નવી દિલ્હી : G20 કોન્ફરન્સમાં ભાગ લેવા ભારત આવેલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ભારતની ધરતી પરથી વિશ્વને સનાતનનો સંદેશ આપ્યો છે. તેમણે જે રીતે રવિવારે સવારે મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. મંદિર પ્રબંધન અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ રવિવારે સવારે અક્ષરધામ મંદિરમાં 45 મિનિટ વિતાવી, પ્રાર્થના કરી અને તેના સ્થાપત્ય અને ઇતિહાસ વિશે જાણકારી મેળવી.
મંદિર સંકુલમાં ઉઘાડા પગે ચાલ્યા : બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા સ્વામિનારાયણને સમર્પિત અક્ષરધામ મંદિરમાં વહેલી સવારે પહોંચ્યા અને સ્વાગત વિસ્તારથી મુખ્ય મંદિર સંકુલ સુધી લગભગ 150 મીટર ઉઘાડા પગે ચાલ્યા હતા. સુનક અને તેની પત્નીએ અક્ષરધામ મંદિરમાં લગભગ 45 મિનિટ વિતાવી અને પ્રાર્થના કરી. વરસાદ હોવા છતાં તેઓ મંદિરે દર્શન કરવા આવ્યા હતા.
મંદિરમાં પુજા અર્ચના કરી : મંદિરના પ્રબંધનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સુનકે પહેલા સ્વામિનારાયણ જીની સુવર્ણ મૂર્તિ પર ફૂલની પાંખડીઓ ચઢાવી અને પછી આરતી કરી હતી. તેમણે મંદિર પરિસરમાં સીતા-રામ, રાધા-કૃષ્ણ, લક્ષ્મી નારાયણ અને શિવ-પાર્વતીની મૂર્તિઓ પર ફૂલની પાંખડીઓ પણ અર્પણ કરી હતી. UK PM એ મંદિરના સ્થાપત્ય અને તેના ઇતિહાસ વિશે પૂછપરછ કરી હતી. તેમણે સ્વામિનારાયણ જીની કેટલીક પવિત્ર વસ્તુઓ પણ જોઈ હતી.
'હિંદુ હોવા પર ગર્વ અનુભવ્યો' : બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે, તેમને હિન્દુ હોવા પર ગર્વ છે. 'મને મારા ભારતીય મૂળ અને ભારત સાથેના મારા સંબંધો પર ગર્વ છે. જેમ તમે જાણો છો, મારી પત્ની ભારતીય છે અને એક ગૌરવપૂર્ણ હિંદુ હોવાનો અર્થ એ છે કે મારું ભારત અને ભારતના લોકો સાથે હંમેશા જોડાણ રહેશે. બ્રિટિશ વડા પ્રધાન સુનકનું આ સ્વરૂપ સમાચારમાં છે, કારણ કે તાજેતરમાં ભારતમાં સનાતનને લઈને કેટલાક નિવેદનો બહાર આવ્યા છે. ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 'સનાતન (ધર્મ)ને મેલેરિયા, ડેન્ગ્યુ અને મચ્છરની જેમ નાબૂદ કરવો જોઈએ.'