અમદાવાદ: 4 વર્ષીય બાળકી ઝેનાબની 9 કલાકની જટીલ સર્જરી થઈ સફળ

author img

By

Published : Jul 18, 2021, 9:14 PM IST

અમદાવાદ

ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)ના તબીબોએ ફરી એક વખત પોતાની કાર્યક્ષમતા-કાબેલિયતનો પરચો બતાવ્યો છે. GCRIના તબીબોએ આપેલી માહિતી મુજબ 4 વર્ષની કેન્સર પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો દેશમાં આ પ્રથમ કિસ્સો છે. 4 વર્ષના કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી હોય તેવો આ દેશનો પ્રથમ કિસ્સો છે.

  • 4 વર્ષીય બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરી પુન:સ્થાપિત કરાયુ
  • 9 કલાકની જટીલ સર્જરી બાદ પીડામુક્ત થઇ ઝેનાબને મળી નીરાંતની નીંદર
  • બાળકીના પગના હાડકાને આરીથી કાપીને જડબાનું સ્વરૂપ આપવામાં આવ્યુ

અમદાવાદ: ભવનાથની તળેટી જૂનાગઢમાં રહેતી ઝેનાબને જડબાના ભાગમા સાર્કોમા ગાંઠ જોવા મળી હતી. 'સાર્કોમા' એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. તેમાં પણ 4 વર્ષની બાળકીમાં જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો. નાની વયમાં આવી ગંભીર ગાંઠ જણાઇ આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા ત્યાના તબીબો પણ આ પ્રકારની ગાંઠ જોઇ સ્તબ્ધ રહી ગયા હતા. તબીબોએ ઝેનાબના પરિવારજનોને આવા ગંભીર પ્રકારની સર્જરી ફક્ત અમદાવાદની સિવિલ મેડિસિટીની GCRI માં જ શક્ય હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલના ડૉકટરો બાળકી માટે બન્યા ભગવાન !

ડૉ. હેમંત સરૈયાએ કરી સફળ સર્જરી

માઇક્રોવેસ્ક્યુલર સર્જરીને કોઠાસુઝ અને પોતાના અનુભવથી સફળતાપૂર્વક પાર પાડનારા પ્લાસ્ટિક સર્જન ડૉ. હેમંત સરૈયા કહે છે કે, ઝેનાબના કિસ્સામાં કેન્સરગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો મોઢાના અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શક્યતાઓ પ્રબળ હતી. જે બાળકીના જીવને જોખમ ઉભુ કરે તેમ હતુ. આ પરિસ્થિતિઓ વચ્ચે વધુ પડકારજનક હતુ કે કાઢેલા જડબાને પુન:સ્થાપિત કરવું, પરંતુ તે અમે સફળ કરીને બતાવ્યું છે.

અમદાવાદ
પગનાં હાડકામાંથી બનાવવામાં આવ્યું જડબુ

હાડકામાં અતિમોંધી ટાઇટેનીયમની ત્રણ-ચાર પ્લેટો અને 12થી 16 જેટલા સ્ક્રુ નાંખી કરવામાં આવ્યું ઓપરેશન

કેન્સરગ્રસ્ત જડબું કાઢીને ફરી વખત બનાવવામાં ન આવે તો બાળકીનો ચહેરો બેડોળ બનાવાની સંભાવના પણ રહેલી હતી. આ સર્જરીમાં તેના દાંત સામ-સામે ન બેસે તો સમગ્ર જીવનકાળ દરમિયાન પ્રવાહી ખોરાક પર રહેવાની ફરજ પડે તેમ હતું. આ તમામ પરિણામો બાળકીના શારીરીક અને માનસિક વિકાસ પર પણ અસર પહોંચાડે તેમ હતા. બાળકીનું જડબું બનાવવામાં પણ ઘણી મુશકેલીઓ હતી. કારણ કે, બાળકના પગનું હાડકુ ઘણું નાનું અને પાતળું હોય છે. જેથી તેને આરી વડે કાપીને જડબાના સ્વરૂપમાં રૂપાતંરિત કરવું પડે છે. આ દરમિયાન 1 MM જેટલી પણ ખામી સર્જાય તો બાળકીના બંને જડબા બરાબર બેસી શકે નહીં. વળી, આરીથી હાડકુ કાપતી વખતે જડબાની નીચેના ભાગમાં રહેલી લોહીની નળી ભૂલથી કપાઇ જાય તો આખું હાડકુ નકામું બની શકે છે. જેથી નવઆકાર લઇ રહેલા હાડકામાં અતિમોંધી ટાઇટેનિયમની ત્રણ-ચાર પ્લેટો અને 12થી 16 જેટલા સ્ક્રૂ નાંખીને તેને જોડવાની જરૂરિયાત ઉભી થઇ હતી.

સૌથી જોખમી હિસ્સામાં કરવામાં આવી સર્જરી

આ સમગ્ર સર્જરીનો સૌથી જોખમી હિસ્સો આ હાડકાની વાળ જેટલી ત્રણ લોહીની નળીઓને ગળા અને મગજની નળીઓ સાથે જોડીને તેમાં લોહીનું પરિભ્રમણ પૂર્વવત કરવાનો હતો. જો આમ કરવામાં ન આવે અને કોઇપણ નળી બ્લોક થઇ જાય તો નવનિર્મિત હાડકુ સળી જવાની સંભાવના રહેલી હતી. આ તમામ પરિસ્થિતિ સાથે GCRIના પ્લાસ્ટીક સર્જન ડૉ. હેમંત સરૈયા, ડૉ.પ્રીતમ અને કેન્સર સર્જન ડૉ.ઉમાંક ત્રિપાઠી અને તેમની ટીમે આ પડકારજનક ઓપરેશનને સળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું.

9 કલાકની જટીલ સર્જરી થઈ સફળ
9 કલાકની જટીલ સર્જરી થઈ સફળ

9 કલાકની સર્જરી બાદ ઝેનાબે લીધી શાંતિની નિંદર

ડોક્ટર્સે સૌ પ્રથમ ગળામાં કાણું પાડીને બાળકીને શ્વાસ માટેની હંગામી વ્યવસ્થા ગોઠવી અને કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખાવમાં આવ્યું હતું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું અને લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી હતી. કાપેલા નવા હાડકાને જડબાના માપ મુજબ આકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સપોર્ટ અને મજબૂતાઇ માટે ટાઇટેનિયમની પ્લેટ્સ અને સ્ક્રૂ સાથે બેસાડવામાં આવ્યા છે. આ ફ્લેપની ત્રણ લોહીની નળીઓ કે જે વાળ જેટલી પાતળી હતી તેને ગળાની અને મગજનાં ભાગમાંથી રક્તવહન કરતી નળીઓ સાથે માઇક્રોસ્કોપની મદદથી જોડવામાં આવી. આમ લોહીનું પરિભ્રમણ પુન:કાર્યરત થયું છે. ઓપરેશન બાદ આ નળીઓ સંકોચાઇ ન જાય અને લોહીનો ગઠ્ઠો આવી જવાથી બ્લોક ન થઇ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 9 કલાકની અતિ જટીલ સર્જરીના અંતે ઝેનાબની પીડાનો સુખદ અંત આવ્યો. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપીની શરૂઆત કરવામાં આવશે અને થોડા સમયબાદ નવા દાંત પણ નાંખવામાં આવશે.

9 કલાકની જટીલ સર્જરી કરી ઝેનાબને આપ્યું જીવનદાન

આ પણ વાંચો: અમદાવાદની સિવિલમાં વધુ એક સફળ સર્જરી, નાના બાળકના યકૃતમાં રહેલી ગાંઠ દૂર કરાઈ

પીડિત પરિવારે માન્યો સરકારનો આભાર

આ સમગ્ર સર્જરીની સફળતા બાદ અને પોતાના દીકરીને પીડામૂક્ત જોઇ પરિવારજનો ભાવવિભોર થયા હતા. તેમણે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ રાજ્ય સરકાર અને GCRIના તબીબોનો 8થી 10 લાખ જેટલી ખર્ચાળ અને અતિજટીલ સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા અને અતિજોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવા બદલ લાગણીસભર આભાર માન્યો હતો.

કેન્સરગ્રસ્ત દર્દીઓના નિદાન સારવાર માટે GCRI કટિબધ્ધ

G.C.R.I.ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું છે કે, કેન્સરગ્રસ્ત નાગરિકો માટે રાજ્ય સરકારના સહયોગથી અમારી ઇન્સ્ટીટ્યુટમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલ્ધ કરાવવામાં આવી છે. દર્દીઓને વિનામૂલ્યે અથવા તો નજીવા ખર્ચે કેન્સરની તમામ ખર્ચાળ સારવાર ઉપલબ્ધ થઇ રહી છે. દેશની અન્ય કેન્સર હોસ્પિટલમાં ન હોય તેવી અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીની મદદથી કેન્સરગ્રસ્ત દર્દીઓના નિદાન અને સારવાર માટે GCRI કટિબધ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.