ETV Bharat / state

શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભાજપમાં જૂથબંધી અને પત્રિકા કાંડ બાદ વડોદરા અને સાબરકાંઠા બેઠક પર જાહેર ઉમેદવારોની પીછેહઠ - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 1:55 PM IST

Updated : Mar 23, 2024, 2:19 PM IST

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024

પાર્ટી વીથ ડિફરન્સ કહેતી ભાજપમાં લોકસભાની ચૂંટણી માટે અધિકૃત રીતે જાહેર થયેલા વડોદરા અને સાબરકાંઠા બેઠક પરના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી સાબિત કર્યું છે, કે પક્ષમાં સબ સલામત નથી. શું છે ભાજપના અસંતોષના કારણો... વાંચો ETV ભારત બ્યુરો હેડ પરેશ દવેનું વિશ્લેષણ

Lok Sabha Election 2024

અમદાવાદ: લોકસભા ચૂંટણી - 2024 અંતર્ગત હવે ફક્ત ફક્ત દિવસ જ આડે રહ્યા છે ત્યારે PM નરેન્દ્ર મોદીના હોમસ્ટેટમાં જ પક્ષમાં આંતરિક અસંતોષને લઇને વડોદરા બેઠક પરના મહિલા ઉમેદવાર અને બે ટર્મના સાંસદ રંજનબહેન ભટ્ટે પોતાની ઉમેદવારી પરત લીધી છે. 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠકથી જંગી મતે જીતી પ્રથમ વખત સાંસદ બન્યા હતા એ ઐતિહાસિક બેઠક પર આંતરિક જૂથબંધી અને પત્રિકા કાંડને લઇને ત્રીજી ટર્મ માટેના ઉમેદવાર તરીકે જાહેર થયેલા ઉમેદવાર રંજનબહેન ભટ્ટે પીછેહઠ કરી છે. જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વડોદરાની સાથે સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ પોતે 2024ની લોકસભાની ચૂંટણીથી પોતાની ઉમેદવારી પરત કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા કરી હોળીના એક દિવસ પહેલા પક્ષમાં એકતાના નામે હોળી ચંપાવાનો દાખલો બેસાડ્યો છે.

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024

છેલ્લાં ત્રણ વર્ષથી પક્ષમાં આંતરિક અસંતોષ હતો, પોસ્ટર વિવાદ નિમિત્ત બન્યો રંજનબહેનની પીછેહઠનો

2014માં વડોદરા લોકસભા બેઠક પરથી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક જીત મેળવી અને દેશ આખાની મીટ વડોદરા લોકસભા બેઠક પર મંડાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં વારાણી બેઠક પરથી પોતે સાંસદ રહ્યાં અને વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું. 2014 અને 2019 એમ બે ચૂંટણીમાં રંજનબહેન ભટ્ટે સારી લીડથી ચૂંટણી જીતી હતી. પણ છેલ્લાં ત્રણ વર્ષથી જિલ્લાના સહકાર ક્ષેત્રે કાર્યરત રાજકારણ, સાવલી બેઠકના અપક્ષ ઉમેદવાર કેતન ઇનામદાર વધતી રાજકીય આંકાક્ષા, પક્ષ તરફથી 2022માં વડોદરાના પૂર્વ ધારાસભ્યોને ટિકિટ ન મળતા વડોદરા શહેર અને જિલ્લામાં પક્ષ અને સંગઠનમાં અસંતોષ વધતો જતો હતો.

જ્યોતિ પંડ્યાએ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને વિરોધ શરૂ કર્યો

ગત અઠવાડિયે ભાજપના મહિલા આગેવાન જ્યોતિબહેન પંડ્યાએ પણ સાંસદ રંજનબહેન ભટ્ટ સામે અંગત આક્ષેપ કરી હંડકપ મચાવ્યો હતો. વડોદરા ખાતે ચાલતા પોસ્ટર વિવાદથી ભાજપ પક્ષની અંદરના જૂથવાદ અને સંતોષની મતદારોમાં નોંધ લેવાતી હતી. આ વિવાદો સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નાટકીય રાજીનામા એ ભાજપમાં સૌ સલામત નથી એ દર્શાવ્યું હતુ. અલબત્ત કેતન ઇનામદારે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને મળીને કુલડીમાં ગોળ ભાંગી પોતાની તાકાત દર્શાવી હતી. વડોદરા જિલ્લા અને શહેરમાં વધતા જૂથવાદ, અસંતોષ, એક બીજા પ્રત્યે જાહેરમાં કાદવ ઉછાળવાના પ્રસંગો સતત બનતા રહ્યા અને વિશેષ તો પત્રિકા યુદ્ધના કારણે ભાજપના ત્રીજી વારના ઉમેદવાર રંજનબહેને શાનમાં સમજીને પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. ચૂંટણીમાંથી ઉમેદદારી પાછી ખેંચતા રંજનબહેન ભટ્ટનું જાહેર નિવેદન છે કે ચૂંટણી ન લડવા અંગે પક્ષ દ્વારા મને કહેવામાં આવ્યું નથી. પક્ષે ચૂંટણી લડવા અંગે ત્રીજી વાર તક આપી છે. પણ હવે મારે ચૂંટણી લડવી નથી.

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024

સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં ચૂંટણીથી ખસવા કર્યો સંકેત

સાબરકાંઠા પર ભાજપે દીપસિંહ રાઠોડના સ્થાને ઓબીસી નેતા ભીખાજી ઠાકોરને 2024માં નવા ચહેરા તરીકે ઉતાર્યા હતા. ચૂંટણીનો પ્રચાર પણ ભીખાજી ઠાકોરે ફેસબુકના સોશિયલ મીડિયા થકી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાના સંદેશા પ્રસારિત કર્યા હતા. જેના કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના રાજકારણમાં હંડકંપ મચ્યો હતો. એવું મનાય છે કે, ભીખાજી ઠાકોરની ઉમેદવારી પરત કરવાનું કારણ તેઓએ ઉપયોગ કરેલ ઠાકોર અટક છે. સ્થાનિક સ્તરે ચર્ચાય છે કે, ડામોર અટક સાચી કે ભીખાજીની ઠાકોર અટક સાચી. જો ચૂંટણીની એફિડેવીટમાં અટકના મામલે કોઇ કાયદાકીય પ્રશ્ન ઉભો થાય તો ઉમેદવારી રદ થઇ શકે અને કોંગ્રેસને સીધી રીતે બેઠક મળી શકે. આ કારણ પણ તેમની ઉમેદવારી પરત કરવામાં હોઇ શકે છે. જો કે ભીખાજી ઠાકોરે પોતાની પોસ્ટમાં વ્યક્તિગત કારણોસર લોકસભાની ચૂંટણી નહીં લડવાના કારણો આપ્યાં છે, જે સીધી રીતે ગળે ઉતરે એવા નથી. જો કે પાછળથી ભીખાજી ઠાકોરે પોતાની ચૂંટણી ન લડવાની પોસ્ટ ડિલીટ કરી હતી. છેલ્લી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લા ભાજપની ઓફિસે ભીખાજી ઠાકોરના ચૂંટણી પોસ્ટર ઉતારવામાં આવ્યા છે.

Lok Sabha Election 2024

કોંગ્રેસના એક, ભાજપના બે ઉમેદવારોએ નામ જાહેર થયા બાદ અનિચ્છા દર્શાવી છે

કોંગ્રેસના અમદાવાદ પૂર્વના જાહેર થયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ પણ પોતાના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ત્યાર બાદ શુક્રવારે રોહન ગુપ્તાએ કોંગ્રેસથી રાજીનામુ આપ્યું છે. તો શનિવારની સવારે જ ભાજપે જાહેર કરેલ વડોદરા બેઠક પરથી ત્રીજી વારના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે અને પ્રથમ વાર લોકસભા ચૂંટણી લડતા સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે અંગત કારણોસર ચૂંટણીથી પોતાની ઉમેદવારી પરત લેવાની જાણ સોશિયલ મીડિયાથી કરીને રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. આ અગાઉ કોંગ્રેસના દિગ્ગજો પૈકી અમરેલીથી પરેશ ધાનાણી, અમરેલીથી પ્રતાપ દૂધાત, આણંદથી ભરતસિંહ સોંલકી, પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોર, અમદાવાદ પૂર્વથી પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ તો અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારે 2024ની લોકસભા ચૂંટણી ન લડવા અંગે અગાઉથી જ જાણ કરી હતી.

  1. Loksabha Election 2024: વડોદરા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટનો વિરોધ દર્શાવતા બેનર્સ લગાવાયા
  2. રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું, અમિત ચાવડાએ કર્યો કટાક્ષ... - Rohan Gupta resigned from Congress
Last Updated :Mar 23, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.