કચ્છઃ ભારતીય કિસાન સંઘ, કચ્છ દ્વારા આજે એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં કચ્છ પંથકના ખેડૂતોને લાંબા સમયથી કનડતી સમસ્યાના નિવારણની માંગણીઓ પૂરજોશમાં થઈ હતી. આ વિરોધ પ્રદર્શન અંતર્ગત વિશાળ સભા અને રેલીનું આયોજન કરાયું હતું. રેલીના અંતે કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.
ખેડૂતોની લાંબા સમયની પડતર માંગણીઓઃ દુધાઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે છેલ્લા પોણા બે વર્ષથી વાટાઘાટો ચાલી રહી છે, છતાં કોઈ નિરાકરણ આવતું નથી. અનેક વખત સરકાર સાથે, નિગમના અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલ્યો પણ કોઈ નિરાકરણ ના આવતા કચ્છના ખેડૂતો આકરા પાણીએ થયા છે. દુધઈ સબ બ્રાન્ચ કેનાલ મૂળ 68 કિમી ઉપર 31.84 ક્યુમેકની હતી. તેમાંથી બન્ની લિંક કેનાલમા વધારાનું પાણી જવાનું હતું પણ જે કોઈ કારણોસર રદ થયું. એ વિસ્તાર પહેલાથી નિયમિત પાણીમાં આવે તેવા વિસ્તાર માટે ખેડૂતોએ વ્યાજબી માગણી કરી છે કે, 68 કિમી ઉપર 15 ક્યુમેક કરી આપવામાં આવે કારણ કે, જો તેનાથી નાની કેનાલ બનાવવામાં આવશે તો જે સાયફન આવે તે નાના થશે.
![સભા અને રેલી યોજાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2024/20708049_b_aspera.jpeg)
45 કિમીના સરહદીય ગામોને તકલીફઃ 45 કિમીમાં આવતા ગામોને પીવા કે ખેતી માટે પાણીની કોઈ સુવિધા નથી. આ ગામડાઓ સરહદી વિસ્તારમાં આવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ મહત્વના છે. તો ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવે છે કે થોડો ખર્ચ વધારે થાય તો પણ કેનાલ 15 ક્યુમેકની બનાવવી પડે તેમ છે. તેથી તેના માટે પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલઃ ભચાઉ તાલુકામાંથી નીકળતી વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમમયથી મંદ ગતિએ ચાલે છે. તાત્કાલિક ધોરણે પૂરતા નાણાં ફાળવીને કામ પૂરાં કરવામાં આવે તેવી માંગણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. નર્મદાના વધારાના એક મીલીયન એકર ફિટ પાણી કચ્છને ફાળવવાયા છે. તેમાંથી નોર્ધન લીંક કેનાલ, સધન લીંક કેનાલ અને સારણના કામો ચાલુ છે. પણ હાઈ કન્ટુર કેનાલ અને અબડાસા લિંક કેનાલની વહીવટી મંજુરી આપવામાં આવી નથી. તો તાત્કાલિક આ મંજૂરી આપવામાં આવે. કારણ કે, આ બંને કેનાલથી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોને લાગુ પડે છે. આ વિસ્તારમાં પાણીના અન્ય કોઈ સ્રોત નથી તો વહીવટી મંજુરી તાત્કાલિક આપીને કામો ચાલુ કરવામાં આવે. જેથી પાણી ન હોતાં જે લોકો સ્થળાંતર કરી રહ્યા છે અને સરહદો સૂની બની જતાં સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બાબત જોખમી છે ત્યારે પાણી પહોંચાડવું અતિ આવશ્યક બન્યું છે.
ખેડૂતોને જંત્રી દરે જમીન સંપાદનનું વળતરઃ કચ્છમાંથી વિવિધ કંપનીઓ દ્વારા વીજ ટાવરની લાઈનો, ગેસ લાઈનો, ક્રૂડ લાઈનો, પાણીની લાઈનો ખેતીવાડી વિસ્તારમાંથી કાઢવામાં આવે છે. આ સમયે કંપનીઓ દ્વારા ખેડૂતોને જંત્રી દરે જમીન સંપાદનનું વળતર આપવામાં આવે છે. જે અપૂરતું છે. જ્યારે શિક્ષણના હેતુ માટે જમીન ફાળવવામાં આવે અથવા સમાજના હિત માટે જમીન માગવામાં આવે ત્યારે બજાર કરતાં પણ ઊંચા ભાવ આંકવામાં આવે છે. તેના પુરાવા પણ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તો ખેડૂતોને પણ બજાર કિંમત પ્રમાણે વળતર ચૂકવવું જોઈએ.
![મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2024/20708049_c_aspera.jpeg)
બજાર કિંમતે જમીનના સંપાદનની માંગણીઃ જ્યારે ખેડૂતો દ્વારા કુવા અથવા બોર માટે બે ગુંઠા જમીન માગવામા આવે છે ત્યારે તેમના પાસેથી બજાર કિંમત કરતાં પણ વધારે રકમ લેવામાં આવે છે. ખેડૂતોની પણ રાષ્ટ્રની આવકમાં 58 ટકા જેટલો મોટો હિસ્સો છે ત્યારે જમીન સંપાદનના વળતર માટે અપનાવાની ભેધારી નીતિ દૂર કરવા માટે પણ માંગણી કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશની સરકાર જ્યારે ખેડૂતોની જમીન સંપાદન થાતી હોય ત્યારે બજાર કિંમત પ્રમાણે વળતર આપતી હોય તો ગુજરાત સરકાર કેમ નથી આપતી તેવા પ્રશ્નો પણ ખેડૂતોએ કર્યા હતા. આ બાબતને ધ્યાનમાં લઈ ગુજરાતમાં પણ ખેડૂતોને બજાર કિંમત મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
પારદર્શક માપણીની માંગઃ આ ઉપરાંત ખેડૂતોની અન્ય મંગનીમાં જમીનની નવી માપણી થઇ છે તેવા ગામોના પ્રમોલગેશનની કામગીરીમાં અસંખ્ય ક્ષતિ રહી ગઈ છે તેને તાત્કાલિક દુર કરી પારદર્શક માપણી કરવામાં આવે ઉપરાંત ખેડૂતોને પોતાના એક ખેતરમાંથી બીજા ખેતરમાં કોપ માટી લઈ જવાની હોય ત્યારે ખનીજના નામે તંત્ર દ્વારા કનડગત કરવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ.સાથે જ ખેતર વાડીના રોડ રસ્તા બનાવવા માટે મોરમનો ઉપયોગ થતો હોય છે તેની ખેડૂતોને છૂટ મળવી જોઈએ તેવી માંગ ખેડૂતોએ કરી હતી.
ગૌચર જમીન અંગે રજૂઆતઃ ખેડૂતોએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લાની ગૌચર જમીનો અને તળાવો કંપનીઓને આપી દેવામાં આવે છે તે યોગ્ય નથી. હાલે ભુજ તાલુકાના ઢોરી ગામે એક હજાર એકર જમીન ગાયો માટે ગૌચર નીમ કરી છે તેમાં અદાણી કંપનીને તંત્ર દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે. જો ગૌચર જમીનો કંપનીને આપી દેવામાં આવશે તો કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુધન છે તેના ચરિયાણ માટે પ્રશ્ન ઉભો થશે તો તાત્કાલિક ધોરણે પરવાના રદ કરવા બાબતે પણ ખેડૂતોએ માંગણી કરી છે.જો આગામી દિવસોમાં ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવાની ફરજ પડશે.
નર્મદાના વધારાના એક મીલીયન એકર ફિટ પાણી કચ્છને ફાળવવાયા છે. તેમાંથી નોર્ધન લીંક કેનાલ, સધન લીંક કેનાલ અને સારણના કામો ચાલુ છે પણ હાઈ કન્ટુર કેનાલ અને અબડાસા લીંક કેનાલની વહીવટી મંજુરી આપવામાં આવી નથી તો તાત્કાલિક આ મંજૂરી આપવામાં આવે. કારણ કે, આ બંને કેનાલથી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોને લાગુ પડે છે...જગમાલ આર્ય (અધ્યક્ષ, પ્રદેશ ભારતીય કિસાન સંઘ)
વિકાસ થાય તેમાં ખેડૂતોને ક્યારેય વાંધો ન હોય પણ ખેડૂતોના ભોગે વિકાસ થાય તે કેમ ચલાવી લેવાય. જ્યારે શિક્ષણના હેતુ માટે જમીન ફાળવવામાં આવે અથવા સમાજના હિત માટે જમીન માગવામાં આવે ત્યારે બજાર કરતાં પણ ઊંચા ભાવ આંકવામાં આવે છે. તેના પુરાવા પણ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તો ખેડૂતોને પણ બજાર કિંમત પ્રમાણે વળતર ચૂકવવું જોઈએ તેવું ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની માંગણી છે...શિવજી બરાડીયા(પ્રમુખ, ભારતીય કિસાન સંઘ)