ETV Bharat / business

નવા વર્ષમાં ચેકને વધારે સુરક્ષિત બનાવતી સિસ્ટમ

author img

By

Published : Jan 1, 2021, 10:59 PM IST

ચેકને સુરક્ષિત બનાવતી સિસ્ટમ
ચેકને સુરક્ષિત બનાવતી સિસ્ટમ

મોટી રકમનો ચેક લખવામાં આવ્યો હોય ત્યારે તેને વધારે સુરક્ષિત કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમ નવા વર્ષથી અમલમાં આવી છે. તેના કારણે બૅન્કિંગ ફ્રોડ રોકી શકાશે.રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ઑગસ્ટમાં ચેક ટ્રન્કેશન સિસ્ટમ માટે પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત કરી હતી. તેનો અમલ 1 જાન્યુઆરી 2021થી શરૂ થયો છે.

બિઝનેસ ડેસ્ક: મોટી રકમનો ચેક લખવામાં આવ્યો હોય ત્યારે તેને વધારે સુરક્ષિત કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમ નવા વર્ષથી અમલમાં આવી છે. તેના કારણે બૅન્કિંગ ફ્રોડ રોકી શકાશે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ઑગસ્ટમાં ચેક ટ્રન્કેશન સિસ્ટમ માટે પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત કરી હતી. તેનો અમલ 1 જાન્યુઆરી 2021થી શરૂ થયો છે.

બૅન્કો તરફથી પણ ચેક માટેની સિસ્ટમની જાહેરાત કરવાનું શરૂ કરી દેવાયું હતું અને તેનો અમલ શરૂ કરવાની જાહેરાતો થતી રહી છે. તમે પણ ચેકથી મોટી રકમની ચૂકવણી કરતા હો કે મેળવતા હો તો આ નવી પદ્ધતિ જાણી લેવી જોઈએ.

પોઝિટિવ પે એટલે શું?

પોઝિટિવ પે પદ્ધતિ એટલે મોટી રકમનો ચેક હોય ત્યારે તેને ક્લિયર કરતાં પહેલાં તેની ફરીથી ખરાઈ કરવામાં આવે છે, જેથી ગોલમાલ ના થઈ શકે.

આ પદ્ધતિમાં ચેક આપનાર વ્યક્તિ અથવા કંપની મોટી રકમનો ચેક કોને અપાયો છે, કઈ તારીખનો છે અને કોના નામનો છે અને કેટલી રકમ છે અને કઈ બૅન્કમાં જવા થવાનો છે તેની માહિતી પોતાની બૅન્કને આપે છે.

આ બધી માહિતી ઇલેક્ટ્રોનિકલી આપી શકાય છે. SMS, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બૅન્કિંગ, ATMથી અથવા બૅન્કને સૂચના મોકલીને માહિતી આપી શકાય છે.

આ ચેક જ્યારે ભરવામાં આવે અને ક્લિયરિંગ માટે આવે ત્યારે ચેક ટ્રન્કેશન સિસ્ટમ (CTS) આ બધી વિગતોની પુનઃ ચકાસણી કરે છે.

જો માહિતી મળતી આવતી હોય તો ચેક પાસ કરવામાં આવે છે, પરંતુ વિગતોમાં ફેરફાર જણાય તો ચેક આપનાર અને મેળવનાર બંને બૅન્કોને જાણ કરવામાં આવે છે.

આ પદ્ધતિથી કેવી ગોલમાલ અટકાવી શકાય છે?

પોઝિટિવ પે સિસ્ટમથી નકલી ચેકથી છેતરપિંડી રોકી શકાય છે (એટલે કે નોન-બૅન્ક કાગળ પર બનાવેલા નકલી ચેકને અટકાવી શકાય). ચેકમાં છેડછાડ અટકાવી શકાય (ચેક સાચો હોય, પણ તેના પર સહીમાં ગોલમાલ હોય) અને સૌથી વધારે ચેકની રકમમાં ફેરફાર કરાયો હોય તેને અટકાવી શકાય. (એટલે કે ચેક અને ચેકમાં સહી સાચી હોય, પણ તેની રકમમાં ફેરફાર કરી નખાયો હોય, કે પછી મેળવનારાનું નામ બદલી નખાયું હોય).

શું બધા ચેકને આ સિસ્ટમ લાગુ પડશે?

50,000 રૂપિયાથી વધુ રકમનો ચેક લખવામાં આવે તે બધા પર બૅન્કો પોઝિટિવ પે સિસ્ટમને લાગુ કરી શકે છે. જોકે આ સિસ્ટમનો લાભ લેવો કે નહિ તેનો નિર્ણય ખાતેદાર પર છોડવામાં આવશે એમ આરબીઆઈએ જણાવ્યું છે.

બીજા શબ્દોમાં કહીએ તો ખાતાધારક આ પદ્ધતિ અપનાવા ના માગે તો ફરજ પાડવામાં આવશે નહિ. ખાતાધારક મોટી સંખ્યામાં ચેક આપતા હોય ત્યારે દરેક ચેકની માહિતી બૅન્કને આપવાની તૈયારી ના હોય ત્યારે ફરજ પાડવામાં આવશે નહિ. ખાતાધારકે આ સુવિધા નહિ લીધો હોય ત્યારે તેમના ચેક CTS તરફથી ક્રોસ વેરિફિકેશન કર્યા વિના પાસ કરી દેવાશે.

જોકે આરબીઆઈએ એવું પણ જણાવ્યું છે કે પાંચ લાખથી મોટી રકમનો ચેક આપવાનો હોય ત્યારે આ સિસ્ટમ પ્રમાણે માહિતી આપવાનું ખાતાધારકો માટે બૅન્કો ફરજિયાત કરી શકે છે. આ માટેના નિયમો દરેક બૅન્ક પોતાની રીતે જાહેર કરશે.

ખાતાધારકોએ આ સિસ્ટમને કેવી રીતે સમજવી?

ખાતાધારકોએ આ વાત સમજવી જોઈએ કે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેક આપવામાં આવશે તેને જ હવે આગળથી ડિસ્પ્યૂટ રિઝોલ્યૂશન મિકેનિઝમ માટે ધ્યાને લેવાશે. એટલે કે આ સિસ્મટ હેઠળ ખાતાધારકે માહિતી આપી હશે ત્યારે જ CTS ગ્રીડમાં ફરિયાદ લેવાશે. એથી ખાતાધારક માટે આ સિસ્ટમનો અમલ કરવો હિતાવહ છે.

આરબીઆઈએ એવું પણ જણાવ્યું છે કે CTSની બહાર ચેકનો વ્યવહાર થાય છે તેના માટે પણ પોઝિટિવ પે સિસ્ટમ બૅન્કોએ અમલમાં મૂકવો જોઈએ.

કઈ બૅન્ક તરફથી પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત થઈ છે?

દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ બુધવારે જ જાહેરાત કરી છે કે તેના દ્વારા 1 જાન્યુઆરીથી પોઝિટિવ પે સિસ્ટમ ચેકની પદ્ધતિ અમલમાં આવશે.

SBI તરફથી તેના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાં જણાવાયું છે કે: “ચેક દ્વારા થતા પેમેન્ટ સહિતના બધા પેમેન્ટને સલામત બનાવવા માટે SBI પહેલી જાન્યુઆરી 2021થી પોઝિટિવ પે સિસ્ટમ અલમાં મૂકશે. વધુ વિગતો માટે તમારી નજીકની SBIની બ્રાન્ચનો સંપર્ક કરશો.”

મજાની વાત એ છે કે આઈસીઆઈસીઆઈ બૅન્ક દ્વારા પોઝિટિવ પે સર્વિસ તેના ખાતાધારકો માટે છેક 2016થી ચાલે છે. આ પદ્ધતિ પ્રમાણે ખાતાધારકો ચેક લખ્યો હોય તેની આગળ અને પાછળની ઇમેજ બૅન્કની iMobile એપ પર અપલોડ કરી શકે છે. આ બૅન્ક હવે પોતાની સેવાને વધારે વિસ્તૃત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.