- સાબરમતી નદીને પ્રદુષિત પડતા ઔદ્યોગિક એકમો સામે હાઈકોર્ટનું આકરું વલણ
- એક એક કસૂરવાર વ્યક્તિને પકડીને સીધા કરવામાં આવશે
- GPCB ને કડક પગલાં લેવા હાઇકોર્ટે આદેશ આપ્યો
અમદાવાદ: સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ વગર ગંદુ કેમિકલ વાળુ પાણી છોડતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે ચેતવણી આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ આ માટે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરાઇ હતી. કોર્ટે આ સુનાવણી દરમિયાન આકરું વલણ અપનાવતા ઔદ્યોગિક એકમોને ચેતવણી આપી છે કે, નદીને પ્રદૂષિત કરનારા એક પણ ઔદ્યોગિક એકમને છોડવામાં નહીં આવે. એક-એક કસૂરવાર વ્યક્તિને પકડીને સીધા કરવામાં આવશે.
આ પણ વાંચો- સાબરમતી નદીના પ્રદૂષણ અંગે જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે
એડવોકેટ હેમાંગ શાહને સ્વતંત્ર રીતે ઇન્ડસ્ટ્રીઝનું ઇન્સ્પેક્શન કરવા માટે કોર્ટે આપી મંજૂરી
મહત્વનું છે કે, અરજદારના એડવોકેટ હેમાંગ શાહે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેમણે એવા સ્થળો કે જ્યાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તેવા સ્થળોનું ઇન્ફેક્શન કરવા માટેની જ્યારે શરૂઆત કરી તો તેમને પ્રવેશ લેવા સામે અટકાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાઈકોર્ટે એડવોકેટ હેમાંગ શાહને સ્વતંત્ર રીતે ઇન્ડસ્ટ્રીઝનો ઇન્સ્પેક્શન કરવા માટે મંજૂરી આપી હતી. જો આમ ન કરવામાં આવે તો કોર્ટના બન્ને જજીશ પણ સરપ્રાઇઝ વિઝિટ કરી શકશે.
નદીને પ્રદુષિત કરવી એ યોગ્ય નથી: એડવોકેટ હેમાંગ શાહ
વધુમાં ETV Bharat સાથે એડવોકેટ હેમાંગ શાહે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, નદીનું પાણી શહેરના આગળના વિસ્તારમાં જતા ખેતરોમાં ભેળવાઈ રહ્યું છે. જેમાંથી ઉગેલો પાક જ આપણે ભોજન રૂપે લઈ રહ્યા છીએ. નદીને પ્રદુષિત કરવી એ યોગ્ય નથી, આપણે આ બધું રોકવું પડશે.
એડવોકેટે કોર્ટમાં સુનાવણી દરમિયાન શું કરી રજૂઆત?
સુનાવણી દરમિયાન એડવોકેટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કેટલાક વેપારીઓ આ સુએઝ લાઈનમાં કાણા પાડીને તેમાંથી ઇન્ડસ્ટ્રીયલ ગંદુ પાણી સીધું નદીમાં છોડી રહ્યા છે. તંત્ર આ બધું જાણે છે કે, ક્યાં કેમની અને કોની બેદરકારી હેઠળ આ કામ થાય છે. પણ તેમની સામે કાર્યવાહી કરવા માટે કોઈ રાજી નથી. રિવરફ્રન્ટ પર જ્યાં આ પાણી છોડવામાં આવ્યું હતું, ત્યાં હું 5 વાગ્યે ગયો હતો પણ ત્યાં એક ક્ષણ પણ ઊભું રહેવાય એવી સ્થિતિ ન હતી. આ સામે કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝડપી અને કડક પગલાં લેવાના શરૂ કરે તેવો કોર્ટે નિર્દેશ કર્યો હતો.
આ પણ વાંચો-મોદીસાહેબના સ્વચ્છતા અભિયાન પર શું પાણી રેડાયું? Sabarmatiમાં માછલીઓના મોતમાં AMCની બેદરકારી?
સુનાવણી દરમિયાન કોર્ટનું અવલોકન
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, જે સાબરમતી નદી અને રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઇ રહ્યા છીએ. તેમાં આમ દુષિત પાણી છોડાતું હોય એ ચલાવી લેવામાં આવશે નહીં. સત્તાની ટોચ પર બેઠેલા લોકો આવા ઉદ્યોગગૃહોને રક્ષણ આપે છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. વધુમાં કોર્ટે ઔદ્યોગિક એકમો કે જેમની બેદરકારીના કારણે નદી પ્રદૂષિત થઈ છે તેમની સામે પગલાં લેવામાં આવશે તેમજ કસૂરવારને છોડવામાં આવશે નહીં તેવી આકરી ચીમકી પણ આપી છે. આગામી સુનાવણી 14 સપ્ટેમ્બરે હાથ ધરાશે.