ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની જાહેરાત કરી

author img

By

Published : May 29, 2021, 10:55 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની જાહેરાત કરી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની જાહેરાત કરી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM RUPANI) કોરોનામાં માતા-પિતા બન્ને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આર્થિક આધાર, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, તાલીમ, વિદેશ અભ્યાસ તથા લોન માટે રાજ્ય સરકાર સહાયક બનશે.

  • કોરોનાકાળમાં માતા-પિતા બન્ને ગુમાવનારા અનાથ- નિરાધાર બાળકોને પડખે આવી ગુજરાત સરકાર
  • મુખ્યપ્રધાન રૂપાણીએ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની કરી જાહેરાત
  • માતા-પિતા બન્ને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આર્થિક આધાર, શિક્ષણ સહિતની બાબતોમાં સહાયક થશે રાજ્ય સરકાર
  • 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બન્નેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળક દિઠ 4000 રૂપિયાની સહાય
  • પુખ્ત વયના બાળક જેનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક 6000 રૂપિયાની સહાય અપાશે

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનામાં કોરોનાએ કાળો કહેર વર્તવ્યો છે ત્યારે અનેક ઘરના દિવાઓ બુઝાઈ ગયા છે. અમૂકના પરિવારોએ તો જીવનભરનો આશ્રય ગુમાવ્યો છે ત્યારે કોરોના સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકો માટે આજે શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

કેવી છે યોજના

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની માહીતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કેટલાક બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બન્ને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. કોરોનાના આ કપરાકાળમાં આવા નિરાધાર અને માતા-પિતા બન્ને ગુમાવી ચુકેલા બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાથી આવા બાળકોને આર્થિક આધાર આપવાનો સેવાભાવ પ્રગટ કર્યો છે, રાજ્યમાં એવા બાળકો જેમણે પોતાના માતા-પિતા બન્ને ગુમાવ્યા છે તેવા બાળકોને આર્થિક સહાય- આધાર આપીને તેમને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકારની “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો લાભ મળશે. કોરોના મહામારીના આ સંક્રમણ દરમિયાન જે બાળકોના પરિવારના મુખ્ય કમાનાર પિતા અથવા માતા કે પિતા બન્નેનું અવસાન થયું છે તેવા બાળકોના ભરપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ-લોન અને સહાય પૂરી પાડવા આ યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ 18થી 44 વય જૂથમાં કોરોના રસીકરણની કામગીરીમાં રોજના 30 હજાર બદલે 24 મે થી 1 લાખ ડોઝ અપાશે

મહત્વની જાહેરાત

  1. 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા-પિતા બન્નેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ 4000 રૂપિયા રાજ્ય સરકાર આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે આપશે.
  2. જે બાળકોનો 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈને આવકની મર્યાદાના બાધ સિવાય દર મહિને 6000 રૂપિયાની સહાયનો લાભ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
  3. 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને 6000 રૂપિયાની સહાયનો લાભ મળશે. એટલે કે તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.
  4. રાજ્યના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, તથા આદિજાતીના બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલી શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજૂર કરાશે.
  5. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.
  6. એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે.
  7. આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.
  8. 14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે.
  9. જે દિકરીઓએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે.
  10. આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.
  11. કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે.

કઈ રીતે યોજનાઓનો થશે ત્વરિત અમલ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ આ અગાઉ ઉદાર સહાય આપીને તેમના પરિવારોની દુ:ખની ઘડીએ તેમની પડખે ઉભી રહી છે. આવા બાળકોનું ભવિષ્ય રોળાઇ ન જાય તેવી પૂરી સંવેદનાથી આ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો રાજ્યમાં ત્વરાએ અમલ કરાશે.

આ પણ વાંચોઃ Make in India: રાજકોટના યુવાનોએ ફેરબી ટેકનોલોજીથી પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.