તળાજા : તળાજા ખાતે આહીર સમાજના સમુહ લગ્નમાં મંચ પરથી ગીગાભાઈ ભમરે ચારણ ગઢવી સમાજના માતાજી પ્રત્યે જે અપમાનિત શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે, તેને લઈને ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળે છે. ગઢવી સમાજના સાહિત્યકારો અને અગ્રણીઓ ગીગાભાઈ ભમરનું આ નિવેદનને વખોડયું છે તો બીજી તરફ આહિર સમાજમાં પણ ગીગાભાઈ ભમરના નિવેદનને લઈને રોષ વ્યાપ્યો છે.
તળાજા ખાતે સમૂહ લગ્નમાં ચારણ ગઢવી સમાજના માતાજી પ્રત્યે થઈ અશોભનીય ટિપ્પણી : તળાજા ખાતે ચારણ ગઢવી સમાજના સમુહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં મંચ પરથી આહીર સમાજના વ્યક્તિ ગીગાભાઈ ભમ્મરે ચારણ ગઢવી સમાજના માતાજી પ્રત્યે જે અશોભનીય વાણી વિલાસ કર્યો છે તેને લઈને હવે ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળે છે. ગીગાભાઈ ભમરનું આ નિવેદન ગઢવી સમાજ માટે ખૂબ જ આપત્તિજનક માનવામાં આવે છે. ચારણ ગઢવી સમાજના માતાજી પ્રત્યે જે રીતે જાહેર મંચ પરથી નિવેદનો આપવામાં આવ્યું છે તેને લઈને ગઢવી અને ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બંને સમાજે નિવેદન વખોડ્યું : ગીગાભાઈ ભમરનુ આ નિવેદન તેમનું વ્યક્તિગત હોવાનું આહિર સમાજ ભારે ખેદ સાથે કહી રહ્યો છે. આહીર સમાજના અગ્રણી અને સાહિત્યકાર માયાભાઈ આહીરે વખોડયુ છે તો બીજી તરફ રાજકીય અગ્રણી પ્રવીણ રામે પણ ગીગાભાઈ ભમરના આ નિવેદનને ખૂબ જ આપત્તિજનક ગણાવ્યું છે અને તેમના આ નિવેદનને આહીર સમાજ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી તેવું પણ જાહેર કર્યું છે.
ગઢવી સમાજમાં ભારે રોષ : ગીગાભાઈ ભમરના નિવેદનને લઈને ચારણ અને ગઢવી સમાજમાં પણ ભારે રોષ જોવા મળે છે સાહિત્યકાર બિહારી હેમુદાન ગઢવીએ ખૂબ જ આપત્તિજનક ગણાવ્યું છે. ચારણ અને આહીર સમાજ મામા ભાણેજના સંબંધો આદિ અનાદિકાળથી નિભાવતા આવ્યા છે. આવા સમયે આહીર સમાજની એક વ્યક્તિ ચારણ ગઢવી સમાજના માતાજી પ્રત્યે જે આપત્તિજનક નિવેદનો કરે છે તેને તેઓ ક્યારેય સ્વીકારતા નથી. ગીગાભાઈ ભમરને મા સોનલ ક્યારેય માફ નહીં કરે તેવા શબ્દો પણ બિહારી હેમુદાન ગઢવીએ તેમની પ્રતિક્રિયા દરમ્યાન આપ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ગીગાભાઈ ભમર નામથી ગીગાભાઈ છે પરંતુ તેના વક્તવ્યથી તે સહજ રીતે ગીગો છે તેવું પણ સામે આવે છે. ચારણ અને ગઢવી સમાજનો પ્રત્યેક વ્યક્તિ ગીગાભાઈ ભમરનું આજીવન મોં જોવા પણ તૈયાર નથી. વધુમાં ચારણ અને ગઢવી સમાજ ક્યારેય પણ ગીગાભાઈ ભમરને મામા તરીકેનું સંબોધન પણ નહીં કરે તેવા આક્રોશ સાથે બિહારી હેમુદાન ગઢવી તેની પ્રતિક્રિયા આપી છે.
રાજભા ગઢવીએ પણ આપી પ્રતિક્રિયા : ચારણ ગઢવી સમાજના સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ ગીગાભાઈના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે ગીગાભાઈ ભમર ઓટલા યુનિવર્સિટીના સભ્ય છે. આવા લોકોને આહિર અને ચારણ ગઢવી સમાજની સંસ્કૃતિનું જરા પણ ભાન નથી. તે પ્રકારે તેઓ ગઢવી અને ચારણ સમાજની આઈ અને માતા સોનલ પ્રત્યે ખૂબ જ નિંદનીય નિવેદનો કરે છે. આ નિવેદન ક્યારેય માફ કરી શકાય તેવું નથી. આગામી દિવસોમાં ચારણ અને ગઢવી સમાજ ગીગાભાઈ ભમર સામે કાયદાકીય પગલા પણ લેવા જઈ રહી છે. વધુમાં ગીગાભાઈ ભમર જે રીતે ચારણ અને ગઢવી સમાજને માંગણ તરીકે વર્ણવે છે તેઓને હું સ્પષ્ટ રીતે જણાવું છું કે ચારણ અને ગઢવી સમાજે જે કંઈ પણ લીધું હશે તે જાહેરમાં આવીને બોલે. અમે ગઢવી સમાજ તેને ચૂકવવા માટે તૈયાર છીએ. નબળા લોકો અશોભનીય વાતો કરે તેના કરતાં પણ વધારે દુઃખદ ઘટના એ છે કે બુદ્ધિશાળી લોકો આવા સમયે મૌન ધારણ કરીને બેઠા છે તેનું ચારણ અને ગઢવી સમાજને ખૂબ જ દુઃખ છે.