ETV Bharat / bharat

આ શિયાળામાં યોગથી સ્વયંને સ્વસ્થ રાખો

author img

By

Published : Jan 15, 2021, 5:56 PM IST

યોગથી સ્વયંને સ્વસ્થ રાખો
યોગથી સ્વયંને સ્વસ્થ રાખો

ડાયાબિટીસ ધરાવતા લોકોને શિયાળામાં ભારે પડકારનો સામનો કરવો પડે છે. ઠંડા હવામાનની સાથે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાથી શરીર પર તણાવ સર્જાય છે, જેને કારણે તેમના માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ ઊભી થાય છે. પરિણામે, શરીરમાં એડ્રેનલાઇન અને કોર્ટિસોલ જેવા કુદરતી અસ્તિત્વ ટકાવી રાખવાના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આખરે, લિવર ઊર્જા માટે વધુ ગ્લુકોઝ છોડે છે, જેના પરિણામે બ્લડ સુગરનું લેવલ વધી જાય છે.

યોગ અને શિયાળો

ડાયાબિટીસ ધરાવતા લોકોને શિયાળામાં ભારે પડકારનો સામનો કરવો પડે છે. ઠંડા હવામાનની સાથે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાથી શરીર પર તણાવ સર્જાય છે, જેને કારણે તેમના માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ ઊભી થાય છે. પરિણામે, શરીરમાં એડ્રેનલાઇન અને કોર્ટિસોલ જેવા કુદરતી અસ્તિત્વ ટકાવી રાખવાના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આખરે, લિવર ઊર્જા માટે વધુ ગ્લુકોઝ છોડે છે, જેના પરિણામે બ્લડ સુગરનું લેવલ વધી જાય છે.

જિન્દાલ નેચર ક્યોર ઇન્સ્ટિટ્યૂટના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડો. એચ પી ભારતી જણાવે છે, "વર્તમાન સમયમાં ભારતના ૫૦ મિલિયન કરતાં વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને આ આંકડો 2025માં વધીને છ કરોડને પાર થઇ જાય, તેવી શક્યતા છે. આથી, દેશ સામે આ ચિંતાજનક સમસ્યાને નિવારવાનો મોટો પડકાર રહેલો છે. નેચરોપેથિક અભિગમ તથા વર્તણૂંકમાં અમુક ચોક્કસ પ્રકારનો ફેરફાર કરવાથી શિયાળા દરમિયાન ડાયાબિટીસના અસરકારક વ્યવસ્થાપનમાં મદદ મળી શકે છે."

તેઓ નેચરોપથી અને યોગાસનની 10 ટિપ્સ જણાવે છે, જે શિયાળાની ઋતુમાં ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ઉપયોગી નીવડી શકે છે.

આહાર

ઋતુ કોઇપણ હોય, ડાયાબિટીસને નિયંત્રિત રાખવા માટે સંતુલિત આહાર અત્યંત મહત્વપૂર્ણ છે. આ માટે, આહારમાં ભરપૂર માત્રામાં શાકભાજી, ફળો, અનાજ, મસૂર, બિન્સ તથા ઓટમિલનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે. મીઠાઇ અને ચરબીયુક્ત પદાર્થોનું સેવન ટાળવું જોઇએ. આ ઉપરાંત, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓએ ડ્રાય ફ્રૂટ્સના સેવનથી પણ દૂર રહેવું જોઇએ, કારણ કે તેમાં રહેલું ફ્રુક્ટોસ શરીરમાં સુગર લેવલ વધારી શકે છે.

શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ

વધારાનું ગ્લુકોઝ પેશાબવાટે શરીરમાંથી બહાર નિકળી જાય, તે માટે શરીરને કાયમ હાઇડ્રેટેડ (પ્રવાહીથી યુક્ત) રાખવું જરૂરી છે. અન્ય પીણાં પ્રિઝર્વેટિવ્ઝ અને શર્કરા ધરાવતાં હોવાથી મુખ્યત્વે પાણી પીવાનો જ આગ્રહ રાખવો.

યોગ

યોગની પ્રાચીન પરંપરા શરીર માટે ચમત્કાર સર્જી શકે છે. તે ડાયાબિટીસ ધરાવનારા લોકોને આ બિમારી નિયંત્રિત રાખવામાં તથા સામાન્ય અને આનંદપ્રદ જીવન જીવવામાં મદદ પૂરી પાડે છે. વિજ્ઞાન દર્શાવે છે કે, યોગાસનની આંતરિક સ્નાયુઓ અને અંગોને મરોડતી કેટલીક ચોક્કસ મુદ્રાઓ પેન્ક્રિયાસ અને એન્ડોક્રાઇન સિસ્ટમને ઉદ્દીપ્ત કરે છે. તેના કારણે ઇન્સ્યુલિનનું સ્રવણ થાય છે, જેનાથી શરીરમાં બ્લડ ગ્લુકોઝનું સ્તર નિયંત્રણ હેઠળ રહે છે.

વૈકલ્પિક સારવાર

એક્યુપંક્ચર, ફિઝિયોથેરેપી, હાઇડ્રોથેરેપી વગેરે જેવી વૈકલ્પિક ઉપચારની પદ્ધતિઓ ઘણી બધી રીતે શરીરની સંવાદિતા પુનઃ પ્રસ્થાપિત કરી શકે છે. એક્યુપંક્ચરમાં શરીરના કેટલાક ચોક્કસ પોઇન્ટ્સમાં સોય દાખલ કરવામાં આવે છે. આ પદ્ધતિ વજન ઊતારવામાં, બ્લડ સુગરનું લેવલ નિયંત્રિત કરવામાં તથા ઇન્સ્યુલિન નિયંત્રિત કરવામાં ઉપયોગી નીવડે છે. ફિઝિયોથેરેપી અને હાઇડ્રોથેરેપી વજન ઘટાડવામાં, તણાવનું પ્રમાણ ઘટાડવામાં અને બ્લડ પ્રેશર નીચું રાખવામાં ઉપયોગી ન્યૂરોલોજિકલ અને મસ્ક્યુલોસ્કેલેટલ કાર્યોને વેગ આપે છે.

પૂરતી ઊંઘ

પૂરતી અને ગાઢ નિદ્રા મહત્વપૂર્ણ છે, કારણ કે ઝેરી તત્વો, રોજિંદા તણાવો અને અન્ય ઘણાં પરિબળોનો સામનો કર્યા બાદ પુનઃ સ્વસ્થ થવા માટે શરીરને નિદ્રાની જરૂર પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ શરીર તેને થયેલા નુકસાનમાંથી સાજું થઇ શકે અને તેની રોગપ્રતિકારક શક્તિ વધે, તે માટે રોજ ઓછામાં ઓછા છથી સાત કલાકની સળંગ નિદ્રા લેવી જોઇએ.

માનસિક આરોગ્ય

ડાયાબિટીસ ધરાવનારા લોકો ઘણા તણાવમાં જીવન પસાર કરતા હોય છે. તેના કારણે તેમની ચિંતામાં વધારો થઇ શકે છે, ઉપરાંત તેઓ મૂડ બદલાતો રહેવો, દ્વિધા અને ડિપ્રેશન જેવી સમસ્યાનો શિકાર બની શકે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, શિયાળા દરમિયાન સિઝનલ અફેક્ટિવ ડિસોર્ડર (SAD) ઉદ્ભવી શકે છે, જોકે, તેની સારવાર શક્ય છે. પ્રિયજનો સાથે સમય પસાર કરવાથી, પોતાના શોખના વિષયોમાં રચ્યા-પચ્યા રહેવાથી કે પછી પ્રોફેશનલની મદદ મેળવવાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળી શકે છે.


વ્યક્તિગત સ્વચ્છતા

વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે ડાયાબિટીસના દર્દીઓએ તેમના હાથ સાબુ વડે વારંવાર અને યોગ્ય રીતે ધોતાં રહેવું જોઇએ. આ ઉપરાંત, નેતી પોટ વડે મીઠાના પાણીથી નસકોરાં સાફ રાખવાથી શ્વસન માર્ગ સ્વચ્છ રહે છે.


વજન ઊતારવું

મેદસ્વીતાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 80-85 ગણું વધી શકે છે. મેદસ્વી લોકોના શરીરમાં પેન્ક્રિયાસ શરીરની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી. આથી, તંદુરસ્ત રહેવા માટે વજન ઊતારવું એકમાત્ર વિકલ્પ બની રહે છે. વધુ વજનથી છૂટકારો મેળવવા માટે નિયમિત કસરત, ઝડપથી ચાલવું વગેરેને રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઇએ.


રોગપ્રતિકારક શક્તિ આડે અવરોધ ઊભો કરતો આહાર ટાળો

ડાયાબિટીસના દર્દીઓએ વધુ ફેટ ધરાવતા ભોજન, આલ્કોહોલ, કેફિન અને વ્હાઇટ સુગરથી દૂર રહેવું જોઇએ, કારણ કે તે રોગપ્રતિકારક વ્યવસ્થાની અસરને દબાવી દે છે. વધુ પ્રમાણમાં ફેટ ધરાવતો ખોરાક લિમ્ફેટિક સિસ્ટમને બ્લોક કરી દે છે, જેથી સંક્રમણ સામે લડવાની શરીરની ક્ષમતા સામે અવરોધ સર્જાય છે.


બહાર સમય વીતાવો

બહાર અથવા તો પ્રકૃતિના સાનિધ્યમાં સમય પસાર કરવાથી મૂડ સુધરવાની સાથે-સાથે શરીરમાં વિટામીન ડીનું પ્રમાણ પણ વધે છે. પેથોજિન્સને ઓળખીને તેમની સામે, ખાસ કરીને ઇન્ફ્લ્યૂએન્ઝા સામે પ્રતિસાદ આપવા માટેની શરીરની ક્ષમતા વધારવા માટે વિટામીન ડી મહત્વનું ઘટક છે.

ડાયાબિટીસની સંભાળ લેવી જટિલ છે અને તેમાં ગ્લુકોઝના નિયંત્રણ ઉપરાંત બીજી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. શારીરિક પ્રવૃત્તિ, તંદુરસ્ત આહાર અને શરીરનું યોગ્ય વજન જાળવવું એ ડાયાબિટીસના નિવારણ તથા તેના વ્યવસ્થાપન માટેનાં જરૂરી પરિબળો છે. ડાયાબિટીસના દર્દીઓએ કયાં પરિબળોને પ્રાથમિકતા આપવી જોઇએ અને શિયાળાની ઋતુ દરમિયાન તેમની સ્થિતિનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવા માટે તેમાં કેવી રીતે ફેરફાર કરી શકાય, તે અંગે નેચરોપથીમાં વ્યાપક સમજૂતી અને ઉપાયો ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.