- ઓનલાઇન અભ્યાસને કારણે માનસિક પરિતાપ વધતા બાળકો વળ્યા યોગ તરફ
- માનસિક તાણમાંથી મુક્તિ મેળવવા જૂનાગઢમાં બાળકો કરી રહ્યા છે યોગ
- ઓનલાઈન અભ્યાસને કારણે બાળકોની માનસિક પરિસ્થિતિ વિપરીત બની રહી છે
જૂનાગઢઃ કોરોના કાળની વચ્ચે છેલ્લા કેટલાય મહિનાથી બાળકો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે, તેની વિપરિત અસરો કુમળા બાળમાનસ પર જોવા મળી રહી છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં બહાર આવ્યું હતું કે બાળકો અભ્યાસની સાથે મોબાઇલમાં બીજી એવી કેટલીક ગતિવિધિઓમાં પોતાની જાતને જોડતા થયા છે. જે સભ્ય સમાજ માટે સારા સંકેતો માની શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના બાળકો ઓનલાઇન અભ્યાસને કારણે જે માનસિક પરીતાપ બાળકો અનુભવી રહ્યા છે તેમાંથી મુક્તિ મેળવવા માટે બાળકો હવે યોગનો સહારો લઈને માનસિક તાણમાંથી મુક્તિ મેળવતા થયા છે.
માનસિક તાણને દૂર કરવા અથવા તો ઘટાડવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ મદદગાર
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા બાળમાનસ અને ઓનલાઇન અભ્યાસ પર એક સંશોધન હાથ ધર્યું હતું. જેમાં ખૂબ જ ચિંતાજનક પરિણામો સામે આવ્યાં હતા. આ સંશોધનમાં બાળકો ઓનલાઇન અભ્યાસ કરવાની સાથે બીજી એવી કેટલીય અયોગ્ય અને વિકૃત ગતિવિધિઓમાં ભાગ લેતા થઈ ગયા છે, જે તેમની વય અને તેમના માનસ માટે ખૂબ જ ખરાબ અસર ઊભી કરી શકે છે, આવી પરિસ્થિતિમાં બાળકોને માનસિક તાણમાંથી દૂર કરવા અથવા ઓનલાઇન અભ્યાસ અને ખાસ કરીને મોબાઈલ દ્વારા જે માનસિક તાણ ઊભું થયું છે તેને દૂર કરવા અથવા તો ઘટાડવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે જેને ધ્યાને રાખીને જૂનાગઢના 50 કરતા વધુ બાળકો આજે યોગ અને પ્રાણાયામનો સહારો લઈને શારીરિક ની સાથે માનસિક રીતે પણ મજબૂતી પ્રાપ્ત કરી રહ્યાં છે.