ETV Bharat / state

Loksabha Election 2024: પોરબંદર લોકસભા બેઠકના કૉંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા સાથે ETV BHARATની ખાસ વાતચીત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 3:45 PM IST

કૉંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા સાથે ETV BHARATની ખાસ વાતચીત
કૉંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા સાથે ETV BHARATની ખાસ વાતચીત

વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો મેદાને ઉતારી દેવામાં આવ્યા છે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા પર પસંદગી ઉતારી છે. જ્યારે કૉંગ્રેસે લલિત વસોયાને રીપીટ કર્યા છે. લલિત વસોયા સાથે ETV BHARATની ખાસ વાતચીત વાંચો વિગતવાર Loksabha Election 2024 Porbandar

લલિત વસોયા સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

રાજકોટઃ પોરબંદર લોકસભા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સામે કૉંગ્રેસના લલિત વસોયાની ટક્કર થવાની છે. લલિત વસોયા સાથે ETV BHARAT ના સંવાદદાતા દ્વારા રૂબરૂ અને ખાસ વાતચીત કરવામાં આવી હતી.

ETV BHARAT: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સામે કૉંગ્રેસ દ્વારા લલિત વસોયાને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા તે બાબતે શું કહેશો?

લલિત વસોયાઃ કૉંગ્રેસ પાર્ટી દ્વારા ત્રીજી વખત નહીં પરંતુ ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે. જેમાં પાર્ટીના સનિષ્ઠ અને વફાદાર કાર્યકર્તા તરીકે હું આ વિસ્તારની અંદર પ્રસ્થાપિત થયેલો કૉંગ્રેસનો કાર્યકર્તા છું. જેથી પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી અને મને આ સીટ ઉપર લડવા માટેનો આદેશ કર્યો છે. ઘણા બધા માગણીદારો હતા પરંતુ સામેની પાર્ટી એ સક્ષમ અને મજબૂત ઉમેદવાર હોય ત્યારે તેમની સામે પણ તાકાતવર અને મજબૂત ઉમેદવાર પાર્ટી પસંદ કરતી હોય છે તેથી પાર્ટીએ મને પસંદ કર્યો છે. અમારા કાર્યકર્તાઓને સાથે લઈ અમે તાકાતથી ફરીથી ચૂંટણી લડવાના છીએ.

ETV BHARAT: તાજેતરમાં જ કૉંગ્રેસમાં ભંગાણ ઉપર ભંગાણ થઈ રહ્યા છે ત્યારે આ વખતે લલિત વસોયા માટે કેટલી આકરી રહેશે આ વખતની ચૂંટણી ?

લલિત વસોયાઃ પોરબંદર લોકસભા વિસ્તારમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 7 બેઠકોમાંથી 3 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જનાધાર આવ્યો છે. આ ઉપરાંત એક બેઠક કૉંગ્રેસ ફક્ત 1400 મતે હારી છે. તેથી પોરબંદર લોકસભા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી કરતાં કૉંગ્રેસનું પલડું ભારી છે. બીજી વાત કે, અર્જુન મોઢવાડિયા અમારી કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાન હતા. અમારા સૌના સન્માનનીય નેતા હતા. અર્જુનભાઈ પોરબંદરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા એ પહેલા આઝાદીથી લઈને આજ દિન સુધી અર્જુનભાઈ મોઢવાડિયા પહેલી ચૂંટણી લડ્યા ત્યાં સુધી ત્યાં કોંગ્રેસના જ ધારાસભ્ય ચૂંટાયા છે. આ વિસ્તારના મતદારો કૉંગ્રેસ સાથે જોડાયેલા મતદારો છે. અર્જુન મોઢવાડિયાના જવાથી હું માનું છું કે 2019માં 53,500 મતની નુકસાની ગઈ હતી. કયા કારણોથી ગઈ હતી એ ચર્ચા કરવી નથી પણ આ વખતે અમારા પક્ષનો મજબૂત અને સક્ષમ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સામે ધારાસભા લડવાનો છે. ગુજરાતનો ઇતિહાસ જોવા જઈએ તો કૉંગ્રેસના એક સાથે 14 જેટલા ધારાસભ્યોએ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ધારાસભા લડવા માટે આવ્યા હતા. એ 14માંથી 12 જેટલા લોકો આજની તારીખમાં ઘરે બેઠા છે એટલે ગુજરાતની પ્રજા પક્ષ પલટુને જાકારો આપે છે. એના દાખલાઓ મીડિયાના મિત્રોને પણ ખબર છે. આ સ્થિતિ પોરબંદરમાં અને માણાવદરમાં થવાની છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી.

ETV BHARAT: લલિત વસોયા પોરબંદર સાંસદીય મતવિસ્તારની અંદર આ વખતે કયા મુદ્દાઓને લઈને પ્રચાર પ્રસાર કરી અને ચૂંટણી લડશે ?

લલિત વસોયાઃ જનતામાં ચર્ચા છે એ જ મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જવાના છીએ. જેમાં પોરબંદર મતવિસ્તાર કોસ્ટર બેલ્ટનો મોટો વિસ્તાર આવે છે. એમાં માછીમારોના વિકટ પ્રશ્નો છે. જેમકે ડીઝલની સબસીડી, દરિયાની અંદર પાકિસ્તાન નેવી અને શ્રીલંકન નેવી મછીમારોને ઉપાડી જાય અને માછીમારોને 5 કે 6 મહિનામાં છોડે પરંતુ છેલ્લા 10 વર્ષથી લાખો અને કરોડો રૂપિયાની બોટ ત્યાં સડી રહી છે જેમને છોડવા માટેના કેન્દ્ર સરકારે કોઈ પ્રયત્ન નથી કર્યા. ખેતી આધારિત લોકોનો આ વિસ્તાર છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવની મુખ્ય વાત છે કે જેમાં હમણાં તાજેતરની અંદર જ ખેડૂતોની ડુંગળી જે બજારની અંદર આવી તે 700 થી 800 રૂપિયા મળતો ભાવ હતો અને કેન્દ્ર સરકારે એમની ઉપર પ્રતિબંધ મૂક્યો જેથી ખેડૂતોને 150 થી લઈને 200 રૂપિયા ભાવ મળતા હતા. જેને લઈને ખેડૂતોએ રોડ ઉપર ફેંકી દીધી, ખેતરમાં દાટી દીધી અને પશુઓને ખવડાવી દીધીએ વાત મીડિયાએ પણ બતાવી છે. આ ઉપરાંત કપાસના ભાવોની વાત કરીએ તો ગત વર્ષે 2400 રૂપિયા ભાવ હતો પ્રતિ 20 કિલો હતા. ઓસ્ટ્રેલિયાથી આયાતની છૂટ આપી હતી જે માફ કરી દીધી તે બાબતે આજે ખેડૂતોને 1200 થી 1400 રૂપિયા કપાસના ભાવ મળે છે. આ ઉપરાંત ખાતર, જંતુનાશક દવા, બિયારણના ભાવમાં વધારો થયો છે તેમની સામે 2 વર્ષ પહેલાં જે ભાવ મળતા હતા તે અડધા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આખા દેશની અંદર પાક વીમા યોજના જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે ફક્ત એક એવું ગુજરાતના જ ખેડૂતોની કમનસીબીએ છે કે આ યોજના ગુજરાતમાં નથી ચાલતી. પરિણામે પાક વીમાના લાભથી ગુજરાતના ખેડૂતો વંચિત છે. ખેડૂતોમાં એ પણ રોષની વાત છે. જ્યારે મોંઘવારીની વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. મોંઘવારી વધી રહી છે. ગેસના સિલિન્ડરના 400માંથી હમણાં 100 રૂપિયા ઘટાડ્યા તો પણ 900 જેટલા ભાવ છે. દરેક જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓના ભાવ પેટ્રોલ-ડીઝલની વાત કરો તો લોકોની અંદર આ ભાવ વધારાની સામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં આક્રોશ છે. બેરોજગારીની વાત કરીએ તો તાજેતરમાં જ વિધાનસભાની અંદર જે આંકડાઓ આપવામાં આવ્યા છે તેમાં રાજકોટ જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષની અંદર 12 લોકોને સરકારી નોકરી મળી છે. જે વિધાનસભાના રેકોર્ડના આધારે જણાયું છે. મેં પ્રચારની શરૂઆત કરી ત્યારે એક મહિલાએ જણાવ્યું છે કે, લલિતભાઈ રાજસ્થાનમાં તો 400 રૂપિયાનો બાટલો આપે છે તો અહીંયા 900 રૂપિયાનો કેમ છે તમે કંઈક કરો.

ETV BHARAT: લલિત વસોયા ભાજપમાંથી જોડાઈ રહ્યા હોય અને લલિતો વસોયા ભાજપમાં જાય છે અને જઈ રહ્યા છે આવી ચર્ચા વચ્ચે પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપને ઉતારવામાં લોકો વચ્ચેની જે ચર્ચાઓ છે એ વિશે શું કહેશો ?

લલિત વસોયાઃ હું જ્યારથી રાજનીતિમાં આવ્યો ત્યારથી અને મારે પત્રકાર મિત્રો સાથે બહુ સારા સંબંધો છે. ક્યાંક ને ક્યાંક એવું બતાવતા હોય છે કે લલિત વસોયા ભાજપમાં જાય છે. આજ સુધી હું નથી ગયો અને ભૂતકાળમાં પણ કહી ચૂક્યો છું અને અત્યારે પણ કહું છું કે કૉંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઘણું બધું ઋણ છે. કૉંગ્રેસ પાર્ટી દ્વારા 4 વખત ટિકિટ આપી, જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ તરીકેનું પદ આપેલ, વિધાનસભાની અંદર નવો ધારાસભ્ય હતો તો પણ મને નાયબ દંડક તરીકેનું પદ આપ્યું હતું, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા તરીકે હોવ તો પાર્ટીનો મારા ઉપર ઋણ છે એ ઋણ ચૂકવ્યા વગર ગદ્દારી કરું એવો હું માણસ નથી.

ETV BHARAT: પોરબંદર મતવિસ્તારની અંદર કેન્દ્ર સરકારને લગતા ઘણા ખરા પ્રશ્નો છે જેમનો ભૂતકાળની અંદર કોઈ નીવડો નથી આવ્યો જેમાં ખાસ કરીને રેલવેના પ્રશ્નો, પરિવહનના પ્રશ્નો છે. લોકમુખે એવી ચર્ચા છે કે પૂર્વ સાંસદ અને જે વર્તમાન સાંસદ છે એ રેલવેના પ્રશ્નો સોલ્વ કરી નથી શક્યા તો શું લલિત વસોયા પરિવહન ક્ષેત્રે આગળ વધી શકે એવી શક્યતા છે ?

લલિત વસોયાઃ મારો સ્વભાવ લોકોના પ્રશ્ન માટે લડવાનો સ્વભાવ છે. લોકોની જે સમસ્યા છે જે બાબતે લલિત વસોયાનો ભૂતકાળ તપાસી લો. જેમાં છેલ્લા 10 વર્ષની અંદર લોકોની સમસ્યાઓ મેં હાથમાં લીધી હોય અને એ પ્રશ્ન ન ઊકલે ત્યાં સુધી મેં લડાઈઓ કરી છે. પોરબંદર લોક મતવિસ્તારની પ્રજા મને ચૂંટીને મોકલશે તો સરકારની સામે લડાઈ કરીને પણ જે કાંઈ પ્રશ્નો છે તે ઉકેલવા માટેનો પ્રયત્ન કરીશ. જેમાં રેલવેની વાત કરીએ તો પોરબંદર લોકસભા વિસ્તારની અંદર રેલવેમાં આવે છે એવા જામજોધપુર, ઉપલેટા, ધોરાજી હોય તેમને કેટલો અન્યાય થયો છે. પોરબંદરથી જે ટ્રેન ઉપડે છે તે વાયા જામનગર થઈને જાય છે. એવી 32 જેટલી ટ્રેનો છે જે બાબતે અહીંયાથી તો માત્ર ગણી ગાંઠી ટ્રેનો જ નીકળે છે. આ બાબતે અનેક લોકોએ આંદોલન કરેલ છે અને સંસદને પણ રજૂઆત કરેલ છે છતાં પણ પ્રશ્ન ઉકેલાતો નથી.

ETV BHARAT: પોરબંદર સાંસદીય મતવિસ્તારના મતદારો લલિત વસોયા થકી મત દેશે કે પછી કોંગ્રેસ થકી મત દેશે ?

લલિત વસોયાઃ મતદારો કૉંગ્રેસ પાર્ટીને જ મત આપતા હોય છે. કૉંગ્રેસ પાર્ટીના પ્રતીક તરીકે હું લોકોની સામે જાવ છું. મારો ચહેરો છે પણ મને જે મત મળે છે જે સિમ્બોલ દબાવવાનો છે એ કૉંગ્રેસનો પંજો જ છે. પાર્ટીથી કોઈ વ્યક્તિ પોતાની જાતને દબંગ નેતા કે મહાન નેતા સમજતા હોય તો એ લોકોએ પણ સમજી લેવાનું છે કે તમારી પાસે સિમ્બોલ છે એટલા માટે તમે મહાન છો. લોકો તમને મત આપે છે જો તમારામાં તાકાત હોય તો અપક્ષમાં લડીને બતાવો કેટલા મત મળે છે એ જોવા મળશે.

ETV BHARAT: ગત સંસદની ચૂંટણીમાં રમેશ ધડુકની સામે સંસદીય ચૂંટણી લડ્યા હતા જેમાં 2 લાખ ઉપરાંતની લીડથી રમેશ ધડુક જીત્યા હતા. આ વખતે આપની સામે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન છે. ઉચ્ચ નેતા સામે કૉંગ્રેસ દ્વારા લલિત વસોયા ને ઉતારવામાં આવ્યા છે ત્યારે લલિત વસોયાને મળતી લીડ અને જીત બાબતે શું કહેશો ?

લલિત વસોયાઃ દરેક ચૂંટણીની અંદર અલગ માહોલ હોય છે. દરેક વખતે અલગ અલગ મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાતી હોય છે. જેમાં પોરબંદરના લોકવિસ્તારના મતદારોની કાયમી તાસીર રહી છે કે તેઓ બહારના ઉમેદવારોને સ્વીકારતા નથી. મારી સામેના ઉમેદવાર ભાવનગરમાં ચૂંટાય તેમ ન હતા એટલે પોરબંદરમાં લડવા આવ્યા છે. ETV BHARATના માધ્યમથી સીધું મનસુખભાઈ માંડવિયાને પુછું છું કે, આટલા વર્ષથી તમે રાજનીતિમાં છો તમે ગાંધીજીનો જન્મ સ્થળ કીર્તિ મંદિર કોઈ દિવસ જોયું છે ? તમે ઘેળ વિસ્તાર જોયો છે ? તમે માધવપુર દર્શન કરવા ગયા છો ? તમે સ્મશાનયાત્રામાં જાઓ છો તેના પણ ફોટા મૂકો છો ત્યારે તમે મને કીર્તિ મંદિરનો એક ફોટો આપની FACEBOOK ઉપર બતાવો, FACEBOOK એક ફોટો માધવપુરનો બતાવો માધવરાયજીના દર્શન કરતા હોય એવો આપણે કુતિયાણા જોયું હોય તો એનો એકાદો પણ ફોટો બતાવો. કહેવાનો મતલબ કે જેમને પોરબંદર ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવા નથી એ ઉમેદવાર આવ્યા છે એટલે સ્થાનિક અને બહારના ઉમેદવારનો મુદ્દો પણ ચાલવાનો છે. બીજી વાત કે બહારના લોકો અહીંયા આવીને શું કરી શકે એ પ્રજા એક વખત ભૂલ થાય છે જે દરેક વખતે આ ભુલ ના ખાય અને આ ચૂંટણીનું પરિણામ તમે જોજો લોકો જે વિચારી રહ્યા છે તેનાથી અલગ આવશે.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીનું પરિણામઃ પોરબંદર સંસદીય મતવિસ્તારની વર્ષ 2024 ની સાંસદીય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે જ્યારે કૉંગ્રેસ દ્વારા લલિત વસોયાને રીપીટ કરવામાં આવ્યા છે. લલિત વસોયા સામે ભાજપના રમેશ ધડુક વર્ષ 2019ની સંસદીય ચૂંટણીમાં 2,20,000 ઉપરાંતની લીડથી જીત્યા હતા.

  1. Lok Sabha 2024: ધવલ પટેલનો અનંત પટેલની ટિપ્પણીનો વળતો જવાબ- હું લોકોની સેવા માટે પરત વતન ફર્યો છું, હું અહીંનો સ્થાનિક જ છું, બહારનો નથી
  2. Model Code Of Conduct: આદર્શ આચાર સંહિતા શું છે? આજથી આખા દેશમાં લાગૂ થશે, જાણો નિયમો અને શરતો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.