ETV Bharat / bharat

India and Qatar Agreement : કતારમાં સજા કાપી રહેલા ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારીઓ પરત આવી શકશે, જાણો સમગ્ર મામલો...

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 12:55 PM IST

Updated : Dec 29, 2023, 1:04 PM IST

India and Qatar Agreement
India and Qatar Agreement

ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારી કતાર જેલમાં સજા કાપી રહ્યા છે. જોકે ભારત અને કતાર વચ્ચે થયેલા 2014 ના કરાર આધારે તેમને પાછા લાવવામાં આવશે. પરંતુ અધિકારીઓને બાકી બચેલી સજા ભારતની જેલમાં ભોગવવી પડશે. જાણો સમગ્ર મામલો અને શું છે 2014 ભારત અને કતાર કરાર...

નવી દિલ્હી : ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારી કતાર જેલમાં સજા કાપી રહ્યા છે. જોકે, હવે તેઓ નવી દિલ્હી અને દોહા વચ્ચે થયેલા અગાઉના કરારના આધારે ભારતીય જેલમાં તેમની સજા ભોગવી શકે છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આદિશ અગ્રવાલાએ ગુરુવારના રોજ આ અંગે માહિતી આપી અને અટકાયત કરાયેલા અધિકારીઓને સતત સહયોગ આપવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.

આદિશ અગ્રવાલાએ એક વિડીયો નિવેદનમાં જણાવ્યું હતું કે, કતારની કોર્ટે ગુરુવારના રોજ દહરા ગ્લોબલ કેસમાં ગયા વર્ષે ધરપકડ કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકા અધિકારીઓની મૃત્યુદંડની સજાને જેલની સજામાં ફેરવી દીધી હતી. અમે અમારા આઠ ભૂતપૂર્વ નૌકાદળના અધિકારીઓને તમામ સહાય પૂરી પાડવા બદલ મોદી સરકારનો આભાર માનીએ છીએ. નૌકાદળના અધિકારીઓને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી અને અગાઉ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. હવે તેમની સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેઓને હજુ પણ કોર્ટ ઓફ સેસેશનમાં અપીલ કરવાનો અધિકાર છે, જે કતારની સર્વોચ્ચ અદાલત છે.

આદિશ અગ્રવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને કતાર વચ્ચે 2014 નો કરાર બાકીની બંને દેશને સજા ભોગવવા માટે એકબીજાની જેલમાં બંધ કેદીઓને પરત લાવવાની મંજૂરી આપે છે. જો તેમને કોઈ રાહત ન મળે તો પણ ભારત અને કતાર વચ્ચે થયેલા કરાર મુજબ આ નેવી અધિકારીઓને ભારત પરત લાવી શકાય છે. 2014 ના આ કરાર અનુસાર વિદેશી અદાલત દ્વારા જાહેર કરાયેલી આ સજામાંથી પસાર થવા માટે કેદીઓને એક દેશમાંથી બીજા દેશમાં પાછા લાવી શકાય છે. ભારત સરકાર ભૂતપૂર્વ નૌકાદળના અધિકારીઓને પરત લાવી શકે છે અને તેઓને ભારતીય જેલમાં સજા ભોગવવી પડશે. મને ખાતરી છે કે સરકાર તેમને વધુ સહાય પૂરી પાડશે.

પૂર્વ નેવી ડેપ્યુટી ચીફ વાઇસ-એડમિરલ એમએસ પવારે આ બાબતને મોટી રાહતની બાબત ગણાવી અને કતારમાં ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયના અવિરત પ્રયાસોનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, આ મોટી રાહતની વાત છે કે નૌકાદળના આઠ નિવૃત્ત સૈનિકોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને કતારની કોર્ટ ઓફ અપીલ્સ દ્વારા રદ કરવામાં આવી છે, જે નિવૃત્ત સૈનિકોના પરિવારના અવિરત પ્રયાસો અને કતારમાં દૂતાવાસ, ભારતમાં વિદેશ મંત્રાલય અને દેશના સર્વોચ્ચ રાજકીય સ્તરે તેમને પૂરા પાડવામાં આવેલ નક્કર સમર્થનને આભારી છે.

એમએસ પવારે પરોપકારી અભિગમ બદલ કતારની કાયદાકીય પ્રણાલી અને અધિકારીઓનો પણ આભાર માનતા ઉમેર્યું હતું કે, ભારતને હવે નૌકાદળના અધિકારીઓને પાછા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. નિર્દોષોને પાછા લાવવામાં આવે તે પહેલાં અમારે હજી ઘણી મહેનત કરવાની છે. મને તેમની નિર્દોષતા પર શંકા નથી અને તેઓ કદાચ સંજોગોના શિકાર છે. મને વિશ્વાસ છે કે, તેઓ ક્યારેય એવા કોઈ અવ્યાવહારીક વર્તણૂકમાં સામેલ થશે નહીં, જે નૌકાદળ અને રાષ્ટ્રની બદનામીનું કારણ બને.

SCBA પ્રમુખ આદિશ સી અગ્રવાલાએ ખાતરી આપી હતી કે જો કતાર જેલમાં રહેલા નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને કોર્ટ ઓફ કેસેશનમાં રાહત નહીં મળે, તો તેમને ભારત અને કતાર વચ્ચે થયેલા 2014 ના આધારે પાછા લાવવામાં આવશે. ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ વાઇસ-એડમિરલ અનિલ ચાવલાએ પણ આ સમાચારને રાહતની બાબત ગણાવી અને કતારના અમીર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ સમાચાર સમગ્ર દેશ તેમજ નૌકાદળના જવાનો માટે એક મોટી રાહત તરીકે આવ્યા છે. અમે કતારના અમીરને મૃત્યુદંડની સજામાં ફેરફાર કરવા બદલ અને ભારત સરકારના અંગત હસ્તક્ષેપ માટે આભારી છીએ. અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવામાં આવે અને ભારત પરત મોકલવામાં આવે.

MEA એ પણ કહ્યું હતું કે આ કેસમાં વિગતવાર ચુકાદાની રાહ જોવાઈ રહી છે અને તે કતારની લીગલ ટીમના સંપર્કમાં છે. અમે દહરા ગ્લોબલ કેસમાં કતારની અપીલ કોર્ટના ચુકાદાની નોંધ લીધી છે. જેમાં સજા ઘટાડવામાં આવી છે. વિગતવાર ચુકાદાની રાહ જોવાઈ રહી છે. અમે આગળની કાર્યવાહી પર નિર્ણય લેવા માટે લીગલ ટીમ તેમજ પરિવારના સભ્યો સાથે સંપર્કમાં છીએ. કતારમાં અમારા રાજદૂત અને અધિકારીઓ નેવી ઓફિસરના પરિવારના સભ્યો સાથે આજે કોર્ટ ઓફ અપીલમાં હાજર હતા. અમે મામલાની શરૂઆતથી જ તેમની સાથે ઊભા છીએ અને અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે કતારના સત્તાવાળાઓ સાથે પણ આ મામલે સંપર્ક રાખીશું.

ભૂતપૂર્વ રાજદ્વારી ભાસ્વતી મુખર્જીએ કહ્યું કે હજી પણ આશા છે કે કતારના અમીર માર્ચમાં રમઝાનના પવિત્ર મહિનામાં ભારતીય અધિકારીઓ માટે માફીનો ઉપયોગ કરશે. મારું હૃદય તે પરિવારો માટે પ્રાર્થના કરે છે જેઓ માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યા હશે. ભારતીય નેવીના અધિકારીઓ પરત ફરે તે ભારતીય ડિપ્લોમસી અને આપણા વડાપ્રધાન માટે એક વિજયની વાત છે.

ભારતીય નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારી સબમરીન પ્રોગ્રામની કથિત રીતે જાસૂસી કરવાના આરોપ હેઠળ ઓક્ટોબર 2022 થી કતારમાં કેદ છે. નિવૃત્ત નૌકાદળના કર્મચારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી, જે હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં COP28 સમિટ દરમિયાન કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત દ્વિપક્ષીય ભાગીદારી અને કતારમાં રહેતા ભારતીય લોકોની સુખાકારી અંગે ચર્ચા કરી હતી. (ANI)

  1. Human trafficking: ફ્રાંસમાં 4 દિવસ સુધી ફસાયેલું વિમાન આખરે મુંબઈ પહોંચ્યું, જાણો શું હતો સમગ્ર મામલો
  2. વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત-યુકે FTAની ટીકા કરનારાઓ પર નિશાન સાધ્યું
Last Updated :Dec 29, 2023, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.