જામનગર: રણજીત સાગર રોડ પર આવેલ પટેલ પાર્કમાં દિવાળી જેવો માહોલ છે. પટેલ પાર્કમાં તમામ શેરી ગલીઓમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી. મહિલાઓ છેલ્લા બે દિવસથી રંગોળી બનાવી રહી છે. જામનગર વાસીઓ ભગવાન રામલલ્લાને આવકારવા આતુર બન્યા હતા. જામનગરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. શહેરની બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ રામયાત્રા કાઢી હતી.
![સમગ્ર શહેર બન્યું રામમય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-01-2024/20567824_01.jpg)
લોકોમાં ભારે ઉત્સાહ: રામ યાત્રામાં રામ લક્ષ્મણ અને જાનકીના ગેટ અપમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. રમયાત્રાની સાથે કળશ યાત્રાનું પણ કરવામાં આવ્યું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓ જય શ્રી રામના નારા લગાવી રામ યાત્રામાં જોડાયા હતા. રામયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગરમાં સાંસદ પૂનમ માડમના બંગલે શણગાર કરાયો છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. સાંસદના બંગલે રંગબેરંગી ફૂલોથી ગેટ સજાવવામાં આવ્યો અને ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામને આવકારવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા આયોજિત પવનચક્કી ખાતે શ્રી સૂર્યમુખી હનુમાનજી નાં મંદિરે ભવ્ય અન્નકોટ દર્શન અને મહાઆરતી તથા ધ્વજારોહણનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત ભાનુશાળી વાડ, હવાય ચોક ખાતે આવેલ શ્રી રામચંદ્રજીનાં મંદિરે ભવ્ય અન્નકોટ દર્શન અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કિરીટભાઇ ભદ્રા, વિરોધ પક્ષ નેતા ધવલ નંદા તેમજ ટ્રસ્ટી મંડળનાં સભ્યો તેમજ મોટી સંખ્યામાં લોકો એ દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો.