નવી દિલ્હી: કોરોનાની મહામારીમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના બે મહિના કરતાં પણ વધુ સમય બાદ હવે દેશ ધીમે-ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. આજથી એટલે કે, 1 જૂનથી દેશમાં પાંચમા તબક્કાનું લોકડાઉન શરુ થઈ રહ્યું છે. સરકારે આ લોકડાઉનને 'અનલોક-1' તરીકે ઓળખાવ્યું છે. કારણકે, દેશમાં આજથી મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ શરુ થઈ જશે.
દેશમાં 8 જૂનથી હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળ અને મોલ વગેરે ખૂલી જશે. જોકે, દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સ્કૂલ, કોલેજ અને થિયેટર અત્યારે ખૂલશે નહીં. કોરોના લોકડાઉનના ચાર તબક્કા દરમિયાન દેશમાં જે પ્રકારે પોઝિટિવ કેસ અને મૃત્યુની સંખ્યા વધી છે, એ જોતાં હવે દરેક સુરક્ષિત અને સતર્ક રહેવાની જવાબદારી લોકોની પોતાની રહેશે.
લોકડાઉન ખોલવાની જાહેરાત કરતા ગૃહ મંત્રાલયે ત્રણ ફેઝનું લીસ્ટ જાહેર કર્યું છે. જે મુજબ લોકડાઉન ખોલવામાં આવશે. નવા નિયમ પ્રમાણે કર્ફ્યૂનો સમય પણ બદલાઈ ગયો છે. હવે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળી શકાશે નહીં. લોકડાઉન-4માં કર્ફ્યૂનો સમય સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી હતો.
અનલોક-1ના બીજા તબક્કામાં સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસ સહિતની શિક્ષણ સંસ્થાઓ, ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ ખોલવા માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની ચર્ચાના આધારે નિર્ણય લેવાશે.