ETV Bharat / bharat

Farmers Protest : ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતના પરિવારને વળતરની જાહેરાત, ખેડૂતોએ મનાવ્યો કાળો દિવસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2024, 2:51 PM IST

ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતના પરિવારને વળતરની જાહેરાત
ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતના પરિવારને વળતરની જાહેરાત

ખેડૂતો તેમની માંગણીને લઈને દિલ્હી તરફ કૂચ કરવા અંગે અડગ છે અને શંભુ બોર્ડર-ખનૌરી બોર્ડર પર ધામા નાખ્યા છે. ત્યારે પંજાબ સરકારે ખનૌરી બોર્ડર પર માર્યા ગયેલા ખેડૂત શુભકરણ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ચંદીગઢ : દિલ્હી જવા નિકળેલા ખેડૂતોને રાજ્યની સરહદ પર રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ખનૌરી બોર્ડર પર ખેડૂત શુભકરણસિંહના મૃત્યુને લઈને ખેડૂત સંગઠનોમાં ભારે રોષ છે. આ દરમિયાન પંજાબ સરકારે મૃતક ખેડૂત શુભકરણ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયા વળતર રકમ આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત શુભકરણ સિંહની નાની બહેનને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. પંજાબના સીએમ ભગવંત માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરતા લખ્યું કે, દોષિતો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

NSA કાયદો પરત લેવાયો : હરિયાણા પોલીસ હવે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ આંદોલનકારી ખેડૂતો સામે પગલાં લેશે નહીં. અંબાલા રેન્જના IG સિબાસ કવિરાજે કહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

ખેડૂતોએ મનાવ્યો કાળો દિવસ : ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે કહ્યું છે કે, જે રીતે એક ખેડૂત શહીદ થયો છે, આજે અમે કાળો દિવસ મનાવીશું અને તેના માટે વાહનો અને ઘરો પર કાળા ઝંડા લગાવીશું. તે દુઃખદ ઘટનાને લઈને આ પ્રદર્શન કરવામાં આવશે.

SKM દ્વારા દેશભરમાં વિરોધ : હરિયાણાના જીંદ જિલ્લામાં ખનૌરી બોર્ડર પર ખેડૂત શુભકરણ સિંહના મૃત્યુને લઈને ખેડૂત સંગઠનોમાં ભારે રોષ છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) દ્વારા આજે ​​દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખનૌરી બોર્ડર પર એક યુવકના મોત બાદ સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર દેશભરના ખેડૂત સંગઠન આજે રસ્તા પર ઉતરી કેન્દ્રીય ગૃહપ્રધાન, હરિયાણાના મુખ્યપ્રધાન અને હરિયાણાના ગૃહપ્રધાનના પૂતળાનું દહન કરશે. બપોરે 12:00 વાગ્યે મોહાલીના ડેરાબસ્સીમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે.

ખેડૂતો વધુ ભડકે નહીં તે સુનિશ્ચિત કરવા માટે અંબાલા પોલીસે યુ-ટર્ન લીધો છે. ખેડૂતો પર લાગુ કરેલ NSA પાછો ખેંચી લીધો છે. આગામી આદેશ સુધી આવા કોઈ કાયદાનો અમલ કરવામાં આવશે નહીં. શંભુ બોર્ડર પર આજે ખેડૂતો કાળા ઝંડા સાથે વિરોધ કરી રહ્યા છે. પંજાબ-હરિયાણા બોર્ડર પર વિરોધ કરી રહેલા એક ખેડૂતના મૃત્યુ બાદ સંયુક્ત કિસાન મોરચા (SKM) દ્વારા આજે 'બ્લેક ફ્રાઈડે' ઉજવાઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ખેડૂતો તેમની માંગણીને લઈને સરકાર પર દબાણ કરવા માટે દિલ્હી સુધી કૂચ કરવા માટે 13 ફેબ્રુઆરીથી ધરણા પર બેઠા છે. અંબાલા પોલીસે શંભુ સરહદ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે. ઘણી વખત પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા અને સરકારી સંપત્તિને ઘણું નુકસાન થયું હતું.

વધુ સરકારી સંપત્તિને નુકસાન ન થાય તે માટે સરકારે આદેશ કર્યો કે, જો કોઈ સરકારી અથવા બિન-સરકારી સંપત્તિને નુકસાન થશે તો તેની વસૂલી પ્રદર્શનકારીઓ પાસેથી કરવામાં આવશે. આ અંગે અનેક ખેડૂતોના ઘર પર નોટિસ પણ ચોંટાડવામાં આવી અને NSA લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે યુ-ટર્ન લઈને આજે આ આદેશ પાછો ખેંચી લીધો છે. અંબાલાના ASP પૂજા ડબલાએ કહ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના મુજબ NSA પાછો ખેંચી લેવામાં આવ્યો અને ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

  1. Farmers Protest: દિલ્હી કૂચ 2 દિવસ માટે મુલતવી, 7 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવ્યો
  2. Farmers Protest : ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનની ફરી શરૂઆત, સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.