ETV Bharat / city

Ahmedabad Crime Branchના 2 કોન્સ્ટેબલે સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ બની બોટાદ ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી

author img

By

Published : Sep 30, 2021, 10:44 AM IST

Ahmedabad Crime Branchના 2 કોન્સ્ટેબલે સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ બની બોટાદ ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી
Ahmedabad Crime Branchના 2 કોન્સ્ટેબલે સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ બની બોટાદ ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે બોટાદ ડબલ મર્ડર કેસ અને UPના આરોપીની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. જોકે, આ વખતે પોલીસ બનીને નહીં, પરંતુ ક્રાઈમબ્રાન્ચના કોન્સ્ટેબલ આરોપીના ફ્લેટમાં નોકરી કરીને તેને ઝડપી પાડ્યો હતો. એક કોન્સ્ટેબલ સફાઈ કામદાર તો બીજો સિક્યોરિટી ગાર્ડ બન્યો હતો. જોકે, બંનેએ જીવના જોખમે તક મળતાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

  • અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે બોટાદ ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી
  • ક્રાઈમબ્રાન્ચના 2 કોન્સ્ટેબલ સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ બની આરોપીના ફ્લેટમાં કરતા હતા નોકરી
  • બંનેએ જીવના જોખમે તક મળતાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો
  • UPના કુખ્યાત ગેંગસ્ટર સુભાષસિંહ ઠાકુરના ઈનામી સાગરિતને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યો
  • ઝડપાયેલા આરોપી સામે 50 હજાર રૂપિયાનું ઈનામ થયું હતું જાહેર
  • આરોપી મનીષસિંહ પર હત્યા, ખડણી, લૂંટ, ફાયરિંગ, મારમારી સહિત 25થી વધુ ગુના નોંધાયેલા છે

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે બોટાદ ડબલ મર્ડર કેસ અને UPના આરોપીની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ વર્ષ 2019થી આરોપી મનીષ સિંહને શોધી રહી હતી. આ સમગ્ર કહાની અમદાવાદના માણેકચોક ખાતેથી શરુ થઇ હતી. દિવાળીન દિવસે સોના ચાંદીના વેપારીઓ ધનતેરસના દિવસે ધનની પુજા કરી રહ્યા હતા. તે સમયે એક સોનીની દુકાનમાંથી 23 લાખ રૂપિયાના સોનાની ચોરી થઈ હતી. પહેલા સ્થાનિક પોલીસ તપાસ સંભાળે છે. સ્થાનિક પોલીસની સાથે કાઈમબ્રાન્ચના સ્ટાફે પણ તપાસ શરૂ કરી હતી. કાઈમબ્રાન્ચ પોતાની કામ કરવાની આદતને કારણે નાનામાં નાની ઘટના તપાસી રહી હતી ત્યારે તેમને એક મોટરસાઈકલનો નંબર હાથ લાગ્યો હતો. આ મોટરસાઈકલ સવારની અવરજવર ત્યાં હતી. મોટરસાઈકલના નંબરના આધારે તપાસ આગળ વધે છે તો જાણકારી મળે કે, આ મોટર સાયકલ તો શિવલાલ યાદવની છે, જેનો મોટો ફાઈનાન્સનો ધંધો છે.

ચોરીના કેસમાં ક્રાઈમબ્રાન્ચની તપાસ ક્યાં શુધી પહોચે છે?

આ ચોરીના કેસમાં શિવલાલ યાદવની શોધ કરતા તેનો કોઈ પત્તો લાગતો નથી ત્યારે જાણકારી મળી કે, શિવલાલની ફાઈનાન્સની સી. જી. રોડ ઉપર ઓફિસ છે. ક્રાઈમબ્રાન્ચ ત્યાં ઉપર પહોંચે છે પણ તે મળતો નથી, પરંતુ એક મોબાઈલ નંબર મળે તેની ઉપર સંપર્ક કરતા જાણકારી મળી કે શિવલાલ અમદાવાદના ચાંદખેડામાં એક મકાન ભાડે રાખી રહે છે. ક્રાઈમબ્રાન્ચ ચાંદખેડા પહોંચી તો ખબર પડી કે શિવલાલ મકાન ખાલી કરીને જતો રહ્યો હતો. પોલીસની તપાસ ત્યાં અટકી જાય છે પણ મહેનત ચાલુ છે. તે દરમિયાન પોલીસને એક ટ્રાન્સપોર્ટ કંપનીની જાણકારી મળી હતી, જેમાં શિવલાલનો સામાન ગયો હતો. પોલીસ ટ્રાન્સપોર્ટરને ત્યાં પહોંચે છે અને ત્યાંથી માહિતી મળી કે, સામાન મુંબઈના નાલાસોપારા ગયો હતો. ક્રાઈમબ્રાન્ચની એક ટીમ મુંબઈ પહોંચી અને જે સરનામુ મળ્યું ત્યાં શિવલાલની પત્ની મળી હતી પણ તેમના વચ્ચે લાંબા સમયથી કંકાશ ચાલતો હોવાથી તેણે શિવલાલથી છૂટાછેડા લઈ લીધા હતા.

UPના કુખ્યાત ગેંગસ્ટર સુભાષસિંહ ઠાકુરના ઈનામી સાગરિતને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યો

જૂના પડતર કેસોની તપાસનો ધમધમાટ વધાર્યો હતો

શિવલાલની પૂર્વ પત્નીએ પોલીસને ખાતરી આપી હતી કે, શિવલાલની કોઈ માહિતી મળે તો તેમને જાણ કરશે. ક્રાઈમબ્રાન્ચની તપાસ ફરી અટકે છે છતાં સમયાંતરે ક્રાઈમબ્રાન્ચની ટીમ મુંબઈ જાય છે પણ દર વખતે શિવલાલની પૂર્વ પત્ની જ પોલીસને મળે છે. શિવલાલ યાદવ ક્યાં ગયો તેનો કોઈ પત્તો લાગતો નથી. સમય જતાં શિવલાલ યાદવ વોન્ટેડ કેસની ફાઈલ ખૂલ્લી ગઈ હતી. એક વર્ષ પહેલા ક્રાઈમબ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પ્રેમવીર સિંહ, DCP ચૌતન્ય માંડલીક અને ACP તરીકે ડી. પી. ચુડાસમાં આવ્યા. તેમણે જૂના પડતર કેસોના કાગળ જોયા ફરી એક વખત શિવલાલ યાદવનો કેસ સામે આવ્યો હતો. તેમણે પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એમ. પટેલને આ બાબતની તપાસ તેજ કરવા સૂચના આપી એટલે ફરી ક્રાઈમબ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી...

એક કોન્સટેબલે DCPને આપી શિવલાલ યાદવની માહિતી

આ દરમિયાન ક્રાઈમબ્રાન્ચનો એક કોન્સટેબલે DCP માંડલિક પાસે નવી માહિતી લઈ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 2016-2019 સુધી ફાઈનાન્સર તરીકે ધંધો કરતો શિવલાલ યાદવ, જેને આપણે શોધીએ છીએ. તેનું સાચું નામ શિવલાલ યાદવ નથી તેનું સાચું નામ મનીષ સિંહ છે. DCP માંડલિકે ટેક્નિકલ ટીમને બોલાવી અને મનીષ સિંહ નામના આરોપીનો રેકોર્ડ લાવવા સૂચના આપી હતી. આરોપીનો રેકોર્ડ જોઈ અધિકારીઓ ચોંગી ગયા હતા. કારણ કે, મનીષ સિંહ કુખ્યાત ગેંગસ્ટર સુભાષસિંહ ઠાકુરની ગેંગનો સાગરિત નીકળ્યો હતો. તેણે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઈ 19 ગુનાઓને અંજામ આપ્યો હતો. મનીષ સિંહ પર ઉત્તરપ્રદેશમાં 50 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. મનીષ સિંહે મુંબઈમાં લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. ઉત્તર પ્રદેશ, મુંબઈ અને ગુજરાત પોલીસ મનીષ સિંગને શોધી રહી હતી. વર્ષ 2014માં મનિષ સિંહ બોટાદના એક પેટ્રોલપંપ ઉપર ગોળીબાર કરી બે વ્યકિતઓની હત્યા કરી હતી અને ફરાર થયો હતો.

ગુજરાતમાં ડબલ મર્ડર કર્યા બાદ નામ બદલી રહેતો હતો આરોપી

ક્રાઈમબ્રાન્ચે બોટાદ પોલીસ પાસેથી હત્યા વખતના CCTV મગાવ્યા હતા. પોતાના બાતમીદારોને બોલાવી ફૂટેજ બતાવ્યા તો એક બાતમીદારે કહ્યું આ તો રાજુ છે. રાજુ કોણ તેવો પ્રશ્ન પૂછાયો ત્યારે તેણે કહ્યું મનિષ સિંહ છે. આમ, ક્રાઈમબ્રાન્ચ શિવલાલ યાદવને હળવાશથી લઈ લઈ રહી હતી તે તો ખુંખાર હતો. તેણે મુંબઈના એક બાર માલિકની પણ જાહેરમાં હત્યા કરી હતી. મનીષને પકડવા ત્યારે તત્કાલીન એડિશનલ કમિશનર રાકેશ મારિયા પણ તેની પાછળ પડ્યા હતા. પણ તે ભાગવામાં સફળ રહ્યો હતો. તે ઉત્તર પ્રદેશ પોલીસના જાપ્તામાંથી પણ ભાગી છૂટ્યો હતો. આમ, વર્ષ 2014માં ગુજરાતમાં ડબલ મર્ડર કર્યા પછી તેણે 2016માં શિવલાલ યાદવનું ખોટું નામ ધારણ કરી અમદાવાદમાં રહેવાની શરૂઆત કરી હતી અને ફાઈનાન્સનો ધંધો શરૂ કરી દીધો હતો.

સુભાષસિંહ ગેંગની ત્રણ ખાસીયતના ક્રાઈમબ્રાન્ચને પકડવામાં થતી હતી મુશ્કેલી

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે મુંબઈના પોતાના સંપર્કોને જાગૃત કર્યા થોડાક જ સમયમાં જવાબ આવ્યો કે, મનીષ સિંહ નાલાસોપારા પોતાના ફ્લેટ ઉપર આવે છે પણ ક્યારે આવે ક્યારે જાય તે સમય નક્કી હોતો નથી. એટલે મનીષસિંહને પકડવો ક્રાઈમબ્રાન્ચ માટે થોડો મુશ્કેલ હતો. સુભાષસિંહ ગેંગની ત્રણ ખાસીયત હતી. એક તો તેની ગેંગના સભ્યએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. બીજું પોતાનું સાચું નામ ક્યારેય કોઈને કહેવું નહીં અને ત્રીજુ પોતાનું ઘર કોઈને પણ બતાડવું નહીં. આ ત્રણ ખાસીયતને કારણે મનિષ સિંહ ઉર્ફે શીવલાલ યાદવ પોલીસની પકડથી દૂર હતો, પણ હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તૈયાર થઈ ચુકી હતી. PSI જે. બી. બુધેલિયા, હેડ કોન્સબલ મહાવીરસિંહ અને કિશોર ગઢવી મુંબઈ જવા રવાના થયા હતા પણ મનીષ કયારે આવશે તેની ખબર નહતી. સતત વોચમાં રાખવામાં આવે તો શાતીર મનીષ પોલીસની મુવમેન્ટ ઓળખી જાય તેમ હતો. મુંબઈ પહોંચેલી ક્રાઈમબ્રાન્ચ નવી ઓળખ ધારણ કરી મનીષના એપાર્ટમેન્ટમાં વોચમેન અને સફાઈકામદારની નોકરી મેળવી લીધી હતી.

આરોપી મનીષ પિતાનું શ્રાદ્ધ કરવા ઘરે આવ્યો ત્યારે ઝડપાઈ ગયો

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ માટે આ કામ મુશ્કેલ હતું પણ દિવસો પસાર થવા લાગ્યા પણ મનીષ આવ્યો નહીં. વોચમેન અને સફાઈ કામદારની નોકરી કરતી પોલીસ થાકી ગઈ હતી. 14 દિવસ થઈ ગયા હતા. ટીમે DCP ચૈતન્ય માંડલિકને ફોન કર્યો કહ્યું, સાહેબ ઈન્ફર્મેશન સાચી લાગતી નથી અને પાછા ફરીએ માંડલીકે કહ્યું, આટલા દિવસ રાહ જોઈ છે તો થોડા દિવસ વધુ રાહ જુઓ. ટીમ રોકાઈ ગઈ અને શ્રાદ્ધ પક્ષ ચાલતું હોવાને કારણે મનીષ પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ઘરે આવ્યો હતો. ત્યાં વોચમેનના રૂપમાં હાજર પોલીસ જવાને તેને ઓળખી લીધો. બાકીની ટીમને એલર્ટ કરી અને મનીષ પોતાના ઘરમાં હતો ત્યાં જ તેને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

આરોપીનો ભૂતકાળ
આરોપી મનીષ મૂળ યુપીનો ગેંગસ્ટર અને ગુજરાતમાં પણ તેની સામે ઘણા ગુના નોંધાઈ ચુક્યા છે. સુભાષસિંહ ઠાકુર ગેંગના શૂટર મનીષ સામે યુપી ગુજરાત અને દેશભરમાં હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી, ફાયરિંગ, મારામારી જેવા અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જે પૈકી વર્ષ 2014માં બોટાદમાં આવેલા એક પેટ્રોલપંપની ઓફિસમાં ઘુસી અંગત અદાવતમાં 2 લોકો પર અંધાધૂંન ગોળીઓ વરસાવી બે હત્યાઓ કરી હતી ફરાર થયો હતો. આ સિવાય મનીષ અને તેના સાથી સામે ગુજરાતના વડગામમાં આમર્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે. આમ, શિવલાલને શોધવા નીકળેલી ક્રાઈમબ્રાન્ચને હાથે ઉત્તરપ્રદેશનો ખૂંખાર આરોપી મનીષ સિંહ ત્રણ વર્ષ બાદ અને 19 ગુનામાં વોન્ટેડ મનીષ સિંહ હાથ લાગ્યો હતો. મનીષ સિંહની પૂછપરછમાં એ પણ સામે આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ પોલીસ તેનું એન્કાઉન્ટર કરી દેશે એ ડરથી ગુજરાતને રહેવા માટે પસંદ કર્યું હતું.

આ પણ વાંચો- સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ

આ પણ વાંચો- સુરતમાં માત્ર 500 રૂપિયાના કારણે છત્તીસગઢના વૃદ્ધની હત્યા, આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.