ETV Bharat / state

Anand Politics : ભાજપનો ભરતી મેળો ! આણંદ જિલ્લાના ત્રણ હજાર કોંગ્રેસી ભાજપમાં ભળ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 10:56 AM IST

ભાજપનો ભરતી મેળો !
ભાજપનો ભરતી મેળો !

આણંદ જિલ્લામાં ભાજપનો ભરતી મેળો યોજાયો હતો. બોરસદ અને ખંભાત ખાતે સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરી પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ભગવા રંગે રંગાયા હતા.

આણંદ જિલ્લાના ત્રણ હજાર કોંગ્રેસી ભાજપમાં ભળ્યા

આણંદ : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આણંદ જિલ્લાના મહેમાન બન્યા હતા. ત્યારે બોરસદ અને ખંભાત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી સી.આર. પાટીલે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સહિત વિપક્ષ આગેવાન અને કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. અંદાજે 3000 કરતા વધારે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું.

ભાજપનો ભરતી મેળો : બોરસદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 2000 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં જિલ્લા પંચાયત સભ્યો, તાલુકાના આગેવાનો, સરપંચ અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ તકે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપના કાર્યકરોને નવા આવેલા કાર્યકરોને સ્વીકારી લેવા આહવાન કર્યું હતું. ઉપરાંત નવા કાર્યકરોને દૂધમાં સાકર ભળે તે રીતે પક્ષમાં ભળી જવા માટે અનુરોધ કર્યો હતો. ઉપરાંત કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા સીઆર પાટીલે કહ્યું કે, હવે કોંગ્રેસમાંથી કોઈ ફોર્મ ભરવા માટે પણ સામે આવે તેવું દેખાતું નથી.

પૂર્વ ધારાસભ્યએ કેસરિયો કર્યો : 108 ખંભાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ તેમના સમર્થકો સાથે ખંભાત ખાતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે લગભગ 1000 જેટલા કોંગ્રેસી કાર્યકરોને સીઆર પાટીલે કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. જેમાં જિલ્લા અને તાલુકાના આગેવાનો, ગ્રામ પંચાયત અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી અને જય શ્રી રામના જય નાદ સાથે ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસને મોટો ફટકો : ખંભાત ખાતે ચિરાગ પટેલની આગેવાનીમાં 1000 જેટલા કોંગી કાર્યકરોએ કેસરિયા કર્યા, બીજી તરફ બોરસદ ખાતે નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીની આગેવાનીમાં 2000 કરતા વધારે કોંગ્રેસી આગેવાનો ભાજપની વિચારધારા સાથે સહમત બનીને ભાજપમાં જોડાયા હતા. લોકસભાના ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પક્ષમાં મોટું ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બોરસદના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોંગ્રેસને આટલો મોટો ઝટકો ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યો હતો.

ચિરાગ પટેલ ભાવુક થયા : ખંભાત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચિરાગ પટેલ ભાવુક થયા હતા. તેમના જણાવ્યા મુજબ ખંભાતની ઉન્નતિ અને વિકાસ માટે તેમણે જીત્યા હોવા છતાં રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી છે. આ તકે મંચ પરથી સભાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે, ચિરાગ પટેલને તેમની ભૂલ સમજાઈ અને તેમણે આ નિર્ણય લીધો છે, જે આ વિસ્તારના લોકો માટે હિતદાયક સાબિત થશે.

ઉમેદવારી અંગે પાટીલનો સંકેત : પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ચિરાગ પટેલને ખેસ પહેરાવી ભાજપમાં ભેળવ્યા બાદ તેમના વિજય સરઘસમાં ફરી ખંભાત આવવાનું વચન આપ્યું હતું. જેને લઇને સ્થાનિક રાજકારણમાં ચર્ચા ચાલુ થઈ હતી કે, ખંભાતમાં પેટા ચૂંટણીમાં ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોવા પર પાટીલની મહોર લાગી ગઈ છે. પ્રજાના મત મેળવી ધારાસભ્ય બનેલા ચિરાગ પટેલ વિશ્વાસને બાજુ પર મૂકી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ભાજપમાં કરેલા પક્ષ પલટાને પ્રજા કેવું સમર્થન આપે છે તે જોવું રહ્યું.

રાજકારણ ગરમાયું : ઉલ્લેખનિય છે કે સમગ્ર મધ્ય ગુજરાતમાં બોરસદ અને ખંભાતના કાર્યક્રમ બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં ગયેલા હજારો સમર્થકોની કોંગ્રેસને ખોટ પડે છે કે કેમ તે આવનાર લોકસભા ચૂંટણીનું પરિણામ બતાવી શકશે. પરંતુ હાલ તો પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના મતવિસ્તારમાં રમણ સોલંકી અને ચિરાગ પટેલ રુપી મોટું ગાબડું પડ્યું છે.

  1. Anand News: આણંદવાસીઓ આનંદમા, મહાનગરપાલિકા બનતા આણંદના હવે 'અચ્છે દિન'
  2. Bhupat Bhayani Joined BJP : ETV BHARAT ના સવાલ પર સીઆર પાટીલે કેમ મૌન સેવ્યું ? જુઓ આ ખાસ અહેવાલ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.