ભાવનગરઃ શિવરાત્રી એટલે કે લોક કલ્યાણની રાત્રી. ભગવાન શિવનો પ્રાગટ્ય દિવસ એટલે શિવરાત્રી. ભગવાન શિવના વિવિધ શિવલિંગ દેશના વિવિધ સ્થળોએ જોવા મળે છે. તેમાં પણ સ્ફટિક શિવલિંગનું ખૂબ જ અનેરૂ મહત્વ છે. સમગ્ર ભારતમાં માત્ર 3 સ્ફટિક શિવલિંગ છે. ભાવનગરના આંગણે 3જા નંબરના શિવલિંગની સ્થાપના તાજેતરમાં થઈ છે. ભાવનગર અને સમગ્ર ગુજરાત તેના માટે ગૌરવ લઈ શકે છે.
શું છે સ્ફટિક શિવલિંગ?: ભાવનગર શહેરના અધેવાડા તળાજા રોડ ઉપર આવેલા સીતારામ બાપુના શિવકુંજ આશ્રમમાં ભગવાન શિવની પૂજા કરવા માટે શિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભકતો આવી પહોંચ્યા હતા. શિવરાત્રીનું મહત્વ વર્ણવતા સીતારામ બાપુએ જણાવ્યું હતું કે, લોક કલ્યાણની રાત્રી એટલે શિવરાત્રી. કલી કાળમાં સગુણ ઉપાસનાનું ખૂબ મહત્વ છે. આદિ શંકર પ્રગટ થયા ત્યારથી શિવરાત્રી ઉજવાય છે. વિષ્ણુ અને બ્રહ્માના ઝઘડા વચ્ચે ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે ભગવાન વિષ્ણુએ આદિ શંકરને પ્રાર્થના કરી અને કહ્યું હતું કે તમે તો દાતા છો, ક્ષમા કરો. ત્યારે ભગવાન શિવે બ્રહ્મને પણ વચન આપ્યું હતું કે તમે યજ્ઞ અને લગ્નમાં પૂજાશો. ત્યારે ભગવાને વિષ્ણુને વચન આપ્યું હતું કે તમે સાકાર અને નિરાકારમાં પૂજાવાના છો. આમ આદિ શંકર ત્યારથી પૂજાતા આવ્યા છે અને શિવરાત્રીનું અનેરું મહત્વ છે.
સ્ફટિક શિવલિંગની પૂજનનું વિશેષ મહત્વઃ ભાવનગર જિલ્લો એટલે સંતોની ભૂમિ કહેવામાં આવે છે. ભાવનગરના અધેવાડા પાસે આવેલા શિવકુંજ આશ્રમના સીતારામ બાપુએ જણાવ્યું હતું કે, ભગવાન વિષ્ણુએ દેવતાઓને બોલાવીને કહ્યું હતું કે, અલગ અલગ શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરવામાં આવે. જેમાં ધાતુના શિવલિંગો, પથ્થરના શિવલિંગો બનાવવામાં આવ્યા હતા. ત્યારે લક્ષ્મીજીએ સ્ફટિકના શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરી હતી. સ્ફટિકના શિવલિંગની પૂજાથી સર્વ કામના પૂર્ણ થાય છે. નીલમ, રેડિયમ જેવા ધાતુઓ છે જે ધાતુની ઊંચાઈ હોય તે પ્રકારનું તેનું ફળ તેટલી ઊંચાઈનું પ્રાપ્ત થાય છે. આમ અલગ અલગ ધાતુના શિવલિંગોના ફળ પણ અલગ અલગ હોય છે.
દેશનું 3જુ સ્ફટિક શિવલિંગ ભાવનગરમાંઃ સમગ્ર દેશમાં માત્ર 3 સ્ફટિક શિવલિંગ મંદિરો છે. જેમાં હવે ભાવનગરનું સ્થાન 3જા નંબરનું થઈ ચૂક્યું છે. અધેવાડા શિવકુંજ આશ્રમ ખાતે દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં સ્ફટિકના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે કથાકાર સીતારામ બાપુએ જણાવ્યું હતું કે, ભાવનગર શિવકુંજ ધામમાં ગુરુની કૃપાથી સ્ફટિક શિવલિંગ પ્રાપ્ત થયું છે. જે 31 ઈંચની ઊંચાઈ અને 18 ઈંચની જાડાઈવાળુ છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ જીવરાજભાઈ મૈયાણીએ જણાવ્યું હતું કે, જમ્મુમાં ચાર ફૂટની ઊંચાઈ વાળું સ્ફટિક શિવલિંગ છે. જ્યારે બીજું કેદારનાથમાં શિવલિંગ છે અને આ ત્રીજું આપણા ભાવનગરમાં સ્ફટિકનો શિવલિંગ આવેલ છે.