ETV Bharat / city

Gujarat Assembly 2022: ભાજપ તરફી વેવ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી સરળ રહેશે, ચૂંટણી વહેલી આવશે?

author img

By

Published : Mar 10, 2022, 9:30 PM IST

Gujarat Assembly 2022: ભાજપ તરફી વેવ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી સરળ રહેશે, ચૂંટણી વહેલી આવશે?
Gujarat Assembly 2022: ભાજપ તરફી વેવ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી સરળ રહેશે, ચૂંટણી વહેલી આવશે?

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપની સરકાર રચાશે. ત્યારે હવે આ ચૂંટણી પરિણામની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર તેની શું અસર થશે? ભાજપ તરફી વેવ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી સરળ રહેશે. ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ…

અમદાવાદ: ભારતના અતિમહત્વના બે રાજ્યો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, અને ત્યાં ભાજપની સરકાર રચાશે. મણિપુર અને ગોવામાં ભાજપ બહુમતીની બેઠકની બિલકુલ નજીક આવી છે. એક માત્ર પંજાબમાં મેજર અપસેટ સર્જાયો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. ત્યારે હવે ગુજરાતમાં ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly elections in December)આવી રહી છે. તેના પર શું અસર પડશે. તેની ચર્ચા કરીશું.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં કમર કસશે

વહેલી ચૂંટણી આવવાની વાતો શરૂ થઈ

એક વાત એ છે કે યુપી અને ઉત્તરાખંડની ચૂંટણી જીત્યા પછી ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે? આ સવાલ બધાને મુંઝવી રહ્યો છે. જોકે હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, અને ડિસેમ્બરમાં ચૂંટણી ડ્યૂ થાય છે. તે પહેલા મે અથવા જૂનમાં ચૂંટણી આવી શકે છે. પણ ચૂંટણી આડે હવે માત્ર સાત મહિનાનો સમય બાકી રહ્યો છે, જેથી ચૂંટણી વહેલી આવે તેવી કોઈ શકયતા દેખાતી નથી. એટલે આ બે મુદ્દા ચર્ચામાં છે. પરંતુ ભાજપ અને કેન્દ્ર સરકાર હંમેશા સરપ્રાઈઝ આપવામાં માને છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ચૂંટણીની તૈયારી કે પ્રચાર કરવાનો સમય નહી આપે, તેવા ગણિત પર કામ કરશે તો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી શકે છે.

ભાજપે તો ચૂંટણી પ્રચાર કયારનોય શરૂ કરી દીધો છે

ભાજપ છેલ્લા છ મહિનાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. પેજ કમિટીથી માંડીને કાર્યકર્તાઓને માર્ગદર્શન સહિતના મુદ્દે સેમિનાર કર્યા છે. અને દરરોજ નવાને નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ થઈ રહ્યું છે. ભાજપ પ્રજા વચ્ચે રહેવાના દરરોજ કાર્યક્રમો કરે છે. સીએમ હોય કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હોય તમામ નેતાઓ પ્રજા વચ્ચે જઈને સરકારની યોજનાઓને પ્રજા વચ્ચે મુકી રહ્યા છે.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં કમર કસશે

બીજી મહત્વની વાત પંજાબમાં આમ આદમી પાર્ટીની(Aam Aadmi Party Punjab) જોરદાર એન્ટ્રી થઈ છે. ત્યાં કોંગ્રેસ અને ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્યા છે. કેપ્ટન પણ હાર્યા છે. તેની સામે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. પંજાબમાં કુલ 117 બેઠકમાંથી 92 બેઠક પર આપે કબજો કર્યો છે. દિલ્હી પછી પંજાબ અને હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. અરવિંદ કેજરીવાલનો (Arvind Kejriwal)હવે પછીનો પ્રવાસ ગુજરાતનો હશે અને તે દ્વારકાધીશના દર્શન કરીને ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે, તેની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. મોદીના ગઢમાં ગાબડુ પાડવા માટે હવે કેજરીવાલ ગુજરાત આવશે અને માઈક્રો મેનેજમેન્ટ કરીને ભાજપને કેમ હરાવવું તેના રાજનિતી ઘડશે.

ગુજરાતમાં સીએમ સહિત આખી સરકાર બદલી નાંખી

આ અગાઉ ETV BHARAT ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ગુજરાત પર શું અસર(Assembly Election Affect On Gujarat ) થશે, તે વિષય પર સ્પેશિયલ આર્ટિકલ પબ્લિશ કર્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(Chief Minister Bhupendra Patel) નવી સરકાર આવ્યા પછી પ્રજાની સરકાર હોય તેવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે. કોરોનાની બીજી લહેર (Corona Second Wave In Gujarat)માં વિજય રૂપાણીની સરકાર યોગ્ય કામ કરી શકી નહોતી અને ભાજપ બદનામ થયું. તેમજ પ્રજા માનસમાં પણ રૂપાણી સરકાર પ્રત્યે નેગેટિવ ઈમેજ સર્જાઈ હતી. તે ઈમેજ સુધારવા માટે થઈને ભાજપ મોવડી મંડળે રૂપાણીની આખી સરકાર બદલી હતી.

આ પણ વાંચો: Assembly Election Result 2022: ચૂંટણીના પરિણામોને લઇને વાઘાણીએ કહ્યું- વિકાસનું સ્ટ્રીમરોલર 5 રાજ્યોની ચૂંટણીમાં ફરી વળ્યું

ગુજરાતમાં પાટીદાર સીએમ બન્યા છે, તેનો લાભ મળશે

CM સહિત તમામ પ્રધાનો નવા આવ્યા અને હાલ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર ચાલી રહી છે. આ સત્તાપલટામાં એક કાંકરે 2 પક્ષી માર્યા જેવી વાત થઈ છે. એક તો સરકારની ઈમેજ બદલાવાનો પ્રયત્ન થયો અને બીજો પાટીદાર CM બન્યા. પાટીદારોના મત (Patidar Vote Bank In Gujarat) અંકે કરવા માટે ભૂપેન્દ્ર પટેલને CM બનાવ્યા.

ચૂંટણીના પરિણામ પછી CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ વિજયોત્સવ મનાવ્યો
ચૂંટણીના પરિણામ પછી CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ વિજયોત્સવ મનાવ્યો

ચૂંટણી વહેલી નહી આવેઃ દિલીપ ગોહિલ

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે ETV Bharatના અમદાવાદ સ્ટુડિયોમાં મહાચર્ચા દરમિયાન એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ચૂંટણી વહેલી આવશે તેવું મને નથી લાગતું કારણ કે આમ જુઓ તો ત્રણ મહિના બાદ કરો તો પ્રક્રિયાના તો છ મહિના બાકી રહે, જેથી વહેલા ઈલેકશન કરવા માટે પૂરતો સમય રહેશે નહી. એટલે ગુજરાતનું ઈલેક્શન ડિસેમ્બર 2022 વહેલું આવી શકે તેવી સંભાવના નહિવત છે. ઉત્તરપ્રદેશ ખૂબ વિશાળ છે જેનાથી રાષ્ટ્રીય ફલક પર અસર થશે પણ તેની ગુજરાત પર અસર થાય તેવી શકયતા ઓછી છે. પંજાબના પરિણામની ગુજરાત ડિસેમ્બર 2022 ચૂંટણીની વધારે મોટી માત્રામાં અસર થવાની છે. રાષ્ટ્રીય સંગઠનને નાણાની જરુર પડશે. એટલે દિલ્હી અને પંજાબ રાજ્યમાં સરકાર રચાઈ છે, એટલે ગુજરાતમાં ફંડ હવે બે રાજ્યોમાંથી આવશે. અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરદાર ટક્કર આપવા માટે તૈયાર થશે.

ગુજરાતને હું અલગથી જોવું છુંઃ હરેશ ઝાલા

વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ ઝાલાએ આ મુદ્દા પર કહ્યું હતું કે ગુજરાતને હું બધાથી અલગ જોવું છું. 1990થી ગુજરાતમાં ભાજપનું શાશન છે. ગુજરાત એ લેબોરેટરી છે. 1990થી હિન્દુઓના મત જનતા પાર્ટીમાં પડ્યા હતા. ગુજરાતની જનતા પાસે બે પક્ષ હતા કોંગ્રેસ અને ભાજપ પણ હવે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો નવો પક્ષ ઉભો થયો છે. અને ગુજરાતની જનતાને નવો ઓપ્શન મળશે. આપ શહેરની સાથે ગામડામાં પ્રચારપ્રસાર કરશે તો ગુજરાત વિધાનસભામાં આપને એન્ટ્રી લેવી સરળ હશે. પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી મેદાનમાં હશે અને તે ફેકટર મહત્વનું સાબિત થશે.

યુપીની ચૂંટણી પછી ભાજપ વેવ ઉભો થયો

ભાજપના વેવને ધ્યાને રાખીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આપી દેશે એક ચર્ચા એવી છે. બીજી ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં યુપીની ચૂંટણીના પરિણામને એનકેશ કરાશે. હિંદુત્વવાદી મુદ્દો ચાલ્યો છે તે સાબિત થશે અને ગુજરાતમાં પણ આ મુદ્દાને વધુ હાઈટલાઈટ્સ કરાશે. મોદીની છબી હિંદુ નેતાની જ છે, પણ યુપીની ચૂંટણીના પરિણામ અને ગુજરાતની ચૂંટણી સાથે સંબંધ છે. તેનો લાભ લેવા માટે ભાજપ મોવડીમંડળ કમર કસશે.

ચૂંટણીના પરિણામ પછી CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ વિજયોત્સવ મનાવ્યો
ચૂંટણીના પરિણામ પછી CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ વિજયોત્સવ મનાવ્યો

આ પણ વાંચો: Assembly Election Result 2022: પંજાબમાં AAPની જીતથી ગુજરાતના નેતાઓ કાર્યકરોમાં ઉત્સાહ, ઇસુદાને કહ્યું ગુજરાતમાં પણ લહેર જોવા મળશે

વડાપ્રધાન મોદીનો બે દિવસનો પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી હવે ભાજપ માટે સરળ હશે. કારણ કે ભાજપને ખબર પડી છે કે હિન્દુત્વવાદી વિચારસરણી અને વિકાસના મુદ્દા પર ફરીથી જીત મેળવી શકાય છે. યુપી મોડલની જેમ જ ગુજરાતમાં ચૂંટણી લડાશે. 11 માર્ચથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે, અને અમદાવાદ એરપોર્ટથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી ભવ્યાતિભવ્ય રોડ શો કરશે. આ રોડ શોમાં 4 લાખ જનતા તેમનું અભિવાદન કરશે. અને સાંજે જીએમડીસી ગ્રાઉન્ડમાં 1 લાખથી વધુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સરપંચોની મહાસંમેલન યોજાશે. બીજા દિવસે સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો પ્રારંભ કરાવશે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેશે. આ બધા જ કાર્યક્રમો ચૂંટણી પ્રચારના બની રહેશે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ ઈ ટીવી ભારત ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.