વિશ્વ અલ્ઝાઇમર્સ દિવસ: ચાલો, ચિત્તભ્રમ વિશે વાત કરીએ

author img

By

Published : Sep 21, 2020, 6:14 PM IST

World Alzheimer's

વર્ષ 2012થી દર વર્ષે 21મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ અલ્ઝાઈમર્સ દિવસ (વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે) મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અલ્ઝાઇમર્સ એટલે કે ભૂલવાની બીમારી તેમજ ચિત્તભ્રમ વિશે જાગૃતિ ઊભી કરવાનો છે. ચિત્ત ભ્રમ વિશે જાગૃતિ વધારવા અને તે માટે અપાતા લાંછનને પડકારવા આંતરરાષ્ટ્રિય અભિયાન હાથ ધરવા માટે સપ્ટેમ્બર, 2020 વર્લ્ડ અલ્ઝાઇમર્સ મન્થ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વભરનાં અલ્ઝાઇમર્સ સંગઠનો જેના હેઠળ છે, તેવી સંસ્થા અલ્ઝાઇમર્સ ડિસીઝ ઈન્ટરનેશનલ (એડીઆઈ) વર્લ્ડ અલ્ઝાઇમર્સ મન્થનું સંકલન કરી રહી છે.

ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2012થી દર વર્ષે 21મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ અલ્ઝાઈમર્સ દિવસ (વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે) મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અલ્ઝાઇમર્સ એટલે કે ભૂલવાની બીમારી તેમજ ચિત્ત ભ્રમ વિશે જાગૃતિ ઊભી કરવાનો છે. ચિત્તભ્રમ વિશે જાગૃતિ વધારવા અને તે માટે અપાતા લાંછનને પડકારવા આંતરરાષ્ટ્રીય અભિયાન હાથ ધરવા માટે સપ્ટેમ્બર, 2020 વર્લ્ડ અલ્ઝાઇમર્સ મન્થ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વભરનાં અલ્ઝાઇમર્સ સંગઠનો જેના હેઠળ છે, તેવી સંસ્થા અલ્ઝાઇમર્સ ડિસીઝ ઈન્ટરનેશનલ (એડીઆઈ) વર્લ્ડ અલ્ઝાઇમર્સ મન્થનું સંકલન કરી રહી છે.

વર્ષ 2020ની વિષય-વસ્તુ લેટ્સ ટૉક અબાઉટ ડેમેન્શિયા (ચાલો, ચિત્તભ્રમ વિશે વાત કરીએ) છે.

અલ્ઝાઇમર્સ શું છે ?

ચિત્તભ્રમનું સૌથી સામાન્ય સ્વરૂપ અલ્ઝાઇમર્સ ડિસીઝ એટલે કે ભૂલવાની બીમારી છે. આ સતત વધતી રહેતી મગજની બીમારીને કારણે યાદદાસ્ત ચાલી જવી અને વિચારવાની કુશળતા ગુમાવી દેવા જેવાં પરિણામો મળે છે. તેમાં મગજના કોષો નાશ પામતાં સ્મરણ શક્તિ ગુમાવવી, યાદદાસ્તમાં ફેરફારો, અસ્થિર વર્તન અને શરીરનાં કાર્યોને હાનિ પહોંચવા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. અલ્ઝાઇમર્સની બીમારી મહદ્ અંશે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. ભારતમાં વૃદ્ધ વ્યક્તિઓની સંખ્યા વધી રહી હોવાથી આ બાબત ચેતવણીજનક છે.

ચિત્ત ભ્રમ અને અલ્ઝાઇમર વચ્ચે શો ફરક છે ?

સ્મરણ શક્તિમાં ઘટાડો, તર્ક શક્તિ અથવા વિચાર શક્તિમાં ઘટાડો જેવાં લક્ષણો માટે સામાન્ય રીતે વપરાતો શબ્દ ચિત્ત ભ્રમ છે.

અલ્ઝાઇમર્સ, એ મગજની એક ચોક્કસ બીમારી છે, જે ચિત્તભ્રમના 60-80 ટકા કિસ્સાઓમાં લાગુ પડે છે.

''અલ્ઝાઇમર્સ''ના નામનો ઈતિહાસ -

વર્ષ 1906માં જર્મનીના ફિઝિશિયન ડૉ.એલોઇસ અલ્ઝાઇમરે સૌપ્રથમવાર સ્મરણશક્તિમાં મોટા પ્રમાણમાં ઘટાડો અને મગજમાં અતિ સૂક્ષ્મ ફેરફારો ધરાવતી આ વિલક્ષણ બીમારી વિશે જણાવ્યું હતું. બીમારીના શોધકર્તા ડૉ.અલ્ઝાઇમરના નામ ઉપરથી હવે આ બીમારીને આપણે અલ્ઝાઈમર્સ તરીકે ઓળખીએ છીએ.

ધ્યેય -

વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડેનો મુખ્ય હેતુ શક્ય એટલા વધુ દેશો સુધી પહોંચીને ચિત્ત ભ્રમની વૈશ્વિક અસર દર્શાવવાનો તેમજ ચિત્ત ભ્રમ વિશે જાગૃતિ વધારવાનો અને આ બીમારી ધરાવતા લોકોને આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ તે વિશે સજાગતા વધારવાનો છે.

ચિત્તભ્રમ માટે વૈશ્વિક સ્તરની કાર્યયોજના

મે, 2017માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ વર્ષ 2017થી 2025 દરમ્યાન જાહેર સ્વાસ્થ્યના પ્રતિસાદ ઉપર વૈશ્વિક કાર્યયોજના અમલમાં મૂકી. વૈશ્વિક કાર્યયોજના માટે ડબલ્યુએચઓના તમામ 194 સભ્ય દેશો સાત ક્ષેત્રે પગલાં લેવા માટે વચનબદ્ધ થયા.

  • જાહેર સ્વાસ્થ્યમાં ચિત્ત ભ્રમને પ્રાથમિકતા આપવી.
  • ચિત્ત ભ્રમ વિશે જાગૃતિ ફેલાવવી
  • ચિત્ત ભ્રમની બીમારી માટેનાં જોખમ ઘટાડવા
  • નિદાનની સવલતો સુગમ કરવી
  • સારવાર અને સંભાળ લેવી
  • દેખભાળ કરનારાઓને મદદરૂપ થવું
  • માહિતી એકત્ર કરવી અને સંશોધન કરવાં

તેમાં પ્રત્યેક વિસ્તાર માટે લક્ષ્યાંકો નક્કી કરાયાં છે, જેને દરેક દેશની સરકારોએ વર્ષ 2025 સુધીમાં હાંસલ કરવાનાં છે.

જો કે, એડીઆઈના અહેવાલમાં જણાવ્યા મુજબ, પડકાર ઘણો મોટો છે અને પ્રતિસાદ અત્યંત ધીમો છે.

અલ્ઝાઇમર્સની બીમારી વિશે હકીકતો

  • અલ્ઝાઇમર્સની બીમારી વિશેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મગજમાં ચોક્કસ જટિલ રચનાઓ થતાં આ બીમારી જોવા મળે છે.
  • વિશ્વના દર ત્રણમાંથી બે વ્યક્તિઓ માને છે કે તેમના દેશમાં ચિત્ત ભ્રમ વિશે લોકોમાં ભાગ્યે જ અથવા તો કોઈ જ સમજણ નથી.
  • અલ્ઝાઇમર્સની બીમારીનો કોઈ ઈલાજ નથી. આ બીમારી જેટલી વહેલી ધ્યાન ઉપર આવે એટલો બીમારીની સારવારમાં વધુ લાભ થાય છે.
  • સારવારની પદ્ધતિઓમાં દવાઓ, મનોચિકિત્સક અને સંભાળ આપવાનાં પાસાંઓનો સમાવેશ થાય છે.
  • પરિવાર અને સામાજિક સહાય મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

લક્ષણો -

  • સ્વભાવમાં ફેરફારો, તાજી માહિતી ભૂલી જવું અને વસ્તુઓ આડીઅવળી મૂકી દેવી.
  • સમસ્યાઓ ઉકેલવામાં મુશ્કેલી પડવી અને ઘર કે કામકાજના સ્થળે પરિચિત કાર્યો પૂરાં કરવામાં તકલીફ પડવી.
  • સમય અને સ્થળ વિશે દ્વિધા અનુભવવી તેમજ તારીખ અને સમયનો મેળ ગુમાવે છે.
  • વાંચવામાં, અંતર વિશેનો અંદાજ લગાવવામાં તેમજ રંગ ઓળખવામાં તકલીફ પડે છે.
  • સામાજિક અને આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓ કરવાનું ટાળે છે.

નિવારણ માટેની ટિપ્સ -

શારીરિક, માનસિક, સામાજિક અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું, જેવી કે:

  • આનંદ પમાડે તેવું વાચન, લેખન અને વાદ્ય વગાડવાં.
  • પ્રૌઢ શિક્ષણના વર્ગોમાં ભાગ લેવો
  • ક્રોસવર્ડસ, પઝલ્સ, સ્ક્રેબલ અને ચેસ જેવી ઘરમાં રમી શકાય તેવી રમતો રમવી
  • સ્વિમિંગ, સમૂહમાં રમાતી રમતો જેવી કે દડાફેંક, ચાલવું, યોગ તેમજ ધ્યાન જેવી પ્રવૃત્તિઓ કરવી

આંકડાકીય માહિતી

  • વિશ્વમાં 5 કરોડથી વધુ લોકોને ચિત્ત ભ્રમ સાથે જીવે છે.
  • વિશ્વમાં દર ત્રણ સેકન્ડે કોઈને કોઈ વ્યક્તિ ચિત્ત ભ્રમનો શિકાર બને છે.
  • વર્ષ 2050 સુધીમાં ચિત્ત ભ્રમ સાથે જીવતા વ્યક્તિઓની સંખ્યા ત્રણ ગણી થઈને 15.2 કરોડ થવાનો અંદાજ છે. તેમાંથી 68 ટકા લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના હશે.
  • ચિત્ત ભ્રમને કારણે દેશ ઉપર દર વર્ષે એક ટ્રિલિયન અમેરિકન ડોલરનો આર્થિક બોજ પડે છે, જે રકમ વર્ષ 2050 સુધીમાં બમણી થશે.
  • સામાન્ય લોકોમાંથી લગભગ 80 ટકા લોકોને જીવનમાં ક્યારેકને ક્યારેક ચિત્ત ભ્રમ થવા અંગે ચિંતા થતી હોય છે અને ચારમાંથી એક વ્યક્તિ માને છે કે ચિત્ત ભ્રમ થતો અટકાવવા આપણે કશું કરી શકીએ તેમ નથી.
  • વિશ્વભરમાં દેખભાળ લેનારા 35 ટકા લોકો જણાવે છે કે તેમણે ચિત્ત ભ્રમના નિદાનની માહિતી પરિવારના સભ્યોથી છુપાવી છે.
  • વિશ્વના 50 ટકાથી વધુ સંભાળ લેનારા કહે છે કે તેમની સંભાળની જવાબદારીઓના પરિણામે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું છે, છતાં તેમની ભૂમિકા વિશે તેઓ સકારાત્મક ભાવનાઓ વ્યક્ત કરે છે.
  • વિશ્વભરના સ્વાસ્થ્ય સંભાળ રાખનારામાંથી લગભગ 62 ટકા માને છે કે ચિત્ત ભ્રમ એ વધતી જતી ઉંમરના ભાગરૂપે સામાન્ય છે.

કોવિડ-19 અને ચિત્તભ્રમ

  • કોવિડ-19 મહામારી ફાટી નીકળવાને પગલે વૈશ્વિક સ્તરે ચિત્ત ભ્રમ જેવી લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિ સાથે જીવતા લોકોને રાબેતા મુજબની સેવાઓ પૂરી પાડવા અને મદદ કરવા સ્વાસ્થ્ય માળખાની સજ્જતાની ઉણપ છતી થઈ છે.
  • લોકડાઉન અને પ્રતિબંધોના સમયે વૃદ્ધ લોકો અને ખાસ કરીને ચિત્ત ભ્રમ સાથે જીવતા વ્યક્તિઓ સામાજિક રીતે અળગા ન થઈ જાય તે જોવું અનિવાર્ય છે.
  • લોકો ચિત્ત ભ્રમ વિશે વાતચીત કરતા રહે અને માહિતી, સલાહ અને સહાય મેળવતા રહે તે હિતાવહ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.