ETV Bharat / politics

ચાઇનાનો માલ અને મોદીની ગેરંટી ચાલતી નથી : ઈશુદાન ગઢવી - Arvind Kejriwal arrested

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 2:39 PM IST

Updated : Apr 13, 2024, 3:51 PM IST

ઈશુદાન ગઢવી દ્વારા ETV Bharat સાથે ખાસ વાતચીત
ઈશુદાન ગઢવી દ્વારા ETV Bharat સાથે ખાસ વાતચીત

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકરોએ ઉપવાસ કર્યો છે. આ તકે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરી હતી.

ચાઇનાનો માલ અને મોદીની ગેરંટી ચાલતી નથી : ઈસુદાન ગઢવી

અમદાવાદ : દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો ચૂંટણી મેદાને ઉતર્યા છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં NDA ગઠબંધન અને બીજી બાજુ કોંગ્રેસની આગેવાની હેઠળ INDIA ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે. દિલ્હી શરાબ નીતિમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ અમદાવાદ આપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે ઉપવાસ કર્યા હતા. ETV Bharat ટીમે આ તમામ બાબતે ઈશુદાન ગઢવી સાથે ખાસ વાતચીત કરી હતી.

  • AAP સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ જેલમાં છે. AAP કેવી રીતે મજબૂતીથી લોકસભા ચૂંટણી લડી શકશે ?

ઈશુદાન ગઢવી : સત્તાધીશો કાયદાનો દુરુપયોગ કરીને નેતાઓને જેલમાં નાખી શકે છે. અંગ્રેજોએ પણ મહાત્મા ગાંધી, જવાહર નહેરુ, ભગતસિંહને જેલમાં નાખ્યા હતા. જેલમાં જવાથી અરવિંદ કેજરીવાલ વૈશ્વિક નેતા બન્યા, પાર્ટી ખૂબ મજબૂત થઈ ગઈ છે. લોકોમાં સહાનુભૂતિની લહેર ઊભી થઈ છે. કેજરીવાલ ભ્રષ્ટાચાર કરે નહીં તેવો લોકોને વિશ્વાસ છે. કેજરીવાલના સમર્થનમાં દેશભરમાં ઉપવાસ આંદોલન થઈ રહ્યા છે. ભરૂચ અને ભાવનગરમાં બે-બે લાખ પત્રિકા વિતરણ કરીને લોકોને AAP ના સમર્થનમાં સમજાવવામાં આવશે.

  • અસદુદ્દીન ઓવેસીની પાર્ટી AIMIM ભરૂચ અને ગાંધીનગરમાં ઇન્ડિયા ગઠબંધનને કેટલું નુકસાન પહોંચાડશે ?

ઈશુદાન ગઢવી : મને એ નથી સમજાતું કે ભાજપને ગુજરાતમાં ઓવેસીની કેમ જરૂર પડે છે. ભાજપનો દાવો હતો કે તે દરેક સીટ પાંચ લાખની લીડથી જીતશે તો પછી AIMIM ની જરૂર કેમ પડી ? જનતા મતોનું વિભાજન નહીં થવા દે.

  • ભાજપ સતત આક્ષેપ કરે છે કે, સુરત અને પંચમહાલ જેવી કેટલીક સીટ પર AAP મજબૂત હોવા છતાં હારના ડરથી આ સીટ કોંગ્રેસને આપી દીધી.

ઈશુદાન ગઢવી : જૂઠું બોલો જોરથી બોલો ભાજપનો મૂળ મંત્ર છે. ભાજપની વાતમાં આવવાની જરૂર નથી. અમારું ઇન્ડિયા ગઠબંધન મજબૂત છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ. આ વખતે 2004 અને 2009 નું પરિણામ આવશે.

  • ભાજપનો દાવો છે કે અમે ગુજરાતની તમામ સીટ પાંચ લાખથી વધુ લીડથી જીતીશું. ઈશુદાન ગઢવીને આ ચૂંટણીમાં કેટલી સીટની અપેક્ષા છે ?

ઈશુદાન ગઢવી : આ વખતે ભાજપને 26 માંથી 26 સીટ નહીં મળે. પાંચ લાખની લીડ પણ નહીં મળે. ભાજપને જો આટલો જ આત્મવિશ્વાસ હોય તો ઓવેસીને શું કામ લાવ્યા ? ઇન્ડિયા ગઠબંધનના મત તોડે તેવા અપક્ષોને ભાજપ શોધે છે.

  • ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, ભાજપના નેતાઓને પ્રતિક્રિયા કે એનાથી કોઈ ખેર નહીં પડે...

ઈશુદાન ગઢવી : માત્ર ગુજરાત નહીં ભારતના ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. સમગ્ર હિન્દુ સમાજમાં નારાજગી છે. ભગવાન રામ હિંદુ ક્ષત્રિય હતા. ભાજપના નેતા વાગ્યા પર મીઠું ભભરાવે છે કે અમને પાંચ 25 હજાર મતથી કોઈ ફરક નહીં પડે. ક્ષત્રિય સમાજની તાકાત તેમને ખબર નથી, તેઓ કાર્યક્રમ નહીં કરી શકે. માતા-બહેન, દીકરીઓ પર ટિપ્પણી કરવી ખૂબ જ વાહિયાત છે. નેતાઓએ એનાથી બચવું જોઈએ, કોઈપણ સમાજ પર નિમ્નકક્ષાની ટિપ્પણી ન કરવી જોઈએ.

  • ઈશુદાન ગઢવીમાં પહેલા જેવી આક્રમકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આક્રમકતા કેમ ઓછી થઈ છે.

ઈશુદાન ગઢવી : તમે ઈચ્છો છો કે હું દરરોજ જેલમાં જાવ. જનતા માટે જઈશ, તેમાં કોઈ વાંધો નથી. અમે એક ચોક્કસ રણનીતિ અંતર્ગત કામ કરીએ છીએ. લોકોને કઈ રીતે જાગૃત કરવા, લોકોમાં સંગઠન બનાવવું એ અમારું કામ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીની વોર્ડ લેવલની અને ગ્રામ્ય સમિતિ બની ગઈ છે. આગામી સમયમાં પરિવાર પ્રમુખ અને પરિવારની સમિતિ બનાવીશું. સંગઠન બનશે અને સંગઠન બન્યા બાદ લોકજાગૃતિ આવશે. 2026 સુધીમાં અમે પદયાત્રા પણ કરીશું.

  • ભાજપનો આક્ષેપ છે કે ઇન્ડિયા ગઠબંધન જીતવા માટે બન્યું જ નથી. દિલ્હી-પંજાબમાંથી આપ અને ગુજરાતમાંથી કોંગ્રેસ-ઇન્ડિયા ગઠબંધનના નેતાઓનો અવિરત પ્રવાહ ભાજપ તરફ જઈ રહ્યો છે તેને કેવી રીતે અટકાવશો ?

ઈશુદાન ગઢવી : ભાજપ તરફ જવાના નેતાઓના પ્રવાહને અટકાવવાની જરૂર નથી. કારણ કે પ્રજા હવે સમજી ગઈ છે કેટલાક લાલચુ લોકો જવાના હોય તે જશે. અમને ગત ચૂંટણીમાં 41 લાખ મત મળ્યા છે. હવે અમારે આ મતને વધારીને સવા કરોડ કરવાના છે. મતદારોમાં ભાજપ પ્રત્યે રોષ જાગશે. વિપક્ષના નેતાઓને કરોડો રૂપિયાની લાલચ આપીને તોડવામાં આવે છે. પૈસા અને સત્તાના ગઠબંધનથી ધારાસભ્યો અને સાંસદોને તોડવામાં આવે છે. પ્રજા ભાજપને સમજી ગઈ છે અને તે જાગૃત છે. જો ભાજપ પાંચ લાખની લીડથી જીતવાની હોય તો અમારા નેતાઓની લેવાની શું જરૂર છે ?

  • ભાજપનો આક્ષેપ છે કે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહની કામગીરીને જોઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે. અમે કોઈને પ્રલોભન નથી આપતા, અમે કોઈને વાયદા નથી કરતા.

ઈશુદાન ગઢવી : વિકાસ એટલે શું ? 24 પેપર ફૂટ્યા તે વિકાસ છે લાખો યુવાનો બેરોજગાર છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ભાજપના નેતાઓ કરોડપતિ બન્યા છે. ભાજપના નેતાઓ અને પક્ષપલટુ નેતાઓનો વિકાસ થયો છે. 2014 અને 2019 ના મેનિફેસ્ટોમાં આપેલા વાયદા ભાજપ સરકારે પૂર્ણ નથી કર્યા. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. મોદીની ગેરંટી પર કોઈને વિશ્વાસ નથી. ચાઇનાનો માલ અને મોદીની ગેરંટી ચાલતી નથી.

  • ભાજપ સરકારનો દાવો છે કે દેશમાં ફ્લાય ઓવરબ્રિજ અને મેટ્રો સ્ટેશન બન્યા છે. ભારત ચંદ્ર પર ગયું છે. દેશમાં નવી IIT અને IIM બન્યા છે. છેલ્લા દસ વર્ષમાં 12 થી 14 કરોડ લોકો દેશમાં ગરીબીથી મુક્ત થયા છે. સરકારે 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે.

ઈશુદાન ગઢવી : કોઈ વિકસિત ભારતનો સંકલ્પ નથી. સરકારે ટ્રેનો અને એરપોર્ટ ખાનગી કંપનીને વેચી નાખ્યા છે. 56 લાખ કરોડનું દેવ વધીને 205 લાખ કરોડનું થયું છે. ગેસ સિલિન્ડરના ભાવ રૂ. 400 થી વધીને રુ.1100 થઈ ગયો છે. ભારતે પાકિસ્તાનની સરખામણીએ વિકાસ કરવાનું છે કે અમેરિકા અને જાપાનની સરખામણીએ વિકાસ કરવાનો છે ? ભારતની પાકિસ્તાન સામે ખોટી રીતે આર્થિક તુલના કરવામાં આવે છે, આ વિકાસ નથી. લદાખમાં સોનમ વાંગચુંગ હડતાળ પર બેઠા છે. દેશની બહુ હાલત ખરાબ છે. સેનામાં અગ્નિવીર કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરી છે.

  • જો ભાજપે વિકાસ નથી કર્યો તો તેની સરકાર કેમ સતત ચૂંટાઈ છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તામાં છે, ઉત્તર પ્રદેશમાં બીજી ટર્મમાં સરકાર જીતી, એમપીમાં ભાજપની સરકાર અનેકવાર કેમ ચૂંટાય છે.

ઈશુદાન ગઢવી : સૌથી સોફ્ટ લાગણી ધર્મની લાગણી છે. ભાજપ ધર્મની લાગણીનો ઉપયોગ કરે છે. લોકોને ધર્મનો નશો આપો એટલે બધી જ સમસ્યા ભુલાઈ જાય છે. ભાજપના વોર્ડ દીઠ એક વ્યક્તિ છે જે લોકોને ધર્મનો નશો પીવડાવે છે. પાનના ગલ્લા પર ભાજપના માણસો ધર્મની વાત કરે છે. ધર્મના કારણે લોકો બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતની મૂળભૂત સુવિધાઓ ધ્યાનમાં રાખતા નથી. સરકારી હોસ્પિટલ અને શાળાની તુલનામાં ખાનગી હોસ્પિટલ અને શાળા વધુ ખુલે છે. મેડિકલની ખાનગી સીટોમાં મોટો વધારો થયો છે. ભાજપના નેતાઓ સિવાય કોઈનો વિકાસ થતો નથી.

  • સરકારનો દાવો છે કે અમે લાખો યુવાનોને મુદ્રા લોન આપી છે. આ મુદ્રા લોનથી યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરતા થયા છે. દરેક યુવાને સરકારી નોકરી આપવી શક્ય નથી. મુદ્રા લોનથી યુવાનો નોકરી મેળવનારને બદલે નોકરી આપનાર બન્યા છે. વિપક્ષના દાવાઓ સત્યથી વેગળા છે.

ઈશુદાન ગઢવી : દેશમાં દર કલાકે 400 લોકો આપઘાત કરે છે, લોકોને ખાવાના ફાંફા પડ્યા છે, ઘરમાં પતિ પત્ની બંને નોકરી કરે તો પણ 25 તારીખે બેંક ખાતુ ખાલી થઈ જાય છે, લોકોની બેરોજગારી માટે સરકાર જવાબદાર છે. દિલ્હીમાં વીજળી ફ્રી, મહિલાને બસ સુવિધા ફ્રી, આરોગ્ય સુવિધા ફ્રી, શિક્ષણ ફ્રી આમ તમામ સેવાઓ મફતમાં આપવામાં આવે છે.

  • આ ગેરેન્ટી વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ આપી હતી. પરંતુ તેને જનતાની સ્વીકૃતિ કેમ ઓછી મળી ?

ઈશુદાન ગઢવી : ગુજરાતમાં પ્રથમ પ્રયાસમાં 41 લાખ મત મળ્યા હોય તેવી ભારતની પ્રથમ પાર્ટી છે. પરંતુ ભાજપના ખોટા વાયદામાં કેટલાક યુવકો અને ખેડૂતો ભોળવાઈ ગયા હતા, તેઓ હવે સમજી ગયા છે. ખેડૂતો અને યુવકોના વોટ પોણા બે કરોડ થાય છે. આ વોટ 2027 માં આવી જશે.

  1. ક્ષત્રિયોના જૂવાળમાં રૂપાલા રહેેશે અડીખમ કે પછી રાજકોટ બેઠક પર સર્જાશે લોકસભા 2009 વખતની પરિસ્થિતિ ?
  2. 'નવરાત્રિમાં નોનવેજ ખાવાનો વીડિયો બતાવીને કોને ખુશ કરવા માગો છો?' PMએ તેજસ્વીને પુછ્યો પ્રશ્ન
Last Updated :Apr 13, 2024, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.