ફતેપુરાઃ આદિવાસી ઉત્કર્ષ મંડળ દ્વારા આદિવાસી સમાજ સુધારણા મીટિંગ યોજાઈ હતી. જેમાં 5 ગામોના આદિવાસી આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં ઘૂઘસ, ખુંટા, નળવા , બિલવા સહિત પંચાયતો પણ જોડાઈ હતી. વર્તમાનમાં આદિવાસી લગ્નોમાં થતા બેફામ ખર્ચા, દહેજમાં લેવાતી મોટી રકમ, ડીજે વગેરે વિષયક નિર્ણયો લેવાયા છે.
ખર્ચાળ આયોજનો બંધઃ આદિવાસી સમાજ સુધારણા અંતર્ગત ચર્ચા વિચારણા અને ચિંતન બાદ વર્તમાનમાં લગ્ન પ્રસંગે થતા ખર્ચાળ આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં ડીજે, દહેજ તેમજ જમણવારમાં થતા ખર્ચાને નાબૂદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાં કુરિવાજો ત્યજવાની ઝુંબેશ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી. આદિવાસી ઉત્કર્ષ મંડળે કરેલા કેટલાક ઐતિહાસીક સુધારાના સૂચનો આદિવાસી સમાજે આવકાર્યા છે.
દેવાનું વિષચક્રઃ આદિવાસી લગ્નોમાં દહેજમાં મોટી રકમ લેવામાં આવે છે. આ એક વિષચક્ર છે. જેમાંથી આદિવાસી પરિવાર કદાપિ બહાર આવી શકતો નથી. દહેજ આપતા આદિવાસી પરિવારો સાહુકારો પાસેથી ઉછીના અને વ્યાજે નાણાં લેતા દેવાદાર થઈ જતા હોય છે. આદિવાસીઓ દેવાના ડુંગર તળે દબાતા જઈ રહ્યા છે. જેના કારણે આખાના આખા પરિવારે લગ્ન ખર્ચ ને પહોચી વળવા અને દેવામાંથી મુક્તિ મેળવવા રોજગારી મેળવવા માટે પરપ્રાંતમાં મજૂરીએ જવું પડતું હોય છે. જેથી બાળકોને ભણતરમાં વિક્ષેપ પડે છે. આ મીટિંગમાં ફતેપુરા તાલુકાના ઘૂઘસ, ખુંટા, નળવા , બિલવા જેવા આશરે 5થી વધુ ગામોના આગેવાનોને લગ્ન પ્રથામાં મહત્વના સુધારા વધારા સૂચવ્યા હતા.
![મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો, વડીલો ઉમટી પડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2024/20657787_b_aspera.jpg)
કન્યા ભગાડવા અને ડીજે સંદર્ભે કડક નિર્ણયઃ આદિવાસી લગ્નો અત્યંત ખર્ચાળ ડી.જે. પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ ભીલ સમાજના જૂના રીત રિવાજો પ્રમાણે ઢોલ, થાળી, કુડી, શરણાઈઓથી લગ્નની ઉજવણીને પ્રધાન્ય આપવું. જો ડી.જે. વગાડ્યું તો 50,000નો દંડ કરવામાં આવશે. દહેજ પ્રથામાં વરપક્ષ પાસેથી કન્યાના લગ્નનો ખર્ચ 1.51 લાખ, 3 તોલા સોનાના, 500 ગ્રામ ચાંદીના દાગીના આપવાના રહેશે. કન્યા ભગાડી જનાર 2 લાખનો દંડ નક્કી કરવામાં આવ્યો. લગ્ન પ્રસંગે જમણવારમાં દાળ, ભાત, કંસાર અથવા બુંદી નક્કી કરાઈ. જેમાં પક્ષાપક્ષીથી અળગા રહીને બધાએ એક સાથે નિર્ણયોને આવકાર્યા હતા.
આખા પરિવારે લગ્ન ખર્ચ ને પહોચી વળવા અને દેવામાંથી મુક્તિ મેળવવા રોજગારી મેળવવા માટે પરપ્રાંતમાં મજૂરીએ જવું પડતું હોય છે. જેથી બાળકોને ભણતરમાં વિક્ષેપ પડે છે. આ મીટિંગમાં ફતેપુરા તાલુકાના ઘૂઘસ, ખુંટા, નળવા , બિલવા જેવા આશરે 5થી વધુ ગામોના આગેવાનોને લગ્ન પ્રથામાં મહત્વના સુધારા વધારા સૂચવ્યા હતા...ભારત પારગી(પ્રમુખ, ફતેપુરા તાલુકા પંચાયત)
એકાદ બે વર્ષથી આદિવાસી સમાજના લગ્ન પ્રસંગોમાં ડી.જે.નો ખોટો રિવાજ પડેલ છે. ડી.જે. બંધ કરવામાં અને આદિવાસી સમાજના જૂના રીત રિવાજો પ્રમાણે ઢોલ, થાળી, કુડી, શરણાઈઓથી લગ્ન કરવામાં આવે તો ખર્ચ ઘટી શકે તેમ છે. હાલમાં તાલુકા કક્ષાએ મીટિંગો દ્વારા આદિવાસી સમાજે સુધારણા તરફ ડગ માંડ્યા છે. આવનારા દિવસોમાં આ કવાયતના સારા પરિણામ મળવાની સંભાવનાઓ જોવાઈ રહી છે...ડૉ. કે.આર.ડામોર(આગેવાન, આદિવાસી સમાજ)