નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા હવે રાજકીય મુદ્દો બની રહી છે. વિદ્યાર્થીઓના વિરોધને હવે રાજકીય પાર્ટીઓનો ટેકો મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આ મુદ્દા પર કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાનને પત્ર લખ્યો છે. તેમજ માંગ કરી છે કે, આ ઓનલાઇન પરીક્ષા રદ કરવામાં આવે.
સંજયસિંહે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલને લખેલા પત્રમાં કોરોનાને ધ્યાનમાં લઇને વિવિધ ક્ષેત્રના લોકોને આપેલી રાહતનો ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓની સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે. સંજય સિંહે કહ્યું કે, ઘણા રાજ્યામાં વિદ્યાર્થીઓની પરીક્ષામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓની પાસેથી કોઇપણ પ્રકારની પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ દિલ્હી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સંજયસિંહે જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. દિલ્હી યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ કોરોના મહામારીને કારણે પોત પોતાના રાજ્યોમાં ચાલ્યા ગયા છે. જેમકે, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે. રાજ્યોના પછાત વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની કોઇ સુવિધા નથી. જેના કારણે તેઓ ઓનલાઇન પરીક્ષા આપી શકશે નહીં.
આ ઉપરાંત તેમણે પત્રમાં જણાવ્યું કે, દિલ્હી યુનિવર્સિટી દ્વારા 4 જૂલાઇ, 2020એ ઓનલાઇન પરીક્ષાઓની મોક ટેસ્ટિંગ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને તમામ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ટરનેટ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી શક્યા નહોતા. જેથી વિનંતી છે કે, ઉપરોક્ત તમામ સમસ્યાઓને ધ્યાનમાં લઇને ઓનલાઇન પરીક્ષા રદ કરવામાં આવે.