નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચે માહિતી આપી છે કે, રાજ્યસભાની 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય અને રાજસ્થાન બેઠકો પર ચૂંટણી યોજાશે.
આ 18 બેઠકોમાંથી ચાર-ચાર બેઠકો આંધ્રપ્રદેશ અને ગુજરાતની છે. આ ઉપરાંત ઝારખંડમાં બે બેઠકો છે જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો છે. મણિપુર અને મેઘાલયમાં પણ એક-એક બેઠક માટે ચૂંટણી યોજાશે.
આ અગાઉ 25 ફેબ્રુઆરીએ, કમિશને 26 માર્ચે 17 રાજ્યોની 55 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી, જો કે કોરોના વાઇરસને કારણે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.
ચૂંટણી પંચે કહ્યું હતું કે, નિર્ધારિત ચૂંટણી સમયપત્રક અંતર્ગત 18 માર્ચના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ પછી દસ રાજ્યોની બેઠકો માટે એક-એક ઉમેદવારના નામાંકન નોંધાયા હતા. તેથી, તે બેઠકો પર ચૂંટણી યોજ્યા વિના, ઉપરોક્ત ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.