ETV Bharat / bharat

કોવિડ-19થી પર્યાવરણ કેવી રીતે પ્રભાવિત થયું છે?

author img

By

Published : Feb 12, 2021, 8:17 PM IST

કોવિડ-19
કોવિડ-19

કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન પર્યાવરણની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા હતી. પણ તેનાથી ઊલટું, સલામતી માટે ઉપયોગમાં લેવાયેલાં ફેસ માસ્ક અને ડિસ્પોઝેબલ ગ્લવ્ઝના બેફામ વપરાશ અને નિકાલને કારણે સંક્રમણ થવાનું જોખમ વધી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિવારણ બોર્ડના વિજ્ઞાની મહેન્દ્ર પાંડેએ નદીઓના પ્રદૂષણ અને મેડિકલ વેસ્ટના વ્યવસ્થાપન ક્ષેત્રે કેટલીક જરૂરી માહિતી પૂરી પાડી છે.

હૈદરાબાદ: શું તમને એ દિવસો યાદ છે, જ્યારે લગભગ વિશ્વ આખું કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં કેદ થઇ ગયું હતું અને ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધતી અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું? માર્ગો સૂમસામ થઇ ગયા હતા અને એમ્બ્યુલન્સ કે પોલીસ વાન સિવાય કોઇપણ વાહનો માર્ગો પર દોડતાં ન હતાં. તે સમયે આપણે જોયું કે, પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર પ્રમાણમાં નીચું આવી ગયું હતું અને ભારતનાં ઉત્તર ભાગનાં કેટલાંક શહેરોમાં તો લોકોને ઘણે દૂરથી પર્વતોનાં દર્શન પણ થયાં હતાં. આ સાચે જ અસાધારણ ઘટના હતી, કારણ કે દાયકાઓથી આવું થયું નહોતું. તે સમયગાળામાં પર્યાવરણને નવજીવન મળી રહ્યું હતું, તે જોયા છતાં વાસ્તવમાં લોકડાઉનના ગાળાએ પર્યાવરણને તદ્દન અલગ રીતે પ્રભાવિત કર્યું હતું જે વિશે આપણાં પૈકીના ઘણા લોકોએ વિચાર્યું સુદ્ધાં નહોતું.

દરેક વ્યક્તિ ઘરમાં કેદ થઇ ગઇ હોવાથી તમામ ઘરોમાં પાણીનો વપરાશ વધી જાય, તે સ્વાભાવિક છે. આ રીતે ગંદું અને અસ્વચ્છ પાણી વધુ પ્રમાણમાં પેદા થયું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આપણા દેશની નદીઓમાં થતા કુલ પ્રદૂષણમાં ઘરોના પ્રદૂષિત પાણીનો ફાળો 70 ટકા કરતાં પણ વધારે છે. તેમાંયે વધુ ચિંતા જન્માવનારી બાબત એ છે કે, આ પ્રદૂષિત પાણીમાં અનેક પ્રકારનાં રસાયણો પણ રહેલાં હોય છે. જ્યારે મહામારીએ માથું ઊંચક્યું, તે સમયે લોકોને સાબુ અને પાણી વડે તેમના હાથ ધોવાની સલાહ આપવામાં આવતી હતી અને લોકો ચુસ્તપણે તે પ્રણાલીનું પાલન કરતા હતા. પરંતુ, તેના કારણે હવામાં ઘણાં કેમિકલ્સ મળી આવ્યાં, જે પાણીમાં પણ ભળ્યાં. આ પૈકીનાં કેટલાંક કેમિકલ્સ હાનિકારક પણ હતાં.

એક સમયે માત્ર હોસ્પિટલો અને ક્લિનિકમાં જ ઉપયોગમાં લેવાતાં ફેસ માસ્ક, પ્લાસ્ટિક કે રબ્બરનાં હેન્ડ ગ્લવ્ઝ જેવી ચીજો કોરોના કાળ દરમિયાન દરેક ઘરની અનિવાર્ય જરૂરિયાત બની ગયાં. લોકોએ સ્વયંના રક્ષણ માટે આ ચીજો પહેરવી જરૂરી હતી અને આ ચીજોનો હેતુ સરી ગયો, તે સાથે જ લોકો લાપરવાહીથી કચરા પેટીમાં તેને ફેંકવા માંડ્યા. આજે પણ ફેંકી દીધેલાં માસ્ક અને ગ્લવ્ઝ માર્ગો પર ખુલ્લામાં અહીં-તહીં રઝળતાં જોવા મળે છે. જ્યારે લોકો વપરાશમાં લીધેલી આવી સુરક્ષાત્મક ચીજવસ્તુઓ ખુલ્લામાં ફેંકી દે છે, ત્યારે કચરો ઊઠાવનારા સફાઇકર્મીઓ તે ચીજોનો ઉપયોગ કરે, તે શક્ય છે. આ ચીજોને ફેંકી દેતાં પહેલાં તેમને યોગ્ય રીતે ધોવામાં કે જંતુમુક્ત ન કરવામાં આવી હોવાના કારણે કચરો ઊઠાવનારા કર્મચારીઓ કે સફાઇકર્મીઓના કોરોનાના સંપર્કમાં આવવાની શક્યતા ઘણી વધી જાય છે. એટલું જ નહીં, તેઓ કોરોના ઉપરાંત અન્ય ચેપી રોગના સકંજામાં પણ સપડાઇ શકે છે.

માસ્ક અને ગ્લવ્ઝનો ઉપયોગ કરવાની આદત કેળવવાનો ઘણો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો, પણ તે ચીજોનો ઉપયોગ કર્યા બાદ તે નકામી બની જાય, ત્યાર પછી તેનો નિકાલ શી રીતે કરવો, તે વિશે જનતાને કોઇ માહિતી આપવામાં આવી ન હતી. જો આ સુરક્ષાત્મક ચીજોને ફેંકી દેતાં પહેલાં તેમને સાબુ વડે ધોવામાં આવે કે કેમિકલ સ્પ્રેનો ઉપયોગ કરીને તેમને જંતુમુક્ત કરવામાં આવે, તો તે ચીજવસ્તુઓ સલામત થઇ શકે છે.

આ સમયગાળા દરમિયાન લોકોએ પેથોલોજિકલ ટેસ્ટ કરાવવા માટે ઘરની બહાર નિકળીને લેબોરેટરીઝ સુધી ન જવું પડે, તે માટે લોકોના ઘરેથી જ લોહી તથા અન્ય સેમ્પલો એકત્રિત કરવાની વ્યવસ્થા પ્રચલિત થઇ હતી. જોકે, ઘરના સામાન્ય કચરાની સાથે-સાથે રૂ, પાટા, સિરીન્જ વગેરે જેવો મેડિકલ વેસ્ટ પણ તેનો ભાગ બની ગયા હતા. બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો, તે અંગે કેટલીક ચોક્કસ માર્ગદર્શિકા પ્રવર્તે છે, પરંતુ આ કચરાને સામાન્ય કચરાથી જુદો પાડવામાં ન આવતો હોવાથી તેનું વ્યવસ્થાપન ઘરના કચરાની માફક જ કરવામાં આવતું હતું, જે કેટલાક કિસ્સામાં અત્યંત જોખમી પણ પુરવાર થઇ શકે છે.

કોવિડ-19ને કારણે આપણી જીવનશૈલીમાં ચોક્કસ પરિવર્તન આવ્યું છે, પણ તેની સાથે-સાથે તેનાથી પર્યાવરણ તદ્દન જુદી રીતે પ્રભાવિત થયું છે, જેના વિશે આપણે કદીયે વિચાર્યું ન હતું. આથી, એક જવાબદાર નાગરિક તરીકે, કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો તે આપણી ફરજ છે. વપરાશમાં લેવાયેલી સુરક્ષાત્મક ચીજવસ્તુઓને જંતુમુક્ત કરીને એ રીતે તેનો નિકાલ કરવો જોઇએ કે, જેથી અન્ય કોઇ વ્યક્તિ તેનો ઉપયોગ ન કરી શકે, જેથી તેના સંપર્કમાં આવનારી વ્યક્તિ સંક્રમિત થવાની શક્યતા ઘટી જાય. આપણે સાથે મળીને પ્રસાર અટકાવી શકીએ છીએ અને આપણા પર્યાવરણનું પણ રક્ષણ કરી શકીએ છીએ.

માહિતીઃ શ્રી મહેન્દ્ર પાંડે

(મહેન્દ્ર પાંડે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વિજ્ઞાની છે અને તેમણે નદીઓના પ્રદૂષણ અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સઘન કામગીરી કરી છે.)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.