આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કરાયું લોકોનું કાઉન્સિલિંગ

author img

By

Published : Sep 10, 2021, 5:00 PM IST

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ()

આજે સમગ્ર વિશ્વમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢની આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં લોકોને આત્મહત્યા કરતાં પૂર્વે કઈ રીતે રોકી શકાય અને આત્મહત્યાનો વિચાર શા માટે આવે છે તેવા વિષયને લઈને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા લોકોને પત્રિકાઓ દ્વારા આત્મહત્યા શા માટે ન કરવી જોઈએ તેને લઈને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

  • સમગ્ર વિશ્વમાં આત્મહત્યા નિવારણ દિવસની થઈ રહી છે ઉજવણી
  • જૂનાગઢની આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટે શરૂ કર્યું કાઉન્સિલિંગ અભિયાન
  • કોરોનાકાળમાં ચિંતાજનક રીતે આત્મહત્યાનું પ્રમાણ વધતું જોવા મળ્યું

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં આવેલી આશાદીપ ચેરીટેબલ કાઉન્સિલ દ્વારા આત્મહત્યાને લઇને લોકોમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરવા માટે કાઉન્સિલિંગ અભિયાનની શરૂઆત કરી હતી.

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ જીવન કરતા મોતને પસંદ કરે છે

આત્મહત્યા કરતા પૂર્વે કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ વ્યથિત કે ભાંગી પડેલો જોવા મળતો હોય છે. આવી પરિસ્થિતીમાં માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ જીવન કરતા મોતને પસંદ કરવા માટે આગળ વધી જાય છે અને મોટા ભાગના કિસ્સામાં માનસિક રીતે ભાગેલી વ્યકિત આત્મહત્યા કરવા સુધીનું ખૂબ જ ગંભીર પગલું પણ ભરી જાય છે. જેની તેમના પરિવાર પર ખૂબ જ વિપરીત અસરો પડતી હોય છે, ત્યારે આજે આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી નિમિત્તે જૂનાગઢમાં આત્મહત્યા શા માટે ન કરવી જોઈએ તેને લઈને કાઉન્સિલિંગ અભિયાન શરૂ કરાયું છે

કોરોનામાં લોકો વિવિધ સમસ્યાને લઇને આત્મહત્યા કરવાનો માર્ગ પકડતા હતા

કોરોનાકાળમાં વ્યક્તિઓ સામાજિક, માનસિક અને આર્થિક રીતે નબળા પડતા આત્મહત્યાનો વિચાર અને આત્મહત્યા જેવું પગલું ભરી ચૂક્યા છે. સમગ્ર વિશ્વ માટે વિપરીત એવા કોરોના સંક્રમણ દરમિયાન કેટલાક વ્યક્તિઓ પોતાના રોજગારીને લઈને, કેટલાક લોકો પોતાના ધંધાને લઈને, કેટલાક યુવાનો શિક્ષણને લઈને તો કેટલીક વ્યક્તિઓ પોતાના પરિવારના સભ્યોને ગુમાવીને ખૂબ જ માનસિક પરિતાપ ભર્યા સમયમાંથી પસાર થયા હતા.

આજે જૂનાગઢમાં કાઉન્સિલિંગ શરૂ કરવામાં આવ્યું

કોરોનામાં કેટલાક હતભાગી લોકોએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો તો કેટલાક લોકોએ આત્મહત્યા કરવા સુધીનું ખૂબ જ ગંભીર પગલું ભરી લીધું. આવી પરિસ્થિતિમાં વિચલિત મનને આત્મહત્યા કરવાના માર્ગે જતા પૂર્વે કઈ રીતે પરત વાળી શકાય તેને લઈને આજે જૂનાગઢમાં કાઉન્સિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક લોકોએ કાઉન્સિલિંગ અભિયાનમાં ભાગ લઈને જીવન અને આત્મહત્યા વચ્ચેના પાતળા ભેદને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.