ગુજરાત ભાજપના પ્રમુખ અને પ્રભારી બન્ને બિનગુજરાતી છે, પરપ્રાંતિયોના મુદ્દે ગુજરાતની મજાક ન કરોઃ આમ આદમી પાર્ટી

author img

By

Published : Nov 6, 2021, 8:01 PM IST

ગુજરાત ભાજપના પ્રમુખ અને પ્રભારી બન્ને બિનગુજરાતી છે, પરપ્રાંતિયોના મુદ્દે ગુજરાતની મજાક ન કરોઃ આમ આદમી પાર્ટી

પરપ્રાંતિયો ગુજરાતમાં અસુરક્ષિત છે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ એવું નિવેદન આપ્યું હતું, જે પછી તે રાજકીય મુદ્દો બની ગયો છે. અને તેની સામે ભાજપ દ્વારા આકરી ટિકા કરવામાં આવી હતી અને રઘુ શર્મા હોમવર્ક કરીને આવે તેવી ટકોર પણ કરવામાં આવી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, ભાજપના પ્રમુખ સી.આર પાટીલ અને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા બન્ને બિન ગુજરાતી (Gujarat BJP president and in-charge are both non-Gujaratis) છે, ગુજરાતની જનતાની મજાક ન કરો

  • કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું પરપ્રાંતિયોના મુદ્દે નિવેદન
  • ભાજપ કહ્યું કે હોમ વર્ક કરીને આવો
  • આમ આદમી પાર્ટી કહે છે કે ગુજરાતની મજાક ન કરો
  • ભાજપ કોંગ્રેસ ત્રીજા પ્રકારનું રાજકારણ કરે છેઃ AIMIM

અમદાવાદ: ગુજરાત પરપ્રાંતિયો માટે અસુરક્ષિત છે, તેવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદન પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું હતું કે, ગુજરાત સુરક્ષિત છે અને પરપ્રાંતિયોને રોજગારી આપે છે, તેમજ રઘુ શર્માના રાજ્ય રાજસ્થાનથી વધુ જ લોકો ગુજરાતમાં રહે છે અને પ્રેમથી રોજગારી મેળવી છે. રઘુ શર્માએ નિવેદન કરતાં પહેલા હોમ વર્ક કરીને આવવા જણાવ્યું હતું.

ગુજરાત બહારના IAS અને IPS ગુજરાતમાં સ્થાયી થાય છેઃ રામ મોકરિયા

ત્યાર પછી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે, રઘુ શર્મા પાસે ગુજરાતના ઈતિહાસની જાણકારી નથી. કોંગ્રેસ આવા નિવેદન કરીને પ્રાંતવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે ગુજરાતીઓની માફી માંગવી જોઈએ. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, જેથી આવા નિવેદન કરીને મુદ્દાને સળગતો રાખી રહ્યા છે, પણ રઘુ શર્માને ખબર નથી ગુજરાત આતિથ્ય માટે ખુબ વખણાય છે અને વિશ્વમાં તે અવ્વ્લ છે. કોંગ્રેસ પ્રભારીના આવા પ્રાંતવાદને પ્રોત્સાહન આપતા નિવેદન દુઃખદ છે. રામ મોકરિયા એટલે અટક્યા ન હતા, તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત બહારના IAS અને IPS ગુજરાતમાં સ્થાયી થાય છે.

ગુજરાત પરપ્રાંતિયો માટે સેફ હેવન છે

સામાન્ય રીતે ગુજરાતમાં પરપ્રાંતિયોના મુદ્દે વિવાદ થયો નથી. પરપ્રાંતિયો માટે ગુજરાત સેફ હેવન છે. તેમના માટે વેપાર-ધંધો અને નોકરી માટે ગુજરાત ખૂબ જ સુરક્ષિત છે. ગુજરાતમાં દક્ષિણ ભારત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના લોકો આવે છે અને પછી સેટ થઈને આખા પરિવારને ગુજરાત બોલાવી લે છે. એક વ્યક્તિ ગુજરાત આવ્યો અને તે આર્થિક રીતે વ્યવસ્થિત સેટ થઈ જાય પછી પત્ની, બાળકો, ભાઈ, કાકા, મામા, અને તેમના દીકરાને બોલાવી લે છે. ગુજરાતીઓએ કયારે પરપ્રાંતિયોનો વિરોધ કર્યો નથી.

કોરોનાકાળમાં અંદાજે 12 લાખ શ્રમિક પરપ્રાંતિયોને વતન મોકલ્યા હતા

કોરાનાકાળમાં લોકડાઉન લદાયું ત્યારે ગુજરાત સરકારે અંદાજે 233થી વધુ ટ્રેનોની વ્યવસ્થા કરીને પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા મદદ કરી હતી. 15 મે, 2020 સુધીમાં સરકારે 4,70,000 જેટલા પરપ્રાંતિયોને વતન મોકલ્યા હતાં અને એક અંદાજ અનુસાર કુલ 12 લાખ જેટલા શ્રમિક પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા વ્યવસ્થા કરી હતી.

ગુજરાતની જનતાની મજાક ન કરોઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ETV Bharatને જણાવ્યું કે ગુજરાતની જનતા હાલ સુરક્ષિત નથી. ગુજરાતમાં વસતો એકએક ગુજરાતી વલખા મારી રહયો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તળિયે આવી ગઈ છે. ગુજરાતમાં સ્થાનિક રોજગારી પણ પૂરતી મળી રહી નથી. ગુજરાતમાં બહેનો દીકરીઓ પણ સુરક્ષિત નથી, ગુજરાતમાં માત્રને માત્ર ભાજપના નેતાઓ જ સુરક્ષિત છે. ગુજરાતમાં ક્રાઈમ રેટ ખુબજ વધી રહ્યો છે. ગુજરાતમાં જેટલા ગુંડાઓ છે તે ભાજપનો ખેસ પહેર્યો એટલે પવિત્ર થઈ રહ્યા છે. ભાજપ માત્રને માત્ર દ્વેષ ભાવનાથી શાસન ચલાવે છે. કોઈ પણ સામાન્ય નાગરિકને ન્યાય પણ નથી મળી રહ્યો તેવા અનેક દાખલા છે. ગુજરાત ક્રાઈમમાં પણ ખુબ જ આગળ છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ અને કોંગ્રેસ પ્રભારી બન્ને બિન ગુજરાતી (Gujarat BJP president and in-charge are both non-Gujaratis) છે, ત્યારે બન્ને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી ગુજરાતની મજાક ન બનાવી જોઈએ.

પાંચ વર્ષનો હિસાબ આપોઃ AIMIM

AIMIM ગુજરાતના પ્રવકતા દાનિસ કુરેશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફરીથી પ્રાંતવાદનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસે વાત શરૂ કરી ને ભાજપ રીએક્શન આપી રહી છે. પરપ્રાંતિયોના મુદ્દાને લઈને રાજકારણ શરૂ થયું છે. ગુજરાતના મુખ્યપ્રધાનને ગુમરાહ કરવાની વાત કરી રહ્યા છે. ભારત દેશ એક પ્રાંત છે અને એક દેશ છે. કોઈપણ હોય તેમણે દેશને અલગઅલગ પ્રાંતના ભાગલા કરવાની વાત છોડવી જોઈએ. તમે એ કહો કે કોંગ્રેસ વિપક્ષમાં બેસીને પાંચ વર્ષમાં શુ કર્યું. મજૂરોનો અવાજ આપે કેટલો ઉઠાવ્યો અને તેમને ન્યાય અપાવવા માટે આપે શું કર્યું. બીજી તરફ શાશક પક્ષમાં બેસીને પાંચ વર્ષ શું કર્યું, બન્ને જણાએ જવાબ આપવાને બદલે ત્રીજા પ્રકારનું રાજકારણ કરી રહ્યા છે. મુખ્યપ્રધાનને કહી રહ્યો છું કે, રાજ્યમાં આદિવાસીઓ, મુસલમાન, દલિતોની સ્થિતિ ખરાબ છે, તેના પર ધ્યાન આપવાને બદલે પ્રાંતવાદનો મુદ્દો ઉઠાવ્યો છે, પણ પ્રજા આ વાતમાં આવવાની નથી.

આ પણ વાંચો: રઘુ શર્માના નિવેદન પર સી. આર. બોલ્યા - આ ગુજરાતીઓની લાગણીનું અપમાન, માફી માગો

આ પણ વાંચો: Shivsena અને Congress લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ડ્રગ્સ મામલે NCB એ યોગ્ય તપાસ કરવી જોઈએ: Rupala

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.