1999 કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવવા સાથે જ ભારતીય વાયુ સેનામાં 3 દાયકા કરતાં વધારે સમય સુધી સેવા આપનારા લડાકુ વિમાન મિગ-27 શુક્રવારે છેલ્લી વખત ઉડશે.
અધિકારીઓએ જણાવ્યું કે, સ્વિંગ..વિંગ લડાકુ વિમાન વાયુ સેનામાં ઘણા દાયકા સુધી 'ગ્રાઉન્ડ એટેક' કાફલામાં મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યાં છે. ભારતીય વાયુ સેના 7 વિમાનોના પોતાના સ્ક્વાડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપશે.
ભારતીય વાયુસેનાએ મિગ-27ની શુક્રવારે છેલ્લી ઉડાન અંગે ટ્વીટ કર્યુંઃ
વાયુસેનાએ ટ્વીટ કર્યું કે, 'ભારતીય વાયુસેના કાલે શક્તિશાળી મિગ-27નો વિદાય આપશે. 27 ડિસેમ્બર 2019ના રોજ એરફોર્સ સ્ટેશન, જોધપુરમાં થનારા એક ભવ્ય સમારોહમાં વિમાનને સેવામાંથી દૂર કરવામાં આવશે.'
ભારતીય વાયુ સેનાના કાફલામાં 1985માં સામેલ કરવામાં આવેલા આ અત્યંત સક્ષમ લડાકુ વિમાન જમીની હુમલાની ક્ષમતાનો આધાર રહ્યું છે. વાયુ સેનાના તમામ મુખ્ય ઑપરેશનમાં ભાગ લેવા સાથે મિગ-27એ 1999ના કારગિલ યુદ્ધમાં પણ એક અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી હતી.
રક્ષા મંત્રાયલે ગુરૂવારે કહ્યું કે, 'સ્વિંગ..વિંગ ફ્લીટની' ઉન્નત આવૃત્તિ 2006થી વાયુ સેનાના સ્ટ્રાઈક ફ્લીટનું ગૌરવ રહ્યું છે. અન્ય તમામ આવૃત્તિ જેમ મિગ-23, બીએન અને મિગ-20, એમએફ અને વિશુદ્ધ મિગ-27 વાયુ સેનામાંથી પહેલાં જ રિટાયર થઇ ગયાં છે.
મંત્રાલયે કહ્યું કે, 'આ કાફલાએ ઐતિહાસિક કારગિલ યુદ્ધ દરમિયાન ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, તેણે દુશ્મનના ઠેકાણાઓ પર રોકેટ અને બોમ્બને સચોટ રીતે વરસાવ્યા હતા. આ કાફલાએ ઑપરેશન પરાક્રમમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી.'
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, નંબર 289 સ્ક્વાડ્રન વાયુસેનામાં મિગ-27 અપગ્રેડ વિમાનોને સંચાલિત કરનારો એક માત્ર એકમ છે. ઉન્નત આવૃત્તિએ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં ભાગ લીધો છે.
મંત્રાલયે કહ્યું કે, સ્ક્વાડ્રનની સ્થાપના 10 માર્ચ 1958ના રોજ વાયુ સેના સ્ટેશન હલવારામાં ઓરાગન (તૂફાની) વિમાન દ્વારા કરવામાં આવી. 'વર્ષો સુધી સ્ક્વાડ્રનને ઘણા પ્રકારના વિમાનોથી સજ્જ કરવામાં આવ્યું જેમાં મિગ-21, ટાઈપ-77, મિગ-21, ટાઈપ-96, મિગ-27, એમએલ અને મિગ-27 અપગ્રેડ સામેલ છે.'
મિગ-27 વિમાનોને 27 ડિસેમ્બરે સેવામાંથી નિવૃત કરવા માટે જોધપુર સ્થિત વાયુસેનાના એરબેઝ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.