ETV Bharat / business

Budget Year 2024-25 : વર્ષ 2023-24માં રજૂ થયેલ બજેટ અને તેની અગ્રીમતાની સ્થિતિ શું છે એ અંગેની માહિતી પર એક નજર...

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 4:28 PM IST

Updated : Jan 30, 2024, 5:02 PM IST

Etv Bharat
Etv Bharat

દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ વર્ષ 2024-2025નું ઇન્ટરિમ બજેટ 1, ફેબ્રુઆરીના રોજ લોકસભામાં રજૂ કરવાના છે, ત્યારે ગત વર્ષે રજૂ થયેલ બજેટ અને તેની અગ્રીમતાની સ્થિતિ શું છે એ અંગેની વિશ્લેષણાત્મક રીતે રજૂ કરી છે.

નીતિન પાઠક, CA

અમદાવાદ : વર્ષ-2023-2024નું બજેટ અનેક રીતે વિશેષ હતુ, મોદી સરકારે વર્ષ-2022માં સૌને ઘર અને ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો. કોરોના કાળના કારણે એ બંને મહત્વના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં પડકાર સર્જ્યો હતો. મોદી સરકારે 2023-2024ના બજેટને સામાજિક વિકાસ અને વૈશ્વિક અર્થતંત્ર બનવાના તરફના પગલા તરીકે ગણાવ્યું હતુ. વર્ષ 2023-2024ના બજેટની રજૂઆતના સમયે નાણામંત્રી નિર્મલા સિતારમણે જે મહત્વની આર્થિક વિગતો રજૂ કરી હતી એમાં નીચેના મહત્વના મુદ્દા હતા.

  • ચાર મહત્વની વિશેષતાઓ
  1. દેશનો આર્થિક વૃદ્ધિ કર 9.2 ટકા રહેવાનો અનુમાન હતો, જે વિશ્વના તમામ મોટા અર્થતંત્રોમાં સૌથી વિશેષ હતો.
  2. દેશના મહત્વના 14 ક્ષેત્રોમાં સરકારી પ્રોત્સાહક યોજના હેઠળ 60 લાખ નવી રોજગારી સર્જનની જાહેરાત હતી.
  3. PLI યોજના હેઠળ દેશમાં નવું 30 લાખ કરોડના ઉત્પાદનની સંભાવનાઓ છે.
  4. INDIA @ 100 અંતર્ગત 2047 સુઘીમાં કેન્દ્રીય બજેટમાં ચાર મહત્વની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી હતી. જેમાં PM ગતિ શક્તિ, સર્વ સમાવેશી વિકાસ, ઉત્પાદકતામાં વધારો- મોસમ પરિવર્તનને નાથવું અને રોકાણ માટે ધિરાણની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે.
  • ઉપરોક્ત ચાર મહત્વની વિશેષતાઓની આ છે વાસ્તિવકતા

વિકાસ દરને હાંસલ કરવામાં મુશ્કેલીઓ, આંતરિક અને બાહ્ય કારણોને નિયંત્રીત કરવાની આવશ્યકતા

હાલ દેશમાં વિકાસ દર 7.2 ટકાનો રહ્યો છે, જે ગત નાણાંકીય વર્ષના આરંભે 9.2 ટકાનો અપેક્ષિત હતો. કોરોનાકાળથી ઉભરતા ભારતીય અર્થતંત્રને વર્ષ 2023-2024માં યુ્ક્રેન વોર અને ત્યાર બાદ મધ્ય પૂર્વમાં સતત અશાંતિનો પણ સામનો કરવો પડ્યો. આ સાથે મોસમ પરિવર્તનના કારણે ખાદ્યાન્ય અને ખેત ઉત્પાદનો પર પડતી નકારાત્મક અસરોના કારણે પણ અપેક્ષિત વિકાસ દરને હાંસલ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

વિકાસની સાથે સતત વઘતી બેરોજગારીનો દર, વિકાસને ઝાંખો પાડે છે

ગત અંદાજપત્રની રજૂઆત સમયે નાણામંત્રી નિર્મલા સિતારમણે રોજગારીના સર્જન સાથે વિકાસની નીતિ અને સરકારના સંકલ્પને કેન્દ્રમાં રાખ્યો હતો. પણ વાસ્તવિકતા તો એ છે કે, હાલ દેશમાં બેરોજગારીનો દર 7.38 ટકા જેટલો અંદાજવામાં આવ્યો છે. દેશમાં 2024માં બેરોજગારોની સંખ્યા 8.89 કરોડ અંદાજવામાં આવી છે, જે સરકારને બેરોજગારી બાબતે નક્કર કરવા માટે ફરજ પાડશે.

ભારત રોકાણો માટેનું વૈશ્વિક ડેસ્ટિનેશન છે, જોબલેસ ગ્રોથ સરકાર માટે પડકાર છે

ભારત ઔદ્યોગિક રોકાણનું વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર ડેસ્ટિનેશન બનતુ જાય છે. નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન દેશમાં કુલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) કુલ 71 અબજ ડોલરનું રહ્યું હતુ. એની સરખામણીએ વર્ષ 2023-2024ના ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર-2023 સુધીમાં દેશમાં કુલ 33 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024માં કુલ 26.33 લાખ કરોડના રોકાણના MoU થયાની વિગતો છે. ચીન, મધ્ય એશિયામાં બદલાતા રાજકીય સમીકરણને ધ્યાને રાખી ભારત વિશ્વમાં સૌથી મોસ્ટ ફેવર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. હાલ ભારત વિશ્વની પાંચમાં ક્રમે આવતુ અર્થતંત્ર બન્યું છે, જે અગામી સમયમાં વિશ્વની ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવા તરફ ભારત અગ્રેસર છે. દેશમાં વિદેશી રોકાણ આવવાની સાથે જોબલેસ ગ્રોથ વધતો જાય છે એ મોટો પડકાર સરકાર માટે બનતો જાય છે.

કૃષિ ક્ષેત્ર હજી પણ મોટા રોકાણ અને મોટા બદલાવને ઝંખે છે

વર્ષ 2023-2024ના કેન્દ્રીય બજેટમાં ખેતી ક્ષેત્રે સરકારે 1.25 લાખ કરોડની સીધી ફાળવણી કરી હતી. જેમાં સૌથી વધુ રકમ એટલે કે 71 ટકા રકમ કિસાન સન્માન નિધિ, વ્યાજ સબસિડી અને પાક વીમા યોજના પાછળ ફાળવવામાં આવી હતી. બજેટમાં કૃષિ માટે વધેલી રકમ છતાં, ખેડૂતોની આવક બમણી થઈ શકી નથી. National Crime Records Bureau (NCRB) 2022ના રિપોર્ટ પ્રમાણે દેશમાં રોજના સરેરાશ 154 ખેડૂતો અને રોજીંદા કારીગરો કોઇને કોઇ કારણોસર આત્મહત્યા કરે છે. જે દર્શાવે છે કે, ખેતી પ્રધાન દેશમાં હજી પણ કૃષિ ક્ષેત્રે મોટા રોકાણ, મોટા બદલાવની આવશ્યકતા છે. આશા છે, 2024-2025ના બજેટમાં ખેડૂતો બજેટના કેન્દ્રમાં હોય.

શિક્ષણ માંગે છે સરકાર પાસેથી ત્વરિત એકશન

વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટમાં શિક્ષણ પાછળ સરકારે 1.12 લાખ કરોડની સીધી ફાળવણી કરી હતી. જે દેશની જીડીપીના 2.8 ટકા જેટલી રકમ છે. પણ દેશમાં સતત મોંઘા થતા શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણને લઈને વ્યાપક અસંતોષ વાલીઓમા પ્રવર્તે છે. દેશમાં નવી શિક્ષણ નીતિ અમલી થઈ રહી છે ત્યારે દેશમાં શિક્ષણ ક્ષેત્રે કુલ એક લાખ કરોડનું પ્રાઇવેટ કોચીંગ ક્લાસનું માર્કેટ હોવાના અહેવાલોએ સરકારને બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વધુ ત્વરિતતાથી એકશન લેવા માટે મજબુર કરી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં આધુનિકતાની આવશ્યકતા છે

કોરોનાકાળ બાદ કેન્દ્ર સરકારે ત્રિ-સ્તરીય આરોગ્ય સેવામાં સુધારા પર ભાર મૂક્યો છે, જે મોદી સરકારના વર્ષ 2023-204ના બજેટમાં દેખાય છે. મોદી સરકારે વર્ષ 2023-24ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 89,155 કરોડની જોગવાઈ કરી હતી. જેમાં સૌથી વધુ રકમ રાષ્ટ્રીય સ્વાથ્ય મિશનને ફળવાઇ હતી. કુલ આરોગ્ય બજેટના 33 ટકા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન બાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાછળ કુલ આરોગ્ય બજેટના 27 ટકા રકમ ફળવાઇ હતી. આમ છતાં પણ દેશમાં ડોકટર અને આરોગ્ય કર્મીઓની ખોટ વર્તાઈ રહી છે. જેના કારણે જાહેર આરોગ્યના નિદ્યારીત લક્ષાંકો પ્રાપ્ત કરી શકાતા નથી.

મહિલા અને બાળ-વિકાસ ક્ષેત્રે ફક્ત નાણાંનો વપરાશ જોગવાઈ સામે ઘટતો જાય છે

દેશની અડધા કરતા વધુ વસતિ મહિલાઓની છે. મોદી સરકારે 2023-24ના બજેટમાં મહિલા અને બાળ વિકાસના મંત્રાલય માટે 2022ના બજેટ કરતાં 6 ટકા વધુ રકમ ફાળવીને 25,449 કરોડની જોગવાઈ કરી હતી. કમનસીબે સરકારનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ખાતાને જે બજેટરી જોગવાઈઓ ફળવાય છે એનો વપરાશ થતો નથી. વર્ષ 2016-17 થી 2021-22 સુધીના પાંચ વર્ષ દરમિયાન આ વિભાગે ઓછી રકમનો ઉપયોગ કરીને મહિલા-બાળ વિકાસના લક્ષાંકો પૂર્ણ કરી શક્યા નથી.

આપણા દેશમાં બજેટરી જોગવાઈ સામે આકસ્મિત ઘટનાઓને નિયંત્રિત રાખવામાં ફંડનો વધુ ઉપયોગ થાય છે. જેના કારણે આપણે નિદ્યારીત વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરી શકતા નથી. દેશમાં કુદરતી હોનારતો સાથે કોરોના જેવી વૈશ્વિક આફતો સામે દેશ હજી સંઘર્ષ કરી રહ્યો છે. આજે પણ આપણે વૈશ્વિક બીમારી સામે રસીકરણ સહિતનો ખર્ચ કરવો પડે છે. આપણા દેશમાં વ્યક્તિની વાસ્તવિક આવક ઘટી છે. જેનો ભાર દેશનો નાગરિક ઉઠાવે છે. દેશમાં કૃષિ ક્ષેત્રે સહકારી મંડળીઓને હવે વધુ પ્રાધ્યાન્ય મળે છે. તો સાથે શિક્ષણ ક્ષેત્રેે નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપતા મૂડી ખર્ચ વધતો જાય છે. 2024-25ના બજેટમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટેનું ઈન્વેસ્ટમેન્ટ વધે એ આવશ્યક છે. - ડૉ. કલ્પના સતીજા, અર્થશાસ્ત્રી

અમૃતકાળનું પ્રથમ બજેટ વર્ષ 2023-24 મા રજૂ થયું હતું . જેમાં સશક્ત ભારત માટે સુરક્ષા, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો હતો. હવે, આ વર્ષે કયાલમેંટ ચેન્જ, ફ્યુચર ટેક્નોલોજી, મહિલા આત્મનિર્ભર, યુવા કેન્દ્રી અને ખેડૂત કલ્યાણ કરી રહેશે. મધ્યમવર્ગ માટે કરવેરામાં છૂટ મળશે. ભલે, વચગાળાનું બજેટ હોય પણ ચૂંટણીને ધ્યાન માં રાખતા, ભવિષ્યના વાયદાઓ મુકવામાં આવશે. - સિદ્ધાર્થ ભટ્ટ - બજેટ નિષ્ણાંત

  1. How the budget is prepared : બજેટ શું છે અને તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, તેના વિશે વિગતવાર જાણીએ...
  2. Budget 2024-25: બજેટ સત્રની અગાઉ સર્વ દળીય બેઠક યોજાઈ
Last Updated :Jan 30, 2024, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.