ETV Bharat / bharat

દિલ્હીના મુખ્ય સચિવની નિમણૂક માટે LG અને CM કેમ ચર્ચા કરી શકતા નથી: SC

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 7:51 PM IST

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના નવા મુખ્ય સચિવની નિમણૂક માટે પાંચ નામો સૂચવે અને પછી દિલ્હી સરકાર તે યાદીમાંથી એકને મુખ્ય સચિવ તરીકે પસંદ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: નવી દિલ્હીના મુખ્ય સચિવની નિમણૂકને લઈને આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર વચ્ચેની મડાગાંઠ વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સૂચન કર્યું કે લેફ્ટનન્ટ ગવર્નર અને કેન્દ્ર સરકાર નામો સૂચવે અને દિલ્હી સરકાર તેમાંથી કોઈ એકની પસંદગી કરી શકે. કોર્ટે પૂછ્યું કે શા માટે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકસાથે મળીને આ પદ માટેના નામ પર ચર્ચા કરી શકતા નથી?

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરી રહી હતી. દિલ્હી સરકારની સલાહ લીધા વિના મુખ્ય સચિવની નિમણૂક કરવા અથવા વર્તમાન મુખ્ય સચિવ નરેશ કુમારનો કાર્યકાળ વધારવાના કેન્દ્રના કોઈપણ પગલા સામે અરજી દાખલ કરવામાં આવી છે. કુમાર 30 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. દિલ્હી સરકારે પૂછ્યું કે જ્યારે નવા દિલ્હી સેવા અધિનિયમને પડકારવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર તેની સાથે સલાહ લીધા વિના મુખ્ય સચિવની નિમણૂક સાથે કેવી રીતે આગળ વધી શકે છે.

ચીફ જસ્ટિસે કહ્યું, "લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી શા માટે મીટિંગ કરી શકતા નથી? છેલ્લી વખત અમે ડીઈઆરસીના અધ્યક્ષની નિમણૂક માટે આ જ વાત કહી હતી અને તેઓ ક્યારેય તૈયાર નહોતા." કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર અને આમ આદમી પાર્ટી સરકાર વચ્ચે ઘણા મુદ્દાઓ પર સંઘર્ષની સ્થિતિ છે. બેન્ચે પ્રસ્તાવ મૂક્યો, "લેફ્ટનન્ટ ગવર્નર અને કેન્દ્ર શા માટે નામોની યાદી રજૂ કરતા નથી? અંતિમ ચૂંટણી તમારી યાદીમાંથી જ થશે. તમે યાદી રજૂ કરો. પછી તેઓ (દિલ્હી સરકાર) નામ નક્કી કરશે."

દિલ્હી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં સેવાઓ સંબંધિત નવા કાયદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે અને લેફ્ટનન્ટ ગવર્નર એકપક્ષીય રીતે સત્તાનો ઉપયોગ કરી શકતા નથી. કેન્દ્રવતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે હંમેશા સ્ટેન્ડ એ રહ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મુખ્ય સચિવની નિમણૂક કરે છે. સિંઘવીએ કહ્યું કે મુખ્ય સચિવની નિમણૂક મુખ્યમંત્રીની ભલામણ પર કરવામાં આવી હતી.

મહેતાએ કહ્યું, "ક્યારેય નહીં. હું એફિડેવિટ પર લેખિતમાં આપી શકું છું." લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, "મને એ કહેતા ખેદ થાય છે કે મુખ્ય સચિવ વિરુદ્ધ નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને તેમણે ખોટા આરોપો સામે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો." બેન્ચે આગામી સુનાવણી માટે મંગળવારની તારીખ નક્કી કરી છે.

  1. તેલંગાણામાં કોંગ્રેસ જીતશે તો બેરોજગારોની સમસ્યા દૂર થશેઃ પ્રિયંકા ગાંધી
  2. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં AAP સાંસદ સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ લંબાવવામાં આવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.