5 વર્ષની ઉજવણી નિમિતે મહાત્મા મંદિર ખાતે વિકાસ દિનની ઉજવણી કરવામાં આવશે

author img

By

Published : Aug 7, 2021, 6:46 AM IST

rupani
5 વર્ષની ઉજવણી નિમિતે મહાત્મા મંદિર ખાતે વિકાસ દિનની ઉજવણી કરવામાં આવશે ()

રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં આજે (7 ઓગસ્ટ, શનિવાર) મહાત્મા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે જેમા દેશના ગૃહપ્રધાન અમિત શાહ વર્ચુંઅલી હાજર રહેશે અને વિવધ વિકાસ કાર્યોનું લોકાઅર્પણ કરશે.

  • ‘મૈં નહીં હમ’ના આદર્શ સાથે સમાજના 360 ડિગ્રીએ વિકાસ માટે સંકલ્પબદ્ધ
  • ચાલુ વર્ષે કુલ 1.19 લાખ કરોડના વિદેશી મૂડીરોકાણ સાથે ગુજરાત અવ્વલ
  • મુખ્યમંત્રી આવાસ યોજના થકી પાંચ વર્ષમાં પાંચ લાખ આવાસોનું નિર્માણ કરાયું

ગાંધીનગર : ‘મૈં નહીં, હમ’ના મંત્રને સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વની સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શનિવારે 7 ઓગસ્ટ ના રોજ મહાત્મા મંદિર ખાતે વિકાસ દિનની ઊજવણી કરવામાં આવશે.

ગૃહપ્રધાન અમિત શાહ વર્ચ્યુલી હાજર

તા. 7 ઑગસ્ટના રોજ ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભારતના ગૃહપ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે. જે અંતર્ગત ‘‘વતનપ્રેમ’’ યોજનાનો શુભારંભ, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂપિયા 382 કરોડના 25 હજાર આવાસોનું લોકાર્પણ અને રૂપિયા 703 કરોડના 46 હજાર આવાસનું ખાતમૂહર્ત ઉપરાંત આઇ.ટી.આઇ.ના રૂપિયા 245 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે. તદુપરાંત, રૂ. 498 કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂપિયા 464 કરોડના બ્રિજનો લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(EWS/LIG સહિત)ના નિર્માણ પામેલા રૂપિયા 323 કરોડના 5170 આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે.

વિકાસ કાર્યોનું લોકાઅર્પણ

રૂપિયા 286 કરોડના GEBના 21 સબ સ્ટેશનોનું લોકાર્પણ અને 8 સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂપિયા 265 કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે. આ દિવસે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 255 કરોડના ખર્ચે 151 બસો, 5 બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂપિયા 153 કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કરાશે. સૌની યોજના હેઠળ વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) 53.532 કિ.મી.ની રૂપિયા 146 કરોડની પાઇપલાઇનનું લોકાર્પણ, રૂપિયા 97 કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ, રૂપિયા 75 કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂપિયા 23 કરોડના બે બ્રિજનું લોકાર્પણ સહિત કુલ આશરે રૂ. 3906 કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવશે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાનના કોંગ્રેસ અને નેહરુ પ્રહાર, દેશમાં બેરોજગારી માટે જવાબદાર ગણાવ્યા

5 વર્ષના વિકાસની વાતો

વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર સાહેબની પ્રતિમા, સ્ટેચ્યૂ ઑફ યુનિટી સમગ્ર દેશના ગૌરવ સમાન છે. જ્યાં દરરોજ દેશવિદેશના હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે. ભારતનો એક માત્ર ડાયનાસોર ફોસિલ પાર્ક ગુજરાતમાં છે. દેશમાં સૌ પ્રથમ સી-પ્લેન સુવિધા સાબરમતીથી કેવડિયા સુધી ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે, તો દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતથી દોડશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયામ ગુજરાતમાં છે તેમજ વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ આકાર લઈ રહ્યું છે. ભારત દેશ વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યો છે, ત્યારે ગુજરાત આ વિકાસનું રોલ મોડલ બનીને ઊભરી આવ્યું છે. વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગર ખાતે બનાવવામાં આવ્યું છે. કચ્છ ખાતેનો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક હોય કે ગિરનારમાં તૈયાર થયેલો અશિયાનો સૌથી લાંબો રોપ-વે હોય. વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ પણ સુરતમાં જ આવેલું છે.

FDI માં ગુજરાત અવ્વલ

વિદેશી મૂડી રોકાણની બાબતમાં પણ ગુજરાત દેશમાં અવ્વલ રહ્યું છે અને સતત ચોથા વર્ષે સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. ચાલુ વર્ષે કુલ 1.19 લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. વર્ષ 2018-19ની સરખામણીએ 2020-21માં આઠ ગણું વધારે મૂડીરોકાણ થયું છે.

પરિવહનની સુવિધાઓ

રાજ્યના નાગરિકોને પરિવહનની ઝડપી અને સલામત સુવિધાઓ પૂરી પાડવા માટે કુલ 5,785 નવી બસો મૂકવામાં આવી છે. આ ઉપરાંત, નવાં બસપોર્ટ, 111 જેટલાં નવાં બસ સ્ટેશન તેમજ 33 નવાં હવાઈમાર્ગ શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે નવનિર્મિત રેલવે સ્ટેશનનું તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે આ સાથે જ વૈશ્વિક માપદંડોને અનુરૂપ બનાવાયેલી પંચતાક હોટલ પણ વાઇબ્રન્ટ જેવા વ્યાપારી મેળાવડાઓ સમયે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહેશે.

રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે પાણીની વ્યવસ્થા

રાજ્યના પ્રત્યેક શહેર-ગામ-નાગરિક-ખેડૂતને પૂરતું પાણી મળી રહે એ માટે જળવ્યવસ્થાપનના નક્કર આયોજન થકી વિશાળ કેનાલ નેટવર્કના દ્વારા 9104 ગામડાં અને 169 શહેરોના 4 કરોડ નાગરિકો સુધી નર્મદાનીર પહોંચાડવામાં આવ્યાં છે. રાજ્યનાં 131 તળાવ, 863 ચેકડેમ અને 50 જળાશય પાણીથી છલોછલ થયા છે. જળવ્યવસ્થાપનના કારણે જળસંગ્રહક્ષમતામાં 61,781 લાખ ઘનફૂટનો વધારો કરવામાં આવ્યો છે. તદુપરાંત, રાજ્યના દરેક ગામને-પ્રત્યેક નાગરિકને પીવાલાયક પાણી મળી રહે એ માટે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા 61 જેટલાં ડિસેલિનેશન પ્લાન્ટની યોજના છે.

પ્રવાસનમાં ગુજરાત અગ્રેસર

પ્રવાસનના ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બની રહ્યું છે. દ્વારકાના શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ સ્ટેટસ એનાયત થતાં આ સમગ્ર બીચને વિકસાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ જ પ્રકારે કચ્છના સફેદ રણમાં પ્રતિવર્ષ યોજાતો રણોત્સવ અને સરહદ દર્શન જેવા કાર્યક્રમો થકી દેશમાં અને વિદેશમાં પણ ગુજરાતનું પ્રવાસનક્ષેત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગરીબોને ઘરનું ઘર

શહેરી ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષમાં પાંચ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ગરીબો વંચિતોને આવાસની સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 7.85 લાખ પરિવારોને આવાસ પૂરા પાડવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, હાઉસિંગ લોન પર વ્યાજ સહાય આપવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે. આ સિવાય, વંચિત પરિવારોને આર્થિક સમૃદ્ધ બનાવવા માટે સાથણી રૂપે જમીન આપવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ અનુસૂચિત જાતિના 42,357 લાભાર્થીઓને 64,026 હેક્ટર જમીન અને 6201 આદિવાસી બાંધવોને 17992 એકર જમીનના માલિક બનાવવામાં આવ્યા છે. માત્ર છેલ્લા એક વર્ષમાં જ સાડા સાત હજાર એકર જેટલી જમીન સાથણીરૂપે આપવામાં આવી છે.

ગૃહ વિભાગ વધુ સતર્ક

સંવેદના વગરનો વિકાસ અને પ્રગતિ અસરકારક બનતા નથી. આ મૂળ મંત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ગાય માતાનું ઋણ અદા કરવા માટે ગૌહત્યા નાબુદીનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સમાજના સાર્વત્રિક વિકાસ માટે ગુનાખોરીને ડામવી પણ એટલી જ જરૂરી છે. જેના અનુસંધાને રાજ્યના નાગરિકોની શાંતિ-સલામતી અને સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે પાસા એક્ટમાં સુધારો, ગુજરાત ગુંડા એન્ડ એન્ટિ-સોશિયલ એક્ટિવિટી એક્ટ, ચેન સ્નેચિંગ એક્ટ, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ, હુક્કાબાર નાબુદી, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ સહિતના કાયદા અમલી કરાયા છે. આ ઉપરાંત, સાઇબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ વિશ્વાસ અને સાયબર આશ્વસ્ત જેવા કાર્યક્રમોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે 41 શહેરોમાં 7000 સીસીટીવી કેમેરાનું વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે નેત્રમ કમાન્ડો કંટ્રોલ સેન્ટર દ્વારા 33 જીલ્લાઓના નાગરિકોને સાઇબર ક્રાઇમ સામે સુરક્ષા આપવામાં આવી છે.

સરકાર ના મહત્વના નિણર્ય

સમગ્ર દેશમાં સેવાસેતુના માધ્યમથી ડિજિટાઇઝેશન આણનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજના થકી સરકારી વહીવટી તંત્રના વર્ક કલ્ચરમાં 360 ડિગ્રીએ પરિણામલક્ષી બદલાવ આવ્યો છે. આજે રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 22 સેવાઓ ઓનલાઇન આવરી લેવાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ચેકપોસ્ટ નાબૂદીનો અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, 36 આરટીઓના સ્થાને હવે 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાં લર્નિંગ લાઈસન્સ મેળવવાની સુવિધા સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જેના પરિણામે લાખો લોકોને આરટીઓ કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે.

ભ્રષ્ટાચાર મુક્ત સરકાર

ભ્રષ્ટાચાર એ વિકાસને લાગેલો લૂણો છે. એટલા માટે રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી, વિકાસની હરણફાળ ભરવા અને નિર્ણાયક પ્રશાસનની જન-જનને પ્રતીતિ કરાવવા એસીબીને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષમાં 1192 રેડ કરીને ચાર કરોડ જેટલી ટ્રેપ મનીની રકમ અને 123 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવી છે. ખાણખનીજમાં ઇજારાશાહી બંધ કરવા માટે ઓનલાઇન હરાજી થકી સરકારને રૂપિયા 1794 લાખ ઉપરાંતની આવક થઈ છે. આ ઉપરાંત, ત્રિનેત્ર ડોન સર્વેલન્સ ટેકનોલોજી દ્વારા ખાણ ખનીજની પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020: 16માં દિવસે જોવા મળશે ભારત vs પાકિસ્તાન... અને જો એમ થયું તો 'ગોલ્ડ' પાક્કો

પાકા રસ્તાઓ મળ્યા ગુજરાતને

રાજ્યમાં વિકાસની ગતિ વધુ તેજ બનાવવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજ્યના 17,843 ગામડાઓને અને 16,402 પરાંને પાકા રસ્તાની જોડવા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 53,250 કિલોમીટરની લંબાઈના 20,486 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂપિયા 1,671 કરોડના 6616 કિલોમીટર લંબાઇના 2705 રસ્તાઓના કામ ઝડપથી પૂર્ણ થવાના આરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં 27,064 કિલોમીટર લંબાઇના 10,399 રસ્તા રૂ.6835 કરોડના ખર્ચે પૂર્ણ થયા છે.

ગામડાઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ

ગુજરાતના ગામડાઓને સુવિધાપૂર્ણ ગામડાઓ બનાવવા માટે આગેકૂચ કરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના નાના ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કલેકશન અંતર્ગત આવરી લેવાયા છે. ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થા દ્વારા રસ્તા પીવાનું પાણી અને ગટર વ્યવસ્થા આરોગ્ય અને શિક્ષણ પ્રાથમિક વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા ના નિર્માણ માટે રૂપિયા 2385 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ત્રીજી લહેર માટેની તૈયારીઓ

આ ઉપરાંત, કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટેનો એક્શન પ્લાનની તૈયારીના ભાગરૂપે ઓક્સિજનની સંભવિત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા 1150 મેટ્રિક ટનથી વધારીને 1800 મેટ્રિક ટન કરવાનું પણ તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય, 1700 જેટલા ધન્વંતરિ રથના માધ્યમથી રાજ્યના અઢી કરોડથી વધુ નાગરિકોને આરોગ્યને લગતી સારવાર ઘરબેઠા પ્રદાન કરવામાં આવી છે.

રાહત પેકેજ
કોવિડની મહામારીના કારણે રાજ્યના અર્થતંત્રની ધીમી પડેલી ગતિને પુનઃ વેગવંતી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સહાય ઉપરાંત રૂપિયા 14 હજાર કરોડનું આત્મનિર્ભર પૅકેજ ફાળવવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના નાના વેપારીઓ, કામદારો, કારીગરો, દુકાન માલિકો અને સ્વરોજગાર ધરાવતા વ્યવસાયીઓને ફક્ત બે ટકાના નજીવા દરે રૂપિયા એક લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ માટે રૂપિયા પાંચ હજાર કરોડની રકમ ફાળવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.