેચર સફારી શરૂ થઇ છે, જેમાં પણ પ્રવાસીઓનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે.

દર 5 વર્ષે સિંહોની સંખ્યામાં વધારો

ગીરના જંગલમાં જોવા મળતા સિંહોના સંવર્ધનની સાથે પ્રતિવર્ષ સિંહોના મોતની સંખ્યા 120 જેટલી થવા જાય છે, આ પૈકીના કેટલાક મોત સિંહોની વય, બીમારી, તો કેટલાક હતભાગી સિહો અકસ્માતમાં પણ મોતને ભેટ્યા છે. પ્રતિવર્ષ ગીરમાં 120 જેટલા સિંહોના મોત થઈ રહ્યા છે, તેમ છતાં દર 5 વર્ષે સિંહોની સંખ્યામાં 20થી લઈને 30 ટકા સુધીનો વધારો પણ જોવા મળી રહ્યો છે. સિંહોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારા પાછળ પ્રતિ 5 વર્ષમાં જંગલ વિસ્તારમાં પણ સિંહોના રહેઠાણને અનુલક્ષીને 20 ટકા કરતા વધુનો વધારો થઈ રહ્યું છે. આજે જંગલનો રાજા બૃહદ ગીરથી લઈને પોરબંદર અને ચોટીલા સુધીની સફર માણી ચૂક્યો છે, પરંતુ એકલ દોકલ બનાવોને બાદ કરતાં જંગલનો રાજા ગીર વિસ્તારમાં ખુબ જ સફળતાપૂર્વક પોતાની સંતતિને આગળ ધપાવી રહ્યો છે.

વન વિભાગને પ્રતિવર્ષ 11 કરોડ કરતાં વધુની આવક

સાસણ સહિત દેવળીયા આંબરડી અને ગિરનાર નેચર સફારી પાર્કમાં પ્રવાસીઓ આકર્ષિત થઇ રહ્યા છે. સિંહ દર્શન માટે સૌથી જૂનું અને પ્રવાસીઓને આકર્ષિત કરતા સાસણ સિંહ દર્શન ખાતે એક વર્ષમાં અંદાજીત ૫ થી ૬ લાખ પ્રવાસીઓ સિંહોને જોવા માટે આવતા હોય છે, જેના થકી વન વિભાગને પ્રતિવર્ષ 11 કરોડ કરતાં વધુની આવક થતી જોવા મળે છે. વન વિભાગને થયેલી આવક ગીર વિસ્તારના સિંહોના સંવર્ધન અને સિંહોની સુરક્ષા પાછળ કરવામાં આવી રહી છે. સિંહોની સુરક્ષા આજે આધુનિક ઢબે પણ થઈ રહી છે, જેમાં રેડિયો કોલર GPS અને CCTV ના માધ્યમથી પણ સિંહોની અવર-જવર અને તેની સતામણી પર ચોક્કસ નજર રાખવામાં આવી રહી છે.

Last Updated :Aug 10, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.