ડુંગરપુરઃ ગુજરાતી દંપતિ ભયાનક યોજના સાથે બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં મેરેજ એનિવર્સરી ઉજવવા આવ્યા. ગુજરાતના એક વેપારીએ તેની પત્ની સાથે આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી. જેમાં પહેલા પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. જેના પર પતિએ તેનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી પતિએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને તે જ હાલતમાં બિછીવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યો. અહીં તેણે પોલીસને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પત્નીના મૃતદેહ વિશે આપી માહિતીઃ એસઆઈ અશોક કુમારે જણાવ્યું કે, મંગળવારે સવારે ગુજરાતના વડોદરાના રહેવાસી અક્ષય શીખલીઘર (32) બિછીવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમની હાલત ગંભીર હતી, જેના કારણે તેમને બિછીવાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પછી પોલીસે તેમની પૂછપરછ કરી. અક્ષય શીખલીઘરે જણાવ્યું કે તેમની પત્ની જ્યોતિ શીખલીઘરનો મૃતદેહ રતનપુર બોર્ડર પાસે આવેલી હોટલના રૂમમાં પડી છે. પોલીસે એક ટીમ હોટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો અક્ષયે જણાવ્યું કે, તે ગુજરાતમાં ટ્રાવેલ એજન્સી ચલાવે છે, પરંતુ નુકસાનને કારણે પરિવાર ચિંતિત હતો. 5 ફેબ્રુઆરીએ, લગ્નની વર્ષગાંઠ પર, દંપતીએ સાથે મળીને આત્મહત્યા કરવાની યોજના બનાવી. આ માટે બંને રતનપુર બોર્ડર પરની એક હોટલમાં રોકાયા હતા.
પહેલા પત્નીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યોઃ દંપતિએ મેરેજ એનિવર્સરીની રાત્રે જમવાનો ઓર્ડર આપ્યો. હોટલના રૂમમાં જ જમ્યા. બંનેએ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી પણ કરી. ત્યારબાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પત્ની જ્યોતિએ સૌપ્રથમ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. તેથી પતિ અક્ષયે તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે પણ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને હોટલના રૂમમાંથી જ્યોતિનો મૃતદેહ મળી આવ્યો. હોટલમાંથી બંનેના આઈડી કાર્ડ પણ મળી આવ્યા. હાલ પોલીસે હોટલના રૂમને સીલ કરી દીધો છે. ઘટનાની માહિતી મળતા જ ડીએસપી તપેન્દ્ર મીણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાંસવાડાથી એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે. જે સમગ્ર રુમની સઘન તપાસમાં જોડાઈ છે.