ગુજરાત કોંગ્રેસના જુના જોગીઓ થશે ઘરભેગા, હાઇકમાન્ડના ગુપ્ત સર્વેમાં ચોંકાવનારા તારણો

author img

By

Published : Sep 25, 2021, 5:08 PM IST

Updated : Sep 25, 2021, 10:12 PM IST

big change in Gujarat CongressBefore the Assembly elections 2022

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly elections 2022 ) આવી રહી છે ,જેને લઇ દરેક રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં લાગેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress )માં મોટા ફેરફાર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કરેલા ગુપ્ત સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. જેને લઇ હવે ગુજરાત કોંગ્રેસની કમાન યુવાનોને સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાથે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani ) અને CPI નેતા કનૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે.

  • ગુજરાત કોંગ્રેસમાં આવી શકે મોટા ફેરફાર
  • જુના જોગીઓને કાપી, યુવાનોને મળશે ગુજરાત કોંગ્રેસની કમાન
  • હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, અને જગદીશ ઠાકોરનું નામ મોખરે

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly elections 2022 )પહેલા રાજ્ય સરકાર બાદ હવે કોંગ્રેસ (Gujarat Congress )માં પણ મોટા ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે, છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખુબ જ નબળો જોવા મળી રહ્યો છે, તે જોતા કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓને અંધારામાં રાખીને ગુપ્ત સર્વે કરાયો હોવાની ચર્ચા વહેતી થઈ છે. જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે કે, ગુજરાતના જૂના જોગીઓ જ કોંગ્રેસને ડુબાડી રહ્યા છે, ત્યારે હવે એ સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનોને પક્ષની કમાન સોંપવામાં આવી શકે છે.

ભાજપના પગલે કોંગ્રેસ પણ વધ્યું આગળ ?

કોંગ્રેસ હાઈકમાન્ડ પણ હવે ભાજપના માર્ગે જઈ રહી છે, ગુજરાતમાં જૂના જોગીઓને ઘરભેગા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા નિશાળિયાઓ કહી શકાય તેવા ધારાસભ્યોના હાથમાં રાજ્યનું સુકાન સોંપી દીધું છે, ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ આ જ માર્ગ અપનાવી પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કર્યું છે. તો બીજી તરફ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ પરિવર્તન તરફ આગળ વધી રહી છે, ત્યારે ગુજરાતમાં અત્યારે વિપક્ષ જેવું કશું જ જોવા મળી રહ્યું નથી, તેવો રાજ્યની પ્રજાને અહેસાસ થઇ રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં સરપ્રાઈઝ આવશેઃ દિલીપ ગોહિલ

જાણીતા રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે ETV Bharat સાથેની વાતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓ ખાનગી સર્વે કરાવતી રહેતી હોય છે, તેવી રીતે કોંગ્રેસ હાઈકમાન્ડે પણ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પર સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં ચર્ચા છે કે કેટલાક વરિષ્ઠ નેતા પાર્ટીને નુકસાન થાય તેવા કાર્યો કરી રહ્યા છે અને ભાજપને ફાયદો થાય તેવા કામ થયા છે. આ ચર્ચાને અંતે એવું તારણ કાઢી શકાય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગીમાં નવો અને યુવાન ચહેરો લાવવામાં આવશે. પંજાબમાં કોંગ્રેસે મુખ્યપ્રધાન પદ માટે નવો જ ચહેરો આપી દીધો અને સરપ્રાઈઝ આપ્યું છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ થઈ શકે છે.

હાઇકમાન્ડના ગુપ્ત સર્વેમાં ચોંકાવનારા તારણો

હાઈકમાન્ડ હાર્દિક પટેલ પર કેટલો વિશ્વાસ મુકશે

દિલીપ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, આવી જ સરપ્રાઈઝ ગુજરાતમાં પણ થશે, આથી આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. ગુજરાતમાં નવું થઈ શકે છે, કોને પસંદ કરાશે અને તે કેટલા સફળ થશે. ભાજપની નો રિપીટ થિયરી કોંગ્રેસ અપનાવી શકે છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન ચલાવ્યું અને તે કોંગ્રેસમાં જોડાયા, આ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. જો કે હાર્દિક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફેઈલ ગયા હતા, પાટીદારોને તેમની સાથે લેવામાં તે નિષ્ફળ રહ્યા હતા, આ સંજોગોમાં પાર્ટી હાઈકમાન્ડ હાર્દિક પટેલ પર કેટલો વિશ્વાસ મુકે છે, તે માટે હાર્દિકને લેવામાં હાઈકમાન્ડ અચકાઈ શકે છે. જિગ્નેશ મેવાણી દલિત ચેહરો છે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. 2017માં વિધાનસભમાં પહેલીવાર અથવા બીજીવાર ચૂંટાઈને આવ્યા હતા, તેમનામાંથી યુવા નેતાઓની પસંદગી કરવી જોઈએ, એવું મારુ માનવું છે, પરંતુ કોંગ્રેસ આ વખતે સરપ્રાઈઝ આપશે, તે નક્કી છે.

શું શાસકપક્ષ સાથે કોંગ્રેસની સાંઠગાંઠ ?

ભાજપ સાથે વૈપારીક સંબંધ ધરાવતા કોંગ્રેસના જૂના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને લઇ લડી શકે તેવી હિંમત કોંગ્રેસના પીઠ નેતાઓમાં રહેલી નથી, જે આંખે ઊડીને વળગે તેવી છે. ખુદ કોંગ્રેસના કાર્યકરો જ કહી રહ્યા છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નહીં જીતનાર કોંગ્રેસના નેતાઓને સાઇડલાઇન નહીં કરાય ત્યાં સુધી કોંગ્રેસનો ઉદ્ધાર શક્ય નથી. જોકે કેટલાક માનીતા ચહેરાઓને જ આગળ કરવામાં આવતા કોંગ્રેસમાં પણ નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.

ક્યાં નેતાઓને કરવામાં આવી શકે સાઈડલાઈન ?

કાર્યકરોની ફરિયાદના આધારે AICC પ્રદેશના કોંગ્રેસના નેતાઓને અંધારામાં રાખીને ગુજરાતમાં આઠ અલગ અલગ ટીમો ઉતારી હતી, આ ટીમોને જુદા જુદા વિસ્તારોમાં ફરી વાસ્તવિક રાજકીય પક્ષ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો, આ ઉપરાંત કોંગ્રેસના પીઢ નેતાઓ વિશે મંતવ્યો પણ મેળવ્યા હતા. આ સર્વેમાં એવા તારણો નીકળ્યાં હતા કે, વર્ષ 2022ની ચૂંટણીમાં નવા યુવાનો અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી શકે છે. જેનો સીધો અર્થ એવો થઈ રહ્યો છે કે, જૂના જોગીઓને આગળ કરાશે તો ફરી કોંગ્રેસને ભૂંડી હાર મળી શકે છે, સંગઠનમાં ધરખમ ફેરફારની જરૂર છે. સંગઠન મજબુત કરવું હોય તો યુવાનો સિવાય વિકલ્પ જોવા મળી રહ્યું નથી, ખુદ AICC હાઈ કમાન્ડ પણ આ સર્વે જાણીને ચોંકી ઉઠયું છે. આ જોતા ભરત સોલંકી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, મધુસૂદન મિસ્ત્રી, ગૌરાંગ પંડ્યા, નરેશ રાવલ, તુષાર ચૌધરી સહિતના નેતાઓને સાઈડલાઈન કરવામાં આવી શકે છે.

ગુજરાત કોંગ્રેસમાં ક્યાં નવા ચહેરાને મળી શકે તક?

ગુજરાત કોંગ્રેસની છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઇકમાન્ડ હવે નવા ચહેરાને આગળ કરી શકે છે. જેમાં હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, અમરીશ ડેર, લલિત કગથરા, લલિત વસોયા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતનાઓના નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. જોકે આ સમગ્ર બાબત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે હાઈ કમાન્ડના સર્વે અંગે કોઇપણ વાત કરવાનો ઇનકાર કર્યો હતો, હાઇકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસ આ અંગે થઈને જે પણ નિર્ણય લેવામાં આવશે તે શિરોમાન્ય છે.

28 તારીખે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

કોંગ્રેસ પાર્ટીમાં આગામી દિવસોમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને CPI નેતા કનૈયા કુમાર 28મી સપ્ટેમ્બરે કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે, સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જીગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસમાં થઈ રહેલા વિખવાદો અને મજબૂત નેતૃત્વને ટકાવી રાખવા માટે જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં હાર્દિક પટેલ બાદ યુવા નેતા તરીકે જીગ્નેશ મેવાણી ઉભરી આવ્યા હતા, ત્યારે હવે આગામી દિવસોમાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસ પાર્ટીનો ચહેરો બનીને પ્રજા સમક્ષ જોવા મળશે.

આ પણ વાંચો:

Last Updated :Sep 25, 2021, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.