રાજકોટ: ઉપલેટા શહેરની મોજ નદી કાંઠે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીના પાવન પર્વની સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી હતી અને આખા દિવસ દરમિયાન ભક્તો, શ્રદ્ધાળુઓ “હર-હર મહાદેવ” ના નાદ સાથે મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા. ઉપલેટાના આ સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મહા શિવરાત્રીની મધ્યરાત્રિ એટલે કે, રાત્રિના બાર વાગ્યે મહા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આ આયોજનમાં શિવ ભક્તો હર-હર મહાદેવના નાદ સાથે રાત્રિના યોજાયેલા આ આરતીમાં જોડાયા હતા અને આરતી બાદ મંદિર તરફથી તમામ ભક્તજનોને ફરાળ તેમજ ભાંગની પ્રસાદીનું વિશેષ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મંદિર વર્ષો પુરાણું મંદિર છે અને ગ્રામ્ય દેવતા તારીખે પણ ઓડખાઈ છે. અહિયાં મહા શિવરાત્રિના પવન પર્વ નિમિતે રાત્રિના મહાઆરતીનું આયોજન કરેલ હતું. જેથી શિવભક્તો પણ ઉમટી પડ્યા હતા. જે કોઈ ભક્તો, શ્રધ્ધાળુઓ આસ્થા લઈને આવે છે તેમની મનોકમનાઓ પણ પૂર્ણ થાય છે. - શિવભક્ત ભીખાલાલ, ઝાલાવડીયા
મહાશિવરાત્રિની મધ્ય રાત્રીના યોજાયેલ આ મહા આરતીમાં સંગીતના સાધનોની સેવા આપનાર અને શિવ ભક્ત મયુર વાઘેલાએ જણાવ્યું છે કે, ઉપલેટાના મોજ નદી કાંઠે આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે યોજાયેલ મહાઆરતીમાં તેઓ તેમની ટીમ સાથે સોમનાથ દાદાની મહા આરતીમાં ડ્રમ સાથેની આરતી વગાડવા માટે આવ્યા હતા.
મહાશિવરાત્રીના પાવન પર્વની ઠેર-ઠેર ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં શિવભક્તો આજના દિવસે ભગવાન શિવની મહાશિવરાત્રી નિમિત્તે ઉપવાસ અને અન્ય કોઈને કોઈ રીતે ભગવાન ભોળાનાથને રહીજવવા પ્રાર્થના કરવા અને ભક્તિ તેમજ આસ્થા સાથે ઉજવણીઓ કરતા હોય છે જેમાં ઉપલેટા શહેરમાં પણ દરેક શિવ મંદિરમાં ધામધૂમપૂર્વક શિવરાત્રી ની ઉજવણી થઈ રહી હતી ત્યારે ઉપલેટાના મોજ નદી કાઠે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ભક્તજનો સવારથી પૂજા અર્ચના કરતા અને મહાદેવને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા.