નવસારી: વર્ષો બાદ અયોધ્યા ખાતે નવનિર્મિત થયેલા પ્રભુ શ્રીરામના મંદિરનો આગામી 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. રામ પ્રત્યેની ભક્તિ અને આસ્થા ધરાવતા નવસારીના કેટલાંક દુકાનદારો દ્વારા અલગ-અલગ પ્રકારની સેવા આપવાની તેમજ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાતો કરવામાં આવી છે. નવસારીના રેલ્વે સ્ટેશન નજીક આવેલા એક વડાપાવના સંચાલક દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે તેટલાં કલાકો સુધી વિનામૂલ્યે વડાપાવ આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ કસ્બા ગામ નજીક આવેલા ગપસપ ફૂડ ઝોન ખાતે આવેલા તમામ સ્ટોલના સંચાલકો દ્વારા પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ચાલે તેટલા કલાક પોતાના કાઉન્ટર પર વેચાતી તમામ ચીજો વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે.
![Navsari traders have taken a unique initiative for Ram devotees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-01-2024/1gj-nvs-01-anokhi-seva-avbb-gj10079mp4_20012024205733_2001f_1705764453_874.jpg)
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પર્વ: નવસારી તેમજ આજુબાજુની જનતાને આ તમામ ચીજો પ્રસાદ રૂપે ગ્રહણ કરવા માટે જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. નવસારીના જુનાથાણા સ્થિત શ્રીરામ ડેરીના સંચાલકો દ્વારા 22 જાન્યુઆરીના રોજ તમામ મીઠાઈઓ અને ડેરી પ્રોડક્ટ ઉપર 10% નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં વધુ વેપારીઓ દ્વારા પણ અલગ-અલગ પ્રકારની સ્કીમોની જાહેરાત કરી અને પ્રભુ શ્રીરામ પ્રત્યેની ભક્તિ અને આસ્થા પ્રગટ કરવાની શરૂઆત થશે તેવું લાગી રહ્યું છે.
વડાપાંઉના એક વિક્રેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષો બાદ પ્રભુ શ્રીરામ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે, જે અમારા માટે ગર્વની વાત છે, તેથી અમે પણ આ ઉત્સવમાં સહભાગી બની શકીએ તે માટે અમારી દુકાનમાં વેચાતા વડાપાઉં પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે પૂજા દરમિયાન અમે વિનામૂલ્યે નવસારીની જનતાને પ્રસાદ સ્વરૂપે આપવા જઈ રહ્યા છે. - લક્ષ્મીકાંત પાંડે,યોગેશ્વર વડાપાંવના વિક્રેતા
દુકાનદારોની પ્રભુ શ્રીરામ પ્રત્યેની આ અનોખી શ્રદ્ધા ખૂબ વખાણવા લાયક છે અને તેમના દ્વારા પ્રભુ શ્રીરામના ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે વિના મૂલ્ય વડાપાંઉની સેવા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે ખૂબ સરાહનીય બાબત છે. -નિશાંતભાઈ,ગ્રાહક