સુરત: ઓલપાડના પરા વિસ્તારમાં રહેતા અને જમીન-દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા અંજર હૈદરઅલી મલેક નામના યુવકની તેના જ મિત્રોએ હત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. આરોપીઓએ આ હત્યા મૃતકના ધંધાકીય ભાગીદાર ઈસ્માઈલ ઘોડાવાળાએ કરાવી હોવાની કબુલાત આપી હતી. ત્યારે આ ચારેય આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ગુરૂવારે અને શુક્રવારે ઘટના સ્થળે લઈને હત્યાની ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસ સમક્ષ આરોપીઓએ ચાર ચપ્પુનો ઉપયોગ હત્યામાં કર્યો હોવાની અને હત્યા બાદ ચપ્પુ તાપી નદીમાં ફેંકી દીધા હોવાની કબુલાત આપી હતી.
હત્યાની ઘટનાને અંજામ: ઓલપાડ પોલીસે હત્યાની ઘટના બાબતે રાકેશ ઉર્ફે બાળા એ આપેલી માહિતી મુજબ ચારેય શખ્સોએ પહેલા હત્યાની ઘટનાને અંજામ આપ્યા પહેલાં ઈસ્માઈલ ઘોડાવાળા સાથે ઓરમાં ખાતેના તેના ઘોડાના તબેલા પર બેઠક કરી હતી. અને આ બેઠક બાદ નક્કી કરેલા પ્લાન મુજબ હત્યાની ઘટનાને અંજામ આપ્યો અને ત્યાર બાદ મોપેડ લઈને ભાગ્યા છૂટ્યાં. જોકે, ઘટના સ્થળે ભુલી ગયેલા મોબાઈલ ફોન અને જેકેટ લેવા માટે આવેલા ત્યાર બાદ ચારેય આરોપી સુરત પહોચ્યા અને રાકેશ ઉર્ફે બાળા અને પંકજ ઉર્ફે પંકયા સુરત કેબલ બ્રિજથી તેના મિત્રની ગાડી લઈને પહેલા ચીખલી અને ત્યાથી બસમાં બેસી નાશિક થઈને ધુલિયા પોતાના સંબંધીના ઘરે પહોચ્યાં હતા અને ત્યાંથી આરોપીઓને પોલીસે દબોચી લીધા હતાં.
મુખ્ય આરોપી હજી પણ ફરાર: હત્યાની ઘટનાના ચારેય આરોપીઓએ પોલીસ રિમાન્ડ દરમિયાન કરેલી કબુલાત મુજબ ઈસ્માઈલ ઘોડાવાળા પહેલાથી તેમના સંપર્કમાં હતો. તેઓએ સાથે મળીને અંજરને મારવાનો પ્લાન બનાવ્યો હતો. ઘટનાની રાતે અંજરને રૂમ પર બોલાવતા તે આવતાની સાથે જ ચારેય આરોપી પોતાની પાસે રાખેલા ચપ્પુથી તેની ઉપર ઉપરા-છાપરી ઘા કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ચકચારી હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ઈસ્માઈલ ઘોડાવાળા હજુ પણ પોલીસ પકડથી દુર છે. સુરત ગ્રામ્ય DYSP આઇ.જે પટેલે આ અંગે જણાવ્યું હતું કે હત્યાના બનાવના ગણતરીના દિવસોમાં જ પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે.સોપારી આપનાર ઇસ્માઇલ શેખ હજુ પકડાયો નથી.હત્યારાઓને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે ગઈ હતી.