ETV Bharat / city

આગામી 3 કલાકમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

author img

By

Published : May 24, 2021, 7:22 PM IST

આગામી 3 કલાકમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

રાજ્યમાં હજુ તૌકતે વાવાઝોડાએ સર્જેલા વિનાશનો અંદાજ લગાવવા સરકાર સર્વે કરી રહી છે, ત્યાં જ હવામાન વિભાગે આગામી 27 અને 28 મે ના રોજ ફરી એક વખત વરસાદ પડવાની આગાહી કરી છે.

  • તૌકતે વાવાઝોડા બાદ ફરી વખત વરસાદની આગાહી
  • હવામાન વિભાગ દ્વારા 27 અને 28 મે ની કરાઈ આગાહી
  • રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના

અમદાવાદ: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી વાવાઝોડાથી થયેલી નુક્સાનીનો સર્વે ચાલી રહ્યો છે. ત્યાં જ હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 27-28 મે ના રોજ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં વાતાવરણ યથાવત રહેશે.

આગામી 24 કલાક હવામાનમાં કોઈ ફેરફાર નહીં

હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ભેજનું પ્રમાણે સવારે 73 ટકા અને સાંજે 49 ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાનમાં આગામી 24 કલાક સુધી કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે.

ગુજરાતના છૂટાછવાયાં વિસ્તારમાં માવઠા પડી શકે

આગામી 27 અને 28મી મેના રોજ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને નવસારી અને વલસાડમાં વરસાદી ઝાંપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સુરતમાં રવિવારે બપોર સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મહતમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.