ETV Bharat / city

સરકારે સતત બીજા દિવસે નિર્ણય ફેરવી તોળ્યો: મુખ્યમંત્રી બાળ સહાય યોજના રદ્દ કર્યા બાદ યથાવત રાખવાની જાહેરાત

author img

By

Published : Sep 9, 2021, 3:54 PM IST

મુખ્યમંત્રી બાળ સહાય યથાવત
મુખ્યમંત્રી બાળ સહાય યથાવત

ગુજરાત રાજ્યમાં કોરોના કાળ દરમિયાન માતા-પિતા બન્ને અથવા તો માતા-પિતામાથી કોઇ પણ એક વ્યક્તિ ગુમાવનારા બાળકો માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સહાય યોજનાની જાહેરાત કરી હતી, ત્યારે આજે અચાનક જ રાજ્ય સરકારે આ યોજના બંધ કરી હોવાના સમાચાર અને અહેવાલો વહેતા થયા હતા. જે બાબતે રાજ્ય સરકારે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બાળ સહાય યોજના બંધ નથી કરવામાં આવી, સહાય યથાવત જ છે.

  • મુખ્યમંત્રી બાળ સહાય બાબતે ફેલાઈ હતી અફવા
  • સરકારે તાત્કાલિક ધોરણે કરી જાહેરાત
  • બાળ સહાય યોજના યથાવત

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના કાળ દરમિયાન માતા-પિતા બન્ને અથવા તો માતા-પિતામાથી કોઇ પણ એક વ્યક્તિ ગુમાવનારા બાળકો માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેમાં પ્રતિમાસ ચાર હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. જેમાં 700 જેટલા બાળકોને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રથમ દિવસે 31 લાખ રૂપિયા આપીને સહાય શરૂ કરી હતી, ત્યારે આજે અચાનક જ રાજ્ય સરકારે આ યોજના બંધ કરી હોવાના સમાચાર અને અહેવાલો વહેતા થયા હતા. જે બાબતે રાજ્ય સરકારે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બાળ સહાય યોજના બંધ નથી કરવામાં આવી, સહાય યથાવત જ છે.

18 વર્ષની વય સુધી આપવામાં આવશે સહાય

સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ઇશ્વર પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય 18 વર્ષની થાય ત્યાં સુધી આપવાનું યથાવત જ રહેશે, નિરાધાર બાળકોના ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે જુલાઇ-2021માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોનાકાળ દરમિયાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા 1000 ઉપરાંત બાળકોને માસિક રૂપિયા 4 હજારની સહાય ચુકવવામાં આવી છે.

રાજ્ય સરકારે કયો કર્યો હતો મહત્વનો નિર્ણય

આ યોજના અંગે વધુ એક સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવતા 28મી જૂલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂપિયા 2 હજારની સહાય રાજ્ય સરકાર આપશે. આવા આશરે 4000 બાળકોને પ્રધાન વિજય રૂપાણીએ બાળક દીઠ રૂપિયા 2 હજારની સહાય ગત 2 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા સીધી જ બેંક એકાઉન્ટમાં સંપૂર્ણ પારદર્શીતાથી ચૂકવી આપી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2021 હતી

સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ઇશ્વરસિંહ પરમારે જણાવ્યું હતું કે. રાજ્યમાં કોરોનાના કેસોમાં 15મી જૂન પછી ઉત્તરોત્તર ઘટાડો થતા અને 30મી જૂન સુધીમાં કોરોના કેસ અને મૃત્યુ દર નહિવત થઇ જવાથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભ માટેની કટ ઓફ ડેટ 30જૂન-2021 નક્કી કરી હતી અને યોજનાનો લાભ મેળવવા માટે 31મી ઓગસ્ટ-2021 સુધીમાં અરજી કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મે મહિનામાં કરાઈ હતી યોજનાની જાહેરાત

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પરીક્ષામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ યોજના બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને મે મહિનામાં આ યોજનાની સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. આમ મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન રાજ્ય સરકારને એક હજાર જેટલા બાળકોની અરજીઓ આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત 2જી ઓગસ્ટ સંવેદના દિન નિમિત્તે બાળકોને સહાય આપવાની યોજનાનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

યોજના શરૂ થઈ અને અનેક ફેરફારો આવ્યો

રાજ્ય સરકારે કોર કમિટીની બેઠકમાં બાળ સહાય યોજના બાબતે અનેક નિયમો ઘડ્યા હતા. જેમાં સૌપ્રથમ જ્યારે બાળક 18 વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે, પરંતુ ત્યારબાદ 9 જુલાઇના રોજ 18 વર્ષની જગ્યાએ એકવીસ વર્ષ સુધી માસિક સહાય 4000 કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.

7 જુલાઈના રોજ 4000ની સહાય આપવાની શરૂઆત થઇ હતી

રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન અનેક બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવા અનાથ બાળકો માટે મુખ્યમંત્રી બાળ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 776 બાળકોની નોંધણી કરવામાં આવી છે. જેઓએ કોરોનાકાળ દરમિયાન પોતાના માતા-પિતા ગુમાવ્યા છે, આવા બાળકોને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 7 જુલાઈના રોજ 4000ની સહાય આપવાની શરૂઆત કરી હતી.

31 લાખ રૂપિયાની સહાય પ્રથમ દિવસે આપવામાં આવી

ગુજરાતમાં કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા 776 જેટલાં બાળકોને ચાર હજાર પ્રતિ માસની સહાય રાજ્ય સરકાર ચૂકવશે. જેમાં કુલ 31 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા બાળકોને પ્રથમ દિવસે ચૂકવવામાં આવી હતી.

બાળક જ્યારથી અનાથ થયું ત્યારથી મળશે લાભ

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, કોરોનામાં બાળકે જ્યારથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી હશે, ત્યારથી તેઓને રાજ્ય સરકાર દ્વારા મળતી સહાયનો લાભ મળશે. જ્યારે ગુજરાત સરકારે માર્ચ 2020થી અત્યાર સુધીનો સમય જ ગણ્યો છે. એટલે કે માર્ચ 2020 પછી માતા-પિતા ગુમાવનાર બાળકને જે તે મહીનાથી સહાય આપવામાં આવશે. જે એરિયર્સ આવરનારા સમયમાં સ્ક્રુટિની કરીને સહાય આપવામાં આવશે.

આંગણવાડીની બહેનો દ્વારા સર્વે કરાયો

સામાજિક ન્યાય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડીની સુવિધા છે, ત્યારે કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા બાળકોને શોધવા માટે આંગણવાડી બહેનોને પણ સર્વેમાં મુકવામાં આવી હતી, ત્યારે આજ દિન સુધીમાં એટલે કે 6 જુલાઇ સુધીમાં કુલ 776 જેટલા બાળકોએ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં આ 776થી પણ સંખ્યા વધે તેવી પણ શક્યતાઓ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.