- ટાગોર હોલમાં 31 જાન્યુઆરીથી રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ
- 9 હજારથી વધુ પોલીસકર્મીઓને રસી આપવામાં આવી
- પ્રતિદિન 1500 લોકોને રસી અપાય છે
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ વૈશ્વિક મહામારી સામે રસીની શોધ અને સંશોધન માટે ભારત સહિત બધા દેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ બન્યા હતા અને એક વર્ષ પૂર્ણ થાય એ પહેલાં જ કોરોના વાયરસની રસી આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું, જેમાં હેલ્થ વર્કર્સ, પોલીસકર્મીઓ અને અન્ય ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની ઝુંબેશ સમગ્ર દેશમાં શરૂ થઈ છે.
ટાગોર હોલમાં 31 જાન્યુઆરીથી રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સહિતની અનેક જગ્યાએ રસીકરણ કેન્દ્રની શરૂઆત થઇ જેમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ ટાગોર હોલ ખાતે 31 જાન્યુઆરીથી રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે જ 800થી વધુ શિક્ષકોની રસી અપાઈ હતી. પહેલી ફેબ્રુઆરીથી સળંગ દસ દિવસ સુધી 9 હજારથી વધુ પોલીસકર્મીઓને રસી અપાઇ હતી. ત્યારબાદ દરરોજ 1500 જેટલા લાભાર્થીઓ ટાગોર હોલમાં રસીનો ડોઝ મુકાવવા આવી રહ્યા છે. જેને કોરોના ગાઇડલાઇન મુજબ રસી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : દાંતા તાલુકા મથકે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીકરણ શરૂ
રસી આપ્યા પછી 30 મિનિટ સુધી દેખરેખ હેઠળ રખાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર સંકેતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટાગોર હોલની ક્ષમતા 675 જેટલી હોવાથી રસી આપ્યા બાદ 30 મિનિટ સુધી દેખરેખ માટે 300 જેટલા લોકોને બેસાડવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તથા ઝડપથી વેક્સિનેશન થઈ શકે તે માટે આરોગ્યકર્મીઓ, ડોક્ટરની ટીમ પણ સતત હાજર રહે છે. 60થી વધુ વય અને 45થી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકો મેડિકલ સર્ટિફિકેટ અને કોઈપણ એક માન્ય આઈ ડી પ્રૂફ સાથે ટાગોર હોલ ખાતે આવીને સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને તુરંત જ રસી લઇ શકે તેવી ઉમદા વ્યવસ્થા પ્રશાસન તરફથી ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો : ખંભાળિયામાં વૃદ્ધોને કોરોના રસી આપવામાં આવી
સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી રસી અપાય છે
તેમણે આગળ જણાવ્યું હતું કે, ટાગોર હોલ ખાતે રસીકરણ કેન્દ્રનો સમય હવે સોમથી શનિ સુધી સવારના 9થી રાત્રિના 8 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે, તથા રવિવાર અને જાહેર રજાના દિવસે રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર સિલેક્ટર સ્કૂલો અને કોમ્યુનિટી સેન્ટરમાં પણ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી રસી લઇ શકાય છે.