- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી બેઠક
- વાવઝોડામાં થયેલ નુકસાનની મદદ કરશે સરકાર
- ઝુંપડા અને મકાનમાં થયેલ નુકશાનમાં સહાય આપશે
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુંપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તૌકતે વાવાઝોડાના પરિણામે નુકસાન પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.
શહેરી વિકાસ અને પંચાયત ગ્રામ વિકાસ વિભાગને કામગીરી સોંપાઈ
રાજ્યના શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સર્વેમાં લેવામાં આવી છે. જેથી સર્વે કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય. આ તૌકતે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે સહાયના ધોરણ સીએમ રૂપાણીએ જાહેર કર્યા છે.
સંપૂર્ણ નાશ પામેલા મકાનમાં રૂપિયા 95,100ની સહાય
કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે તૌકતે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂપિયા 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય. કોઇ દિવાલ ધારાશાયી થયા હોય તેવા મકાનો માટે રૂ. 25,000ની સહાય અપાશે. જ્યારે આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રુપિયા 10,000ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે રૂપિયા 5000ની સહાય રાજ્ય સરકાર આપશે.
સર્વેની કામગીરી ચાલુ
રાજ્યમાં વાવાઝોડાને પગલે અનેક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 4 સનદી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આમ, રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે.
વધુ વાંચો: ધરમપુર કાપરડામાં વાવાઝોડાના અસરગ્રસ્તોની રોકડ સહાય બેન્ક ખાતામાં જમા કરાઇ