ETV Bharat / state

PM Modi Ahmedabad visit: સાબરમતી આશ્રમની 1200 કરોડના ખર્ચે થશે કાયાપલટ, PM મોદી આવતીકાલે કરશે ખાતમુહૂર્ત

author img

By PTI

Published : Mar 11, 2024, 11:17 AM IST

Updated : Mar 11, 2024, 11:34 AM IST

અમદાવાદના આંગણે પીએમ મોદી
અમદાવાદના આંગણે પીએમ મોદી

વડાપ્રધાન મોદી 12 માર્ચ, મંગળવારે અમદાવાદની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ગાંધી આશ્રમ ભૂમિ વંદના કરશે અને સાબરમતી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું અનાવરણ કરશે. ઉપરાંત નવી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. જાણો ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમગ્ર વિગત...

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચ, મંગળવારે અમદાવાદની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ગાંધી આશ્રમ ભૂમિ વંદના કરશે અને સાબરમતી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું અનાવરણ કરશે. 1,200 કરોડના ખર્ચે થનાર ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ પેઢી માટે મહાત્મા ગાંધીના ઉપદેશ અને ફિલસૂફીને પુનઃજીવિત કરવાનો છે.

ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ : અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધીએ 1917માં ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી. આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ગાંધી આશ્રમના પાંચ એકર વિસ્તારને વધારીને 55 એકર કરવામાં આવશે અને 36 હયાત ઇમારતોનું પુનઃસંગ્રહ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 20 જૂની ઇમારતનું સંરક્ષણ, 13 ઇમારતોની ચોક્કસ પુનઃસ્થાપના અને આશ્રમની મૂળ સ્થાપત્યને જાળવવાના ધ્યેયને ધ્યાનમાં રાખીને ત્રણ ઇમારતના પુનઃવિકાસનો સમાવેશ થાય છે. ગાંધી આશ્રમ ભૂમિ વંદના સમારોહમાં પીએમ મોદી સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

ગાંધી આશ્રમ પ્રોજેક્ટનો ઉદ્દેશ : આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારીને મુલાકાતીઓને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. ઉપરાંત મહાત્મા ગાંધીને સમર્પિત વિશ્વ-કક્ષાના સ્મારકની સ્થાપના કરવાનો છે. આ પ્રોજેક્ટ થકી ગાંધીના વિચારોને સાચવવા, સુરક્ષિત કરવા અને પ્રસારિત કરવા માટે પુસ્તકાલય અને આર્કાઇવ્સ બિલ્ડિંગ, આશ્રમની લાઇબ્રેરી અને આર્કાઇવ્સનો ઉપયોગ કરવા મુલાકાત લેનારા વિદ્વાનો માટે સુવિધા ઊભી કરવામાં આવશે.

ત્રણ ઇમારતનો પુનઃવિકાસ : આ પ્રોજેક્ટમાં નવી ઇમારતોની ઘરની વહીવટી સુવિધા, ઓરિએન્ટેશન સેન્ટર, ચરખા સ્પિનિંગ પર ઇન્ટરેક્ટિવ વર્કશોપ, હેન્ડમેઈડ પેપર, કોટન વીવિંગ, લેધર વર્ક અને જાહેર ઉપયોગીતા જેવી મુલાકાતી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઇમારતોમાં ગાંધીજીના જીવનના પાસાઓ તેમજ આશ્રમના વારસાને દર્શાવવા માટે ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને પ્રવૃત્તિઓ રાખવામાં આવશે.

પુનઃવિકસિત કોચરબ આશ્રમ : આ પ્રસંગે વડાપ્રધાન મોદી પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું પણ ઉદ્ઘાટન કરશે. વર્ષ 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ મહાત્મા ગાંધીએ પ્રથમ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી, જેને સ્મારક અને પ્રવાસી સ્થળ તરીકે સાચવવામાં આવ્યો છે.

નવી વંદે ભારત એક્સપ્રેસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ PM મોદી સમગ્ર દેશમાં લગભગ અન્ય 10 વંદે ભારત ટ્રેન સાથે ઓરેન્જ રંગની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને વડોદરા, સુરત, વાપી અને બોરીવલી ખાતે સ્ટોપ લીધા બાદ 11.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 16 કોચ છે અને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે. આ ટ્રેનને ઝડપી અને આરામદાયક મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે.

  1. Ahmedabad News : સાબરમતી રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કેવો થયો તે માટે ગોઠવાઇ નિરીક્ષણ મુલાકાત
  2. HBD Ahmedabad: શહેરમાં આજે પણ હયાત છે આશાવલ ભીલ સમયના 2 મંદિરો
Last Updated :Mar 11, 2024, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.